ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૫૧

પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

by Akash Rajbhar

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

નારદજી, વ્યાસજીને કહે છે કે હવે આપ એવી કથા કરો કે જેથી સાંભળનારનું પાપ બળે અને તેનું હ્રદય પીગળે. તમે
જ્ઞાન પ્રધાન કથા ઘણી કરી પણ હવે પ્રેમ પ્રધાન કથા કરો. આપ એવી કથા કરો, કે સર્વના હ્રદયમાં શ્રીકૃષ્ણ પ્રેમ પ્રગટે.
કથાનું તાત્પર્ય નારદજીએ બતાવ્યું છે. કથા સાંભળ્યા પછી, પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે અને સંસારના વિષયો પ્રત્યે વૈરાગ્ય
આવે તો કથા સાંભળેલી સાચી.
નારદજીએ વ્યાસજીને આજે આજ્ઞા કરી છે. શ્રીકૃષ્ણપ્રેમમાં તરબોળ થઈ કથા કરશો તો, તમારું અને સર્વનું કલ્યાણ
થશે.
વ્યાસજીએ કહ્યું:-તમે મને એવી કથા સંભળાવો.
નારદજી કહે છે:-તમે જ્ઞાની છો. તમારુ સ્વરૂપ તમે ભૂલ્યા તો નથી ને? તમે સમાધિમાં બેસો અને સમાધિમાં જે દેખાય
તે લખજો.
બહિર્મુખ ઇન્દ્રિયોને અંતર્મુખ કરવાથી સમાધિ સમીપ પહોંચાય છે. ઈશ્ર્વર સાથે એક થવું એટલે સમાધિ. ઇશ્ર્વરમાં
લીન થવું એ જ સમાધિ.
નારદ ન મળે ત્યાં સુધી નારાયણના દર્શન થતાં નથી. સંસારમાં આવ્યા પછી આ જીવ પોતાના સ્વરૂપને ભૂલે છે. કોઈ
સંત કૃપા કરે, ત્યારે જીવને તેના સ્વરૂપનું ભાન કરાવે છે. વ્યાસ નારાયણને પણ નારદજીની જરૂર પડી હતી.
નારદજી તે પછી બ્રહ્મલોકમાં પધાર્યા. વ્યાસજીએ પ્રાણાયમથી દૃષ્ટિ અંતર્મુખ કરી, ત્યાં હ્રદયગોકુળમાં બાળકૃષ્ણ
દેખાયા. વ્યાસજીને સર્વ લીલાઓનાં દર્શન થયાં છે.
વ્યાસજીને નારદજીએ સ્વરૂપનું ભાન કરાવ્યું અને પરિણામે વ્યાસજીએ શ્રીમદ્ભાગવતની રચના કરી. ભાગવતમાં
તત્વજ્ઞાન ઘણું પણ તેનો પ્રધાન વિષય તો પ્રેમ છે. ઇતર પુરાણોમાં જ્ઞાન, કર્મ, આચાર, ધર્મ વગેરે પ્રધાન છે. પરંતુ
ભાગવતપુરાણ પ્રેમપ્રધાન છે, ભક્તિપ્રધાન છે.
વાલ્મીકિ રામાયણ આચાર, ધર્મપ્રધાન ગ્રંથ છે. ત્યારે તુલસી રામાયણ, ભક્તિપ્રધાન ગ્રંથ છે.
વાલ્મીકિને પોતાના જન્મમાં કથા કરવાથી તૃપ્તિ ન થઈ, ભગવાનની મંગળમયી લીલાકથાનું ભક્તિથી પ્રેમપૂર્વક વર્ણન
કરવાનું રહી ગયું, તેથી તેઓ કળિયુગમાં તુલસીદાસ તરીકે જન્મ્યા.

ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૫૦

કલિ કુટિલ જીવ નિસ્તાર હિત વાલમિકિ તુલસી ભયો ।
વેદરૂપી કલ્પવૃક્ષોનું આ ભાગવત ફળ છે. નિગમકલ્પતરોર્ગલિતં ।
એ તો સર્વ વિદિત છે કે ઝાડની છાલ તથા પાનમાં જે રસ હોય છે, તેના કરતાં ઝાડના ફળમાં વિશેષ રસ હોય છે. રસરૂપ
આ શ્રીમદ્ ભાગવતરૂપ ફળનું મોક્ષ મળતાં સુધી તમે વારંવાર પાન કરો,
પિબત ભાગવતં રસમાલયં । 
જીવ ઇશ્વરનું મિલન ન થાય, ત્યાં સુધી આ પ્રેમરસનું પાન કરો.
ઈશ્ર્વરમાં તમારો લય ન થાય, ત્યાં સુધી ભાગવતનો આસ્વાદ કર્યા કરો. ભાગવતરસનું પાન કરો. વેદાંત અધિકારીને
માટે છે. સર્વને માટે સરળ નથી. વેદાંત ત્યાગ કરવા કહે છે. વેદાંત કહે છે, સર્વનો ત્યાગ કરી ભગવાન પાછળ પડો. ત્યારે

સંસારીઓને કાંઈ છોડવું નથી. એવાના ઉદ્ધાર માટે કાંઇ ઉપાય? હા છે, ત્યાગ ન કરી શકે તો કાંઈ નહિ. પરંતુ તમારું સર્વસ્વ
ઇશ્વરને સમર્પણ કરો અને અનાસકત પણે તે ભોગવો.
વ્યાસજીએ બ્રહ્મસૂત્ર લખ્યું, યોગદર્શન ઉપર ભાષ્ય રચ્યું. પરંતુ તેઓને લાગ્યું કે કળિયુગનો માનવી ભોગપરાયણ થશે
અને તેથી તે યોગમાં પ્રવૃત્ત થઈ શકશે નહિ. તેઓના માટે કરુણા કરી તેઓએ આ ભાગવતશાસ્ત્ર રચ્યું.
પરીક્ષિતને નિમિત્ત બનાવીને સંસારમાં ફસાયેલા લોકોને માટે વ્યાસજીએ આ ભાગવતની કથા કરેલી છે.
ય:સ્વાનુભાવમખિલશ્રૃતિસારમેકમધ્યાત્મદીપમતિતિતીર્ષતાં તમોऽન્ધમ્ ।
સંસારિણાં કરુણયાऽऽહ પુરાણગુહ્યં તં વ્યાસસૂનુમુપયામિ ગુરું મુનીનામ્ ।। 
ભાગવત ખાસ કરીને સંસારીઓ માટે છે.
આ ભાગવત પુરાણનું સંસારીઓ ઉપરની કરુણાને લીધે શુક્દેવજીએ વર્ણન કર્યું છે.
પ્રભુપ્રેમ વિના શુષ્ક જ્ઞાનની શોભા નથી એ બતાવવાનો ભાગવતનો ઉદ્દેશ છે. ભક્તિ વિનાના જ્ઞાનની શોભા નથી.
જ્ઞાન વૈરાગ્યથી દૃઢ થયેલું નથી હોતું, ત્યારે તેવું જ્ઞાન મરણ સુધારવાને બદલે સંભવ છે કે મરણ બગાડે. સંભવ છે કે
અંતકાળે આવું જ્ઞાન દગો આપે. મરણને સુધારે છે ભક્તિ. ભક્તિ વગરનું જ્ઞાન શુષ્ક છે અને તે મરણ બગાડે છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More