News Continuous Bureau | Mumbai
તમે એ કહેવત તો સાંભળી જ હશે કે રોજ એક સફરજન ખાવાથી ડોક્ટર પાસે જવાની જરૂર પડતી નથી, પરંતુ શું તમે જાણો છો કે દરરોજ એક કેળું ખાવું પણ એટલું જ ફાયદાકારક છે? કેળું એક એવું ફળ છે જે બાળકોથી લઈને વડીલો સુધી દરેકને પસંદ આવે છે. કેળાને પેટ માટે ‘અમૃત ફળ’ કહેવામાં આવે છે કારણ કે તે પાચનતંત્ર અને ગટ હેલ્થ માં આશ્ચર્યજનક રીતે સુધારો કરે છે.
પોષક તત્વોનો ખજાનો છે એક કેળું
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દરરોજ ૧ કેળું ખાવાથી શરીરને આશરે ૧૦૫ કેલરી મળે છે. તેમાં ૧.૨૯ ગ્રામ પ્રોટીન, ૨૬.૯ ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ અને ૩.૦૭ ગ્રામ ફાઈબર હોય છે. આ ઉપરાંત કેળું પોટેશિયમ, વિટામિન B6 અને વિટામિન C થી ભરપૂર હોય છે. કેળામાં રહેલું ૮૮.૪ ગ્રામ પાણી શરીરને હાઇડ્રેટેડ રાખવામાં પણ મદદ કરે છે. તે માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ આખા શરીરના સ્વાસ્થ્ય માટે પાવરહાઉસ સમાન છે.
આ સમાચાર પણ વાંચો : Dominos Free Pizza Offer: પિઝા પ્રેમીઓ માટે જલસો! Domino’s એક વર્ષ સુધી ખવડાવશે ફ્રી પિઝા, બસ તમારે કરવું પડશે આ નાનકડું કામ
આંતરડાના બેક્ટેરિયા માટે ઉત્તમ ખોરાક
કેળામાં રેઝિસ્ટન્સ સ્ટાર્ચ અને પ્રીબાયોટિક ફાઈબર હોય છે, જે આંતરડામાં રહેલા તંદુરસ્ત બેક્ટેરિયાને પોષણ આપે છે. તેનાથી આંતરડાના સોજા ઓછા થાય છે અને પાચનતંત્ર મજબૂત બને છે. અનેક સંશોધનોમાં એવું પણ બહાર આવ્યું છે કે કાચા કેળામાં અલ્સર વિરોધી ગુણો હોય છે, જે પેટના પડને કુદરતી સુરક્ષા પૂરી પાડે છે અને એસિડિટી જેવી સમસ્યાઓથી બચાવે છે.
બ્લડ પ્રેશર અને સ્ટ્રેસમાં રાહત
કેળું હૃદયના સ્વાસ્થ્ય માટે પણ મહત્વનું છે. તેમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ સિવાય કેળામાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ ઓક્સિડેટીવ સ્ટ્રેસને ઘટાડે છે. જ્યારે પણ તમને હળવી ભૂખ લાગે ત્યારે બિનઆરોગ્યપ્રદ સ્નેક્સ ખાવાને બદલે એક કેળું ખાવું એ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. તે ત્વરિત ઉર્જાઆપે છે અને શરીરને ફિટ રાખે છે.