News Continuous Bureau | Mumbai
Shani Vakri 2024:
માર્ગસ્ય ગતિમ સુમતિમ અત: વક્ર ગતે કુમતિમ II
ગ્રહોની માર્ગી ગતિ સદબુદ્ધિ આપે અને ક્રુર ગ્રહ વક્ર થાય ત્યારે પૃથ્વીનો સર્વનાશ અને દુર્ગતિ થાય.
બ્રહ્માંડમાં ગ્રહો બે પ્રકારની ગતિ થી ભ્રમણ કરે છે. એક ગતિનું નામ માર્ગી અને બીજી ગતિનું નામ વક્રી ગતિ. માર્ગી એટલે ગ્રહોની સીધી ચાલ અને વક્રી એટલે ગ્રહોની ઉંધી ચાલ. ગ્રહ મંડળમાં સૂર્ય અને ચંદ્ર આ બે ગ્રહો હંમેશા માર્ગી (સીધા) હોય છે અને રાહુ–કેતુ હંમેશા વક્રી (ઉંધા)ગતિથી આગળ વધે છે. બાકીના ગ્રહો માર્ગી અને વક્રી બંને ગતિથી પોતાની ચાલ અને પરિભ્રમણ કક્ષા નક્કી કરતા હોય છે.
ગ્રહમંડળનો અતિ મહત્વનો અને ભલભલા જાતકોને ડરાવતો ગ્રહ શનિ તા.૨૯ જુન,૨૦૨૪ના રોજ ૧૨ ક.૧૧ મિ કુંભ રાશિમાં વક્ર ગતિ થી (ઉંધી ગતિ) ચાલવાનું શરૂ કરશે અને આગામી 139 દિવસ એટલે કે ૧૫ નવેમ્બર ૨૦૨૪ સુધી કુંભ રાશિમાં વક્રી ચાલશે. અમારા વાચક મિત્રોને ખાસ જણાવીએ કે ગ્રહોની વક્રી ગતિથી ગભરાવાની બિલકુલ જરૂર નથી. કારણ કે આ કોઈ અવગતિએ જવાની વાત નથી. હા, અલબત્ત શનિ ન્યાય પ્રધાન ગ્રહ છે. એટલે જૈસી કરની વૈસી ભરની સૂત્ર અનુસાર દરેક જાતકે શનિના આ વક્રી ભ્રમણ દરમિયાન પોતાના કર્મના નફા નુકસાનની ભરપાઈ કરવા તો તૈયાર રહેવું જ પડશે. ચાલો જાણીએ વક્રી શનિ બાબતે શાસ્ત્રો શું કહે છે.
“વક્રાનુંવક્રા કુટિલા મંદા મંદતરા સમા રુજ્વીતિ પચધજ્ઞને યા યા વક્રા સાનુવક્ર્ગા” અર્થાત જન્મ કુંડળીમાં શનિ સ્થિર કે વક્રી થાય ત્યારે જાતકને નુકસાન થાય છે. પરંતુ મૂળ કુંડળીમાં શનિ બળવાન હોય તો અશુભ ફળમાં ઘટાડો થાય છે.
Shani Vakri 2024: શનિ એક રાશિમાં લગભગ અઢી વર્ષ રહે છે
ગ્રહમંડળમાં શનિ સેવક છે. એક રાશિમાં લગભગ અઢી વર્ષ રહે છે અને તેની ગતિ ધીમી છે. શનિ વક્ર થાય ત્યારે પૃથ્વી પર વાયુ તત્વમાં બગાડ આવે છે. આથી આવા સમયે અજાણ્યા વાયરસ માનવજાત પર હુમલો કરે છે. ખાસ કરીને જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર મહિના ફ્લુ, મેલેરિયા, શરદી, સ્વાઈન ફ્લુ અને ચિત્રવિચિત્ર વાયરસથી માનવજાતે સાવચેત રહેવું જરૂરી છે.
વાયુ પ્રધાન શનિ વક્ર થાય એટલે વાયુનું પ્રમાણ વધે આથી વાદળો ખેંચાય અને વરસાદનું પ્રમાણ ઘટે. શનિ વક્ર થાય એટલે મોટા રાજકીય માથાઓ અને સેલિબ્રિટી ઉપર અણધાર્યા સંકટ આવે. અનાજના ભાવ વધે, સોનું ચાંદી મોંઘા થાય અને જમીનોના ભાવ પણ વધે. શેરબજારમાં તેજી આવે. આધ્યાત્મવાદ અને ધર્મમાં કૌભાંડ અને સેક્સ સ્કેન્ડલ બહાર આવે. ચાલો જાણીએ વક્રી શનિના કારણે કઈ રાશિના જાતકો લાભાન્વિત થશે અને કોને સંકટનો સંકેત મળશે.

