ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૨૫

પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

by Akash Rajbhar
The purpose of Bhagavata and its mahatmya. – 125

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

પ્રકૃતિ ઉપર વિજય મેળવનાર મુક્ત બને છે. પ્રકૃતિ એટલે સ્વભાવ. અનેક જન્મોના સંસ્કારોને અનુસરી મન દોડે છે.
મોટા મોટા ઋષિઓ પણ પ્રકૃતિને એટલે કે સ્વભાવને વશ રાખી શકયા નથી. તેથી બંધનમાં આવ્યા છે. અષ્ટધા પ્રકૃતિ ઉપર
વિજય મેળવે તેને મુક્તિ મળે છે. પ્રકૃતિને વશ થાય છે તે જીવ. અને જેને પ્રકૃતિ વશ થાય છે તે ઇશ્વર. નવધાભક્તિ, જેની સિદ્ધ
થાય તે ઈશ્વરનો થાય. ભગવાન જેવા, ન થઈ શકો તો કાંઇ વાંધો નહિ. પરંતુ ભગવાનના થઈ ને રહેજો.
આમ એકત્રીસ અધ્યાયનો આ ચતુર્થ સ્કંધ છે.
ચાર પુરુષાર્થમાં પ્રથમ ધર્મ છે અને ચોથો મોક્ષ. વચ્ચે અર્થ અને કામ છે. આ ક્રમ ગોઠવવામાં રહસ્ય છે. ધર્મ અને
મોક્ષની વચ્ચે અર્થ અને કામને રાખ્યા છે. તે બતાવે છે કે અર્થ અને કામ, ધર્મ અને મોક્ષને અનુસરીને પ્રાપ્ત કરવાનાં છે, ધર્મ અને
મોક્ષ બન્ને પુરુષાર્થ મુખ્ય છે. બાકીના બે, અર્થ અને કામ ગૌણ છે. ધર્મ વિરૂદ્ધનો કોઈ પણ પુરુષાર્થ સફળ થતો નથી. ધર્મનું
સદા સ્મરણ રાખો. સૌથી પ્રથમ પુરુષાર્થ ધર્મ છે. ધર્મને અનુસરી અર્થ અને કામની પ્રાપ્તિ કરવાની છે.
પૈસા મુખ્ય નથી. ધર્મ જ મુખ્ય છે. ધનથી જ સુખ મળે છે એ ખોટી વાત છે. સુખ મળે છે સંયમથી, સુખ મળે છે
સદાચારથી, સુખ મળે છે સારા સંસ્કારોથી, સુખ મળે છે પ્રભુની ભક્તિથી, સુખ મળે છે ત્યાગથી. માનવ જીવનમાં ધર્મ જ પ્રધાન
છે. ધર્મ કરતાં પૈસો શ્રેષ્ઠ હોઈ શકે નહીં. ધર્મ આ લોક અને પરલોકમાં સુખ આપે છે. મર્યા પછી ધન સાથે આવતું નથી. પરંતુ ધર્મ
સાથે આવે છે. માટે ધન કરતાં ધર્મ શ્રેષ્ઠ છે. જ્યારથી લોકો અર્થને-પૈસાને મહત્ત્વ આપવા લાગ્યા ત્યારથી જીવન બગડયું છે. શ્રી
શંકરાચાર્ય સ્વામીએ એક જગ્યાએ અર્થને અનર્થ બતાવ્યો છે અર્થ અનર્થ ભાવય નિત્યમ્ જીવન ત્યારે સુધરે છે કે જ્યારે મનુષ્ય
ધન કરતાં ધર્મને વિશેષ સમજે છે.

ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૨૪

અર્થને ધર્માનુકૂલ રાખો. ધર્માનુકૂલ ન હોય તે અર્થ પણ અનર્થ છે, દેશને સંપત્તિની જેટલી જરુર છે, તેના કરતાં સારા
સંસ્કારોની વિશેષ જરૂર છે. તમારા જીવનમાં ધર્મને પહેલું સ્થાન આપજો. કામસુખ અને અર્થને ગૌણ સ્થાન આપજો. જીવનમાં
કામસુખ અને અર્થ ગૌણ બને ત્યારે મનુષ્યના જીવનમાં દિવ્યતા આવે છે.
ધર્મની ગતિ સૂક્ષ્મ છે. ધર્મ પણ અનેક વાર અધર્મ બને છે. સદ્ભાવના વગર ધર્મ સફળ થતો નથી. સત્ એટલે ઈશ્વર.
ઇશ્વરનો ભાવ સર્વમાં સિદ્ધ કરે એનો ધર્મ, પરિપૂર્ણ સફળ થાય.
મનુષ્યોનો શત્રુ બહાર નથી, મનમાં છે. અંદરના શત્રુઓને મારશો તો જગતમાં તમારો કોઈ શત્રુ નહિ રહે.
ધર્મક્રિયા સદ્ભાવ વગર સફળ થતી નથી. જગતમાં જો કોઇ જીવ પ્રત્યે કુભાવ રાખશો તો તે જીવ તમારા પ્રત્યે કુભાવ
રાખશે.
સર્વ ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ તરીકે પરમાત્મા રહેલા હોવાથી, કોઈ પણ જીવ પ્રત્યે કુભાવ રાખવો એ ઇશ્વર પ્રત્યે કુભાવ રાખવા
જેવું છે. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે કોઈ જીવ સાથે તો શું કોઇ જડ પદાર્થ પ્રત્યે પણ કુભાવ ન રાખવો. સુહ્રદં સર્વભૂતાનામ્
કહ્યું છે; સુહ્રદ સર્વ જીવાનામ્ નથી લખ્યું. જડ પદાર્થો સાથે પણ પ્રેમ કરવાનો. સર્વમાં સદ્ભાવ રાખજો. સર્વમાં સદ્ભાવ એટલે જડ
પદાર્થમાં પણ સદ્ભાવ.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More