News Continuous Bureau | Mumbai
US Iran Diplomatic Talks| મધ્ય પૂર્વમાં યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ઈસ્લામાબાદ ફરી એકવાર કૂટનીતિક ગતિવિધિઓનું કેન્દ્ર બન્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટોનો બીજો રાઉન્ડ સોમવારે યોજાનાર છે, પરંતુ ઈરાને શરૂઆતમાં જ અમેરિકાના પ્રસ્તાવને ફગાવી દઈને આ મંત્રણામાં સામેલ થવાનો ઈનકાર કર્યો છે. આ સંકટને ઉકેલવા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયન સાથે ફોન પર વાતચીત કરીને શાંતિનો માર્ગ શોધવાનો પ્રયાસ કર્યો છે.
ઈરાનનો અમેરિકા પર આક્ષેપ
ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ઈરાને અમેરિકાના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે અને તેના માટે અમેરિકાની ‘નાજાયઝ માંગણીઓ’ અને વારંવાર બદલાતા વલણને જવાબદાર ઠેરવ્યા છે. ઈરાનનું સ્પષ્ટ માનવું છે કે હોર્મુઝ સ્ટ્રેટ અને ઈરાની બંદરો પર અમેરિકન નૌકાદળની નાકાબંધી એ યુદ્ધવિરામનું સીધું ઉલ્લંઘન છે. ઈરાને જણાવ્યું છે કે જ્યાં સુધી આ દબાણ ચાલુ રહેશે, ત્યાં સુધી કોઈ પણ પ્રકારની મંત્રણા શક્ય નથી.
પાકિસ્તાનની કૂટનીતિક કસોટી
આવી ગંભીર સ્થિતિમાં શાહબાઝ શરીફ ઈરાનને મનાવવામાં કેટલા સફળ થશે તે મોટો પ્રશ્ન છે. પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની તેહરાન મુલાકાત બાદ પાકિસ્તાન આ સમગ્ર મામલે સક્રિય મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યું છે. ઇસ્લામાબાદમાં સુરક્ષા વ્યવસ્થા પણ સખત કરી દેવામાં આવી છે. અમેરિકન પ્રતિનિધિઓ સ્ટીવ વિટકૉફ અને જેરેડ કુશનરના આગમન પહેલાં હોટલોને ખાલી કરાવવામાં આવી છે અને મુખ્ય રસ્તાઓ બંધ કરી દેવાયા છે.
શાંતિની આશા કે યુદ્ધના એંધાણ?
અમેરિકા અને ઈરાન બંનેએ અગાઉના રાઉન્ડમાં પાકિસ્તાનની મધ્યસ્થતાની પ્રશંસા કરી હતી, પરંતુ આ વખતે ઈરાનનું આક્રમક વલણ કંઈક અલગ સંકેત આપી રહ્યું છે. જ્યારે શાહબાઝ શરીફ સાઉદી અરેબિયા, કતાર અને તુર્કીના નેતાઓ સાથે સતત સંપર્કમાં છે, ત્યારે ઈરાનનું આ વલણ યુદ્ધના એંધાણ આપી રહ્યું છે. શું શાહબાઝ શરીફ આ અંતિમ પ્રયાસમાં ઈરાનને ટેબલ પર લાવવામાં સફળ રહેશે, તે હવે જોવું રહ્યું.
👉 આ સમાચાર વાચો:
Dhurandhar 2 ધુરંધર2 નો દબદબો ૩૨ દિવસ પછી પણ બોક્સ ઓફિસ પર મચાવે છે ધમાલ, જાણો ફિલ્મે અત્યાર સુધી કેટલી કરી કમાણી?
