News Continuous Bureau | Mumbai
Apara Ekadashi 2026। હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ છે અને આજે એટલે કે ૧૩ મે ૨૦૨૬ના રોજ અપરા એકાદશીનું વ્રત રાખવામાં આવી રહ્યું છે. જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષમાં આવતી આ એકાદશીને ‘અચલા એકાદશી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિવિધાનથી પૂજા કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે.
અપરા એકાદશી તિથિ અને પારણાનું મુહૂર્ત
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, એકાદશી તિથિની શરૂઆત ૧૨ મેના રોજ બપોરે ૨:૫૨ કલાકે થઈ હતી અને તિથિનું સમાપન આજે ૧૩ મેના રોજ બપોરે ૧:૨૯ કલાકે થશે. ઉદયા તિથિ મુજબ આજે વ્રત રાખવામાં આવી રહ્યું છે. વ્રતના પારણા કરવાનો શુભ સમય ૧૪ મેના રોજ સવારે ૫:૩૧ થી ૮:૧૪ મિનીટ સુધીનો રહેશે. આ સમયગાળા દરમિયાન વ્રત ખોલવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.
પૂજા વિધિ અને મંત્ર જાપ
આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને પંચામૃત, રોલી, પીળા ફૂલ, ફળ અને મીઠાઈ અર્પણ કરવામાં આવે છે. ખાસ કરીને તુલસી દળ અર્પણ કરવું અત્યંત ફળદાયી માનવામાં આવે છે. પૂજા સમયે ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો જાપ અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે તેવી માન્યતા છે.
દાન અને પૌરાણિક મહત્વ
અપરા એકાદશીના દિવસે દાન-પુણ્યનું વિશેષ મહત્વ છે. જ્યેષ્ઠ માસની ગરમીને ધ્યાનમાં રાખીને અન્ન, જળ, પંખા કે ઠંડક આપતી વસ્તુઓનું જરૂરિયાતમંદોને દાન કરવાથી વિશેષ પુણ્ય મળે છે. પૌરાણિક કથાઓ મુજબ, ભગવાન શ્રીકૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરને આ વ્રતનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે આ વ્રત કરવાથી વ્યક્તિના અજાણતા થયેલા પાપોનો નાશ થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે.
👉 આ સમાચાર વાચો:
Nashik TCS Case। નિદા ખાનને આશ્રય આપવો MIM નગરસેવકને ભારે પડ્યો! મતીન પટેલના ઘર પર ચાલ્યું પ્રશાસનનું બુલડોઝર