ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 જુલાઈ, 2021
ગુરુવાર
ગુરુ સંસ્કૃતમાંથી ઉતરેલો શબ્દ છે. 'ગુ'નો અર્થ અંધકાર અને 'રૂ'નો અર્થ અંધકાર દૂર કરનાર થાય છે. આ મુજબ ગુરૂ નો અર્થ અજ્ઞાન રૂપી અંધકારમાંથી બહાર લાવનાર તથા જ્ઞાન રૂપી પ્રકાશ આપનાર આવો થાય છે. આ તહેવાર હિંદુઓ, જૈનો અને બૌદ્ધો દ્વારા પોતાના ગુરુનો આદર અને સન્માન કરીને ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા બૌદ્ધ ધર્મના લોકો માટે ખૂબ જ શુભ તહેવાર માનવામાં આવે છે. આ દિવસે જ ભગવાન બુદ્ધે પ્રથમ ઉપદેશ આપ્યો હતો. જેથી આ દિવસને બુદ્ધ પૂર્ણિમા કહેવાય છે.
શાસ્ત્રોમાં ગુરુને ભગવાન કરતા ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે. કારણ કે ફક્ત ગુરુ જ ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. તેથી વ્યક્તિએ હંમેશાં શિક્ષકોને માન આપવું જોઈએ. આ સિવાય સાચા માર્ગ તરફ દોરવામાં મદદ કરનાર માતા-પિતા, ભાઈ-બહેન કે આવી કોઈ પણ વ્યક્તિ આપણા માટે આદરણીય છે અને ગુરુ સમાન છે. દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. માનવામાં આવે છે કે વેદ વ્યાસજીનો જન્મ પણ આ દિવસે જ થયો હતો. વેદ વ્યાસે જ માનવજાતને ચાર વેદોનું જ્ઞાન આપ્યું હતું. તેથી જ તેમને પ્રથમ ગુરુ માનવામાં આવે છે અને તેમના જન્મની તિથિને વ્યાસ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.
આજે તારીખ ૨૩.૭.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ
હિંદુ પંચાગ મુજબ આ વર્ષે અષાઢી મહિનાની પૂર્ણિમા 23 જુલાઈ (શુક્રવારે) સવારે 10 વાગીને 43 મિનિટથી શરૂ થશે જે 24 જુલાઈની સવારે 8 વાગીને 06 મિનિટ સુધી રહેશે. ઉદય તિથિમાં પૂર્ણિમા ગણવાના કારણે 24 જુલાઈ શનિવારે જ ઉજવાશે. પૂર્ણિમાના દિવસે સર્વાર્થ સિદ્ધિ અને પ્રીતિ યોગનો શુભ જોડાણ થઈ રહ્યું છે. પ્રીતિ યોગ 24 જુલાઇને સવારે 6.12 થી શરૂ થશે, જે 25 જુલાઇને સવારે 03: 16 સુધી ચાલુ રહેશે. સર્વાર્થ સિદ્ધિ યોગ આ દિવસે બપોરે 12.40 વાગ્યાથી બીજા દિવસે 25 જુલાઈના રોજ સવારે 05:39 સુધી રહેશે. આ બંને યોગ શુભ કાર્યોની સિદ્ધિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.