શનિ ના વક્ર ભ્રમણના કારણે વૃષભ,સિંહ અને મીન રાશિના જાતકોને માલામાલ થવાના અવસર મળશે. વૃષભ રાશિના જાતકોના વ્યાપાર, નોકરી, વ્યવસાય અને સમાજમાં માન સન્માનમાં વધારો થશે. અટકેલા કામ પાર પડશે. વિઝા, પાસપોર્ટ અને વિદેશને લગતા તમામ કામ સરળ બનશે. સગાઈ, વિવાહ અને કોઈ પણ ધાર્મિક કામ પાર પાડવા માટેનો આ ઉત્તમ સમય છે. તો બીજી તરફ મીન રાશિને પનોતી હોવા છતાં વક્રી શનિ તેમની તંદુરસ્તી માં સુધારો કરશે. અણધાર્યા લાભ અને કૌટુંબિક સુખ શાંતિમાં વધારો થશે. જુનથી નવેમ્બર દરમિયાન એકાદ-બે મહત્વના કાર્યો પાર પડશે… જુના લેણા પરત આવવા માટેનો આ શ્રેષ્ઠ સમય કહી શકાય. સંતાન વિહોણા દંપતી માટે સંતાન પ્રાપ્તિની એક ઉત્તમ તક છે. આ સમય દરમિયાન નોકરિયાતો માટે પ્રમોશન, ઇન્ક્રીમેન્ટની ઉજ્જવળ તક દેખાય છે… વક્રી શનિથી લાભાન્વિત થવાના લીસ્ટમાં હજુ એક રાશિ ભાગ્યશાળી પુરવાર થશે અને આ રાશિ કન્યા રાશિ છે. આ રાશિના જાતકો પર ગુરુની અમિ દ્રષ્ટિ તો છે જ પણ વક્ર શનિ તેમના ભાગ્યને વધુ સીધું કરશે. વિવાહ, લગ્નના વિઘ્નો દૂર થશે. આ સમયમાં નવું મકાન,વાહન ખરીદવાના પણ યોગ છે.
શનિ નું વક્રી ભ્રમણ કર્ક, વૃશ્ચિક, મકર, કુંભ રાશિના જાતકો માટે અતિ કષ્ટદાયી અને નિરાશાજનક સાબિત થશે. કર્ક રાશિના જાતકોના આઠમા સ્થાનમાં કુંભનો વક્રી શનિ તેમની તંદુરસ્તી બાબતે ભારે ગરબડ પેદા કરશે. તમારા ધંધા, વ્યવસાય અને પારિવારિક સમસ્યાઓ વધુ કઠિન બનશે અને કોઈ અસાધ્ય રોગના સંકેત દેખાશે. વાહન ચલાવતા ખાસ કાળજી લેવી જરૂરી છે. આર્થિક લેણદેણ બાબતે ખાસ ધ્યાન આપવું જરૂરી છે. જુનથી નવેમ્બર સતર્ક રહેવું જરૂરી છે.
વૃશ્ચિક રાશિના જાતકો શનિની નાની પનોતીમાં તો છે જ અને હવે જમીન,મકાન અને વાહનોના પ્રશ્નો પણ તમને ગુંચમાં નાખશે. મકાન, વાહન ખરીદીમાં કોઈ છેતરપિંડી ના થાય તેનું પણ ધ્યાન રાખવું. માનસિક તાણ અને કૌટુંબિક વારસાઇ હક્કના ડખામાં કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે. જુનથી નવેમ્બર શનિનું આ ભ્રમણ વૃશ્ચિક રાશિના જાતકોને જીવનમાં મોટા ઉતાર-ચઢાવ બતાવશે .
મકર રાશિના જાતકો શનિની પનોતીનો આ અંતિમ પણ વક્ર તબક્કો ભારે પુરવાર થશે. નોકરી ક્ષેત્રે ઓવર લોડ થવું અને ઉપરી અધિકારીઓનો ઠપકો ઉપરાંત પ્રમોશન અટકવાના સંજોગ જણાશે. માતાની તબિયતની કાળજી ખાસ લેવી. કોલેસ્ટ્રોલ અને બીપી જેવા રોગથી સાવધ રહેવું.
કુંભ રાશિના જાતકો માટે વક્રી શનિનો આ નાનો સુનો સમય સુનામી લાવે તે પ્રકારનો જણાય છે. અહી તન મન ધનથી સાવધ રેહવું અતિ જરૂરી છે. ક્યાંક નામ બદનામ તો ક્યાંક કામ નાકામ થાય તેવા કષ્ટદાયી યોગ દેખાય છે. આ સમયમાં કારણ વિનાની લાલચો તમારી સમક્ષ આવશે પણ આ લાલચ તમને ખાડે નાખશે. સાવધ રહેશો તો વધ નહિ થાય.
Shani Vakri 2024: જે જાતકો માટે શનિનું વક્ર ભ્રમણ નુકસાનકારક છે તેવા જાતકો એ નીચે પ્રમાણે ઉપાય કરવા જરૂરી છે.
- જમણા કાંડા પર લાઈટ કલરનો બ્લુ રેશમનો ધાગો પેહરવો.
- ઘરમાં લોખંડનો ભંગાર પડ્યો હોય તેને દૂર કરવો.
- દર શનિવારે સુંદરકાંડનો પાઠ કરો અને પાઠ કરતી વખતે હનુમાનજીના ફોટો કે મૂર્તિ સમક્ષ ૨૧ આકડાના ફુલ મૂકી તેના પર કોરું સિંદુર ભભરાવવું.
- ઔમ શં શનેશ્ચરાય નમઃ મંત્રનો મનમાં જાપ કરવો .
