Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૦

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

by Akash Rajbhar
Bhagavat ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૦ (1)

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

બહુ બોલશો નહિ. દિવસમાં કંઈ નહિ તો ત્રણ કલાક મૌન રાખો. મૌન મનને એકાગ્ર બનાવે છે. મૌનથી મનની શક્તિ વધે છે. વાણી અને પાણીનો જે દુરુપયોગ કરે છે, તે ઇશ્વરનો ગુનેગાર છે. જેને માયાને તરવાની ઈચ્છા છે તે કાયાથી, મનથી, વચનથી કોઈનું દિલ ન દુભાવે. સ્વધર્મમાં નિષ્ઠા રાખો. ભાગવત ધર્મમાં નિષ્ઠા રાખવી, અન્ય ધર્મ પ્રત્યે કુભાવ ન રાખવો. જેને માયા તરવાની ઈચ્છા છે તે રોજ પ્રાર્થના કરે. જીવ અને ઇશ્વરનો પહેલો સંબંધ શબ્દથી થાય છે. સ્ત્રી-પુરુષનો સંબંધ પણ વાગ્દાનથી, વેવિશાળથી શરૂ થાય છે. રોજ પ્રાર્થના કરો, નાથ હું તમારો છું. મારા અપરાધો ક્ષમા કરો. વિવેકપૂર્વક વિચાર કરવાથી માયાનો મોહ ઓછો થાય છે. બાકી મનુષ્યના જીવનનો ઘણો સમય અને સંપત્તિ, વ્યસન અને ફેશન પાછળ જાય છે. માયાને તરવાના ઘણાં સાધનો છે પણ ભક્ત કેવળ ભક્તિથી અનાયાસે માયાને તરી જાય છે. મામેવ પ્રપદ્યંતે માયામેતાં તરન્તિ તે ।। જે મારે શરણે આવે છે તે માયાને તરી જાય છે. કળિયુગમાં શ્રીકૃષ્ણના નામનો જપ કરવાથી સદ્ગતિ મળે છે. સેવા ક્રિયાત્મક નહિ. પરંતુ ભાવાત્મક જોઇએ. કળિયુગના મનુષ્યોનાં શરીરો વિલાસી હોય છે. શરીરની ઉત્પત્તિ જ કામમાંથી થયેલી છે, તેથી કળિયુગમાં યોગમાર્ગ અને જ્ઞાનમાર્ગથી ઇશ્વરપ્રાપ્તિ થવી બહુ જ મુશ્કેલ છે. કળિયુગમાં હરિકીર્તન સહેલો ઉપાય છે. સિદ્ધાંતો જાણે બધાં પણ જીવનમાં તો પુણ્યશાળી માણસો જ ઉતારી શકે છે. જીભને પ્રભુના નામનો જપ કરવો સહેલો છે. કારણ કે જીભ તમારે આધીન છે. અને ભગવાનનું નામ પણ સર્વને સુલભ છે. તેમ છતાં જીવો નરકમાં પડે છે. આ શું મોટામાં મોટું આશ્ર્ચર્ય નથી? નારાયણેતિ મન્ત્રોડસ્તિ વાગસ્તિ વશવર્તિની । તથાપિ નરકે ઘોરે પતન્તીત્યેતદદભુતમ્ ।। મહાભારતના વનપર્વમાં યુધિષ્ઠિરનો સંવાદ આવે છે.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૮

તેમાં યક્ષે યુધિષ્ઠિરને એક પ્રશ્ન પૂછેલો. આ દુનિયામાં મોટામાં માટું આશ્ર્ચર્ય શું છે? અહન્યાનિ ભૂતાની ગચ્છન્તિ યમમંદિરમ્ । શેષા: સ્થિરત્વમિચ્છન્તિ કિમાશ્ર્ચર્યમત: પરમ્ ।। દરરોજ સેંકડો જીવો યમરાજના ઘરે જઈ રહ્યા છે. તે જોવા છતાં (તો પણ) બીજા બાકી રહેલા લોકો તો એમ જ માને છે કે આપણે તો મરવાના જ નથી. અને એમ માની આ દુનિયામાં મનસ્વી રીતે રહે છે, વર્તે છે. બાકીના લોકો દુનિયામાં સ્થિર રહેવા ઈચ્છે છે. જાણે છે કે પોતે મરવાના જ નથી. આથી મોટું આશ્ર્ચર્ય બીજું શું હોઇ શકે? આ જ મોટામાં મોટું આશ્ર્ચર્ય છે. પાંચમા યોગેશ્વરે નારાયણ ભગવાનનું સ્વરૂપ બતાવ્યું. તે પછી નિમિરાજાએ કહ્યું:-અમને કર્મયોગ વિષે કાંઇક કહો. આ કર્મ, અકર્મ, વિકર્મમાં મને કાંઈ સૂઝ પડતી નથી. ત્યારે છઠ્ઠા યોગેશ્વર આવિહોત્રિ બોલ્યા:-રાજન! તમે યોગ્ય જ કહ્યું છે, આ કર્મ, અકર્મ અને વિકર્મનો અર્થ કરવામાં ભલભલા વિદ્વાનો પણ ગુંચવાયા છે. કિં કર્મ કિમકર્મેતિ કવયોડપ્યત્ર મોહિતા: ।। ગી.અ.૪.શ્ર્લો.૧૬. જો કે વેદો કર્મ કરવાની આજ્ઞા કરે છે, અને તે માટે કર્મના ફળરૂપે સ્વર્ગાદિની લાલચ આપે છે. પરંતુ તેઓનો ઉદ્દેશ તો કર્મ છોડાવવાનો જ છે. કર્મમાં અકર્મને જુએ અને અકર્મમા કર્મને જુએ, એટલે કે કર્મના ફળમાં આસક્તિ રાખ્યા વગર અનાસકતપણે જે કર્મ કરે તે જ શ્રેષ્ઠ. કર્મ કરો પણ ‘મા ફલેષુ કદાચન’ વૃત્તિ રાખીને કર્મ કરો. દરેક કર્મ ઇશ્વરાર્પણ બુદ્ધિથી કરો. આ પ્રમણે કર્મોનું રહસ્ય સમજાવ્યું. સાતમા યોગેશ્ર્વર દ્રુમિલે ભગવાનની લીલાઓનું વર્ણન કર્યું. ભગવાનના અનેક અવતારોની કથા સંભળાવી. આઠમા યોગેશ્વર ચમસે ભક્તિહીન પુરુષોની ગતિનું વર્ણન કર્યું. ભક્તિહીન પુરુષો નરકમાં પડે છે. તે પછી કરભાજન નામના નવમા યોગેશ્વરે પરમેશ્વરની પૂજાવિધિઓ બતાવી. છેવટે નારદજી કહે છે, વસુદેવજી, બહુત ગઇ થોડી રહી. સમય થોડો છે. કામ ઘણું કરવાનું છે. શ્રીકૃષ્ણ મારો છોકરો છે તેવી ભાવના ન રાખો. એ સાક્ષાત પરમાત્મા છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More