ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૨૪

પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

by Akash Rajbhar
The purpose of Bhagavata and its mahatmya. – 124

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

પ્રથમ સ્કંધમાં અધિકારનું વર્ણન કર્યું. ભાગવતનો શ્રોતા કેવો હોવો જોઇએ વગેરે બતાવ્યું. દ્વિતીય સ્કંધ એ જ્ઞાન લીલા
છે. બીજા સ્કંધમાં મરણ સમીપ આવેલું હોય ત્યારે જીવે કેમ વર્તવું, મનુષ્ય માત્રનું કર્તવ્ય શું છે, વગેરે જ્ઞાન ગુરુએ આપ્યું.
પાત્ર વગર જ્ઞાન ટકતું નથી. સુપાત્ર વગર જ્ઞાન શોભે નહીં. ધન અને જ્ઞાન, પાત્ર વગર શોભતાં નથી.
જ્ઞાન ક્રિયાત્મક ન થાય, ત્યાં સુધી તે અજ્ઞાન જેવું છે. બહુ જાણવા કરતાં જે જાણ્યું છે તેને જીવનમાં ઉતારવા પ્રયત્ન
કરવો. જ્ઞાન ક્રિયાત્મક ન બને ત્યાં સુધી, એ જ્ઞાનની કિંમત નથી. જ્ઞાન ક્રિયાત્મક બને ત્યારે જ, એ શાંતિ આપે છે. જ્ઞાનને
શબ્દરૂપ નહિ, પણ ક્રિયાત્મક બનાવો. વિચાર કરતાં લાગે છે કે જ્ઞાનનો અંત આવ્યો નથી અને આવવાનો પણ નથી. પરંતુ જ્ઞાન
ક્રિયાત્મક બને ત્યારે શાંતિ મળે છે.
ગુરુએ આપેલું જ્ઞાન ક્રિયામાં, જીવનમાં કેવી રીતે ઉતારવું એ ત્રીજા સ્કંધમાં બતાવ્યું, તૃતીય સ્કંધમાં જ્ઞાન અને ક્રિયાનું
મધુર મિલન કેવી રીતે કરવું તે બતાવ્યું છે.
કપિલ એટલે જીતેન્દ્રિય જ્ઞાનને પચાવી શકે છે. વિલાસી લોકો જ્ઞાનનો અનુભવ કરી શકે નહિ. વેદનો અધિકાર સર્વને
નથી, વેદનો અધિકાર વિરક્તને છે.
વેદનો સંહિતા ભાગ મંત્રરૂપ છે. બ્રાહ્મણ સંહિતાનું ભાષ્ય છે. આરણ્યકમાં ઉપનિષદ્ આવે છે. અતિ સાત્ત્વિક જીવન
ગાળનાર ઋષિઓ જેનું ચિંતન કરે છે, તે ઉપનિષદ્, તે જ વેદાંત. વેદનો અંત વેદાંત, અંતનો અર્થ છે સમાપ્તિ. વેદની સમાપ્તિ
ઉપનિષદમાં છે.

ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૨૩

વૈરાગ્ય અને સંયમ વગર જ્ઞાન પચતું નથી. જ્ઞાનને જીવનમાં ઉતારી ભક્તિમય જીવન ગાળનારાં ઓછા છે.
જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો સરસ્વતીના કિનારે રહેવું પડશે. કર્દમ થવું પડશે. કર્દમ થશો તો બુદ્ધિ દેવહૂતિ થશે, એટલે કે
જીતેન્દ્રિય થશો, તો બુદ્ધિ નિષ્કામ થશે. જ્ઞાન સિદ્ધ થશે. જ્ઞાન સિદ્ધ થયા પછી પુરુષાર્થ સિદ્ધ થાય છે. એટલે ચોથા સ્કંધમાં,
આવી ચાર પુરુષાર્થોની કથા છે.
પુરુષાર્થ ચાર છે:-ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એટલે ચતુર્થ સ્કંધમાં ચાર પ્રકરણો છેઃ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.
સાત શુદ્ધિઓ:-(૧) દેશશુદ્ધિ (૨) કાલશુદ્ધિ (૩) મંત્રશુદ્ધિ (૪) દેહશુદ્ધિ (૫) વિચારશુદ્ધિ (૬) ઈન્દ્રિયશુદ્ધિ અને
(૭) દ્રવ્યશુદ્ધિ.
અર્થ પ્રકરણના પાંચ અધ્યાય છે, કારણ અર્થની પ્રાપ્તિ પાંચ સાધનથી થાય છે, પાંચ સાધનો (૧) માતા-પિતાના
આશીર્વાદ (૨) ગુરુકૃપા (૩) ઉદ્યમ (૪) પ્રારબ્ધ અને (૫) પ્રભુકૃપા. આ પાંચ પ્રકારના સાધનોથી ધ્રુવને અર્થની પ્રાપ્તિ થઈ
હતી.
કામ પ્રકરણના અગિયાર અધ્યાય છે. કારણ કામ અગિયાર ઈન્દ્રિયોમાં રહેલો છે. પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને
અગિયારમું મન. એમ અગિયાર ઠેકાણે કામ રહેલો છે. રાવણને દશ મસ્તકો હતાં એટલે કે રાવણ-કામ દશ ઇન્દ્રિયોમાં રહેલો છે.
સર્વને રમાડે એ રામ, સર્વને રડાવે એ રાવણ. કામ જીવમાત્રને રડાવે છે.
કામ મનમાંથી જતો નથી. એ જ વિઘ્નરૂપ છે. મનમાં કામ, આંખ વાટે આવે છે. માટે આંખમાં રાવણ-કામને આવવા
દેશો નહીં.
રામ જેવા નિર્વિકારી બનો, તો રાવણ એટલે કામ મરશે. અને કામ મરશે તો રામ મળશે.
મોક્ષ પ્રકરણના આઠ અધ્યાય છે.
પ્રકૃત્તિના આઠ પ્રકાર છે ભુમિરાપોડનલો વાયુ: ખં ભનો બુદ્ધિરેવ ચ અહંકાર ઈતિ। પૃથ્વી, જળ, આકાશ, વાયુ, તેજ, મન,
બુદ્ધિ અને અહંકાર, આ અષ્ટધા પ્રકૃતિને કાબૂમાં રાખે તેને મોક્ષ મળે છે. અષ્ટધા પ્રકૃતિમાંથી મુક્ત થાય તેને મુક્તિ મળે છે.
પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થાય છે તે કૃતાર્થ બને છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More