News Continuous Bureau | Mumbai
Hormuz Strait| અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષમાં એક નવો વળાંક આવ્યો છે. યુદ્ધવિરામની સમયસીમા સમાપ્ત થવાના થોડા સમય પહેલા જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેને અનિશ્ચિત સમય માટે લંબાવવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપતા જણાવ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ આસીમ મુનીરની અપીલને માન આપીને આ હુમલાઓ હાલ પૂરતા રોકવામાં આવ્યા છે, જેથી ઈરાન એક સર્વસંમત પ્રસ્તાવ રજૂ કરી શકે.
ટ્રમ્પનો કટાક્ષ અને શરતી યુદ્ધવિરામ
ટ્રમ્પે પોતાની પોસ્ટમાં ઈરાન સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે ‘ઈરાન સરકાર ગંભીર રીતે તૂટી ચૂકી છે.’ તેમણે સ્પષ્ટ કર્યું કે ભલે હુમલા રોકવામાં આવ્યા છે, પરંતુ તેમણે પોતાના સૈન્ય કમાન્ડરોને હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) પર સંપૂર્ણ નાકાબંધી ચાલુ રાખવા અને યુદ્ધ માટે તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો છે. ટ્રમ્પના મતે, જ્યાં સુધી ઈરાન સાથે કોઈ મજબૂત સમજૂતી નહીં થાય, ત્યાં સુધી આર્થિક નાકાબંધી હટાવવામાં આવશે નહીં.
તેહરાનનો આકરો વિરોધ
આ જાહેરાતના જવાબમાં ઈરાન તરફથી આકરી પ્રતિક્રિયા આવી છે. ઈરાની સંસદ અધ્યક્ષના સલાહકાર મહેદી મોહમ્મદીએ ટ્રમ્પના આ નિર્ણયને સ્પષ્ટપણે ફગાવી દીધો છે. તેમણે કહ્યું કે, “હારનાર પક્ષ શરતો નક્કી કરી શકે નહીં.” ઈરાને આ નિર્ણયને અમેરિકાની એક ચાલ ગણાવી છે અને ટ્રમ્પના યુદ્ધવિરામની તેમના માટે કોઈ મહત્વતા નથી તેમ કહીને અમેરિકા સામે સૈન્ય કાર્યવાહી શરૂ કરવા માટે હાકલ કરી છે.
હોર્મુઝ સ્ટ્રેટ અને તેલ વેપાર પર અસર
હોર્મુઝ સ્ટ્રેટ, જે વૈશ્વિક તેલ વેપાર માટે અત્યંત મહત્વનો માર્ગ છે, ત્યાં અમેરિકી નૌકાદળની નાકાબંધી યથાવત રહેશે. ઈરાને અગાઉ આ માર્ગ બંધ કરવાની ધમકી આપી હતી અને કેટલાક જહાજો પર ટોલ વસૂલવાનો પ્રયાસ કર્યો હતો, જેના જવાબમાં અમેરિકાએ આ ઘેરાબંધી શરૂ કરી છે. ટ્રમ્પનું માનવું છે કે આ આર્થિક નાકાબંધી ઈરાનની અર્થવ્યવસ્થાને સંપૂર્ણપણે બરબાદ કરી રહી છે. હવે બંને દેશો વચ્ચેની આ ‘શાંતિ’ વાસ્તવમાં ગંભીર સંઘર્ષના પૂર્વેની સ્થિતિ છે કે કેમ, તે જોવું મહત્વનું રહેશે.
👉 આ સમાચાર વાચો:
Pahalgam Terror Attack। આતંકવાદને પીએમ મોદીનો સ્પષ્ટ સંદેશ, 'ભારત ક્યારેય નહીં ઝૂકે'."