પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
નાથ, હું આપની સ્તુતિ કેવી રીતે કરું?
ભીષ્મે કરેલી સ્તુતિ અનુપમ છે. તે કંઠસ્થ કરવા જેવી છે. એને ભીષ્મસ્તવરાજ સ્ત્રોત્ર પણ કહે છે.
તે પછી, ભીષ્મ ઉતરાયણમાં દેહ છોડે છે. ભીષ્માચાર્ય ભગવતસ્વરૂપમાં લીન થયા છે. કૃતાર્થ થયા છે. ઉત્તરાયણમાં
મરણ એટલે જ્ઞાનની અથવા ભક્તિની ઉત્તરાવસ્થામાં,પરિપકવ દશામાં મરણ. ઉત્તરાયણમાં મરણનો અર્થ એ છે. બાકી ઘણા
પાપીઓ પણ ઉત્તરાયણમાં મરણ પામે છે, તેઓ સદ્ગતિ પામતા નથી. ઘણા યોગીઓ દક્ષિણાયનમાં મરણ પામે છે તેઓની દુર્ગતિ
થતી નથી. દક્ષિણ દિશામાં યમપુરી છે. નરલોક છે. નરલોક એટલે અંધકાર. પરમાત્માનો અનુભવ કર્યા વિના જે મરે છે, તેનું
મરણ દક્ષિણાયનમાં થયું કહેવાય. સંતનો જન્મ સાધારણ હોવા છતાં મૃત્યુ મંગલમય હોય છે.
ભીષ્મ મહાજ્ઞાની હતા. તેમ છતાં પ્રભુ પ્રેમમાં તન્મય થઇને મર્યા છે. તે બતાવે છે, ભક્તિ શ્રેષ્ઠ છે.
સાધનભક્તિ કરતાં કરતાં સાધ્યભક્તિ સિદ્ધ થાય છે.
મરણ કોનું સુધર્યું? જેના મરણ વખતે દેવો વાજાં વગાડે તેનું. ભીષ્મના પ્રયાણ વખતે દેવો વાજાં વગાડે છે.માટે કરણી
એવી કરો કે:-જબ તુમ આયે જગતમેં જગ હંસે તુમ રોય । ઐસી કરની કર ચલો, તુમ હસે જગ રોય ।
માનવ જીવનની છેલ્લી પરીક્ષા મરણ છે. જેનું જીવન સુધરે છે, એનુ મરણ સુધરે છે. જેનું મરણ બગડયું એનું આખું
જીવન બગડયું. મરણ ત્યારે સુધરે જયારે પ્રત્યેક ક્ષણ સુધરે. જીવન એનું સુધરે છે, જેનો સમય સુધરે છે. જેને સમયની કિંમત છે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૬૮
ગયેલી સંપત્તિ મળશે પણ ગયેલો સમય નહિ મળે. પ્રતિક્ષણનો જે સદુપયોગ કરશે, તેનું મરણ સુધરશે. કણનો દુરુપયોગ ન કરો અને
ક્ષણનો દુરુપયોગ ન કરો. કણનો દુરુપયોગ કરે એ દરિદ્ર થાય છે. અને ક્ષણનો દુરુપયોગ કરે તેનું જીવન બગડે છે. પ્રતિદિન
સંયમને વધારો. પ્રતિપળે ઈશ્વરનું સ્મરણ કરે, તેનું મરણ સુધરે છે. ભીષ્મે આજીવન સંયમ રાખ્યો છે. સંયમ વધારી પ્રભુના સતત
સ્મરણની આદત પડે તો મરણ સુધરે. અંતકાળનો સમય બહુ કઠણ છે. તે વખતે પ્રભુનું સ્મરણ થવું બહુ કઠણ છે.
જન્મ જન્મ મુનિ જતન કરાહીં, અંત રામ કહિં આવત નાહિં । આખું જીવન જેની પાછળ જશે તે જ અંતકાળે તેને યાદ
આવશે. મનુષ્ય પ્રયત્ન વિનાં ઈશ્વર કૃપા કરતા નથી. આખું જીવન જે ભગવત સ્મરણ કરશે, તે કદાચ અંત કાળે ભગવાનને ભૂલી
જાય, તો પણ ભગવાન તેને યાદ કરશે. સત્કર્મ વ્યર્થ જતા નથી. મારો ભક્ત મને ભૂલે પણ હું તેને નહિ ભૂલું. ભીષ્મપિતાનું મરણ
સુધારવા દ્વારકાનાથ પધાર્યા છે. ભીષ્મપિતાનું મરણ સુધાર્યું છે. ભીષ્મપિતા જ્ઞાનનો ભરોસો રાખતા નથી. તેમણે પ્રભુની
શરણાગતિ સ્વીકારી છે.
દાદાના મરણથી યુધિષ્ઠિરને તો દુ:ખ થયું, પરંતુ તેમને સદ્ગતિ મળી તેથી તેમને આનંદ પણ થયો.
યુધિષ્ઠિર ગાદી ઉપર વિરાજ્યા છે. ધર્મરાજા હસ્તિનાપુરમાં રાજ્ય કરવા લાગ્યા. ધર્મરાજાના રાજ્યમાં દુકાળ નથી,
અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ નથી. ધર્મરાજાના પવિત્ર રાજયમાં કોઈ દુ:ખી નથી, કોઈને પણ રોગ નથી. ધર્મની મર્યાદાનું પાલન કરે
તો, તે કોઈ દિવસ રોગી થાય નહિ.
ભોગવાસના અનેક જન્મોથી મનમાં છે, તેનો જલદી ત્યાગ થઈ શકતો નથી. પરંતુ વિવેકથી ભોગ ભોગવે તો, અંતકાળ
સુધી ઈન્દ્રિયો સાજી રહે. ધર્મની મર્યાદામાં રહી મનુષ્ય અર્થ, કામ ભોગવે તો દુ:ખી થાય નહિ. સાદાચાર અને સંયમને નહિ
વધારો, તો સંપત્તિ પણ આનંદ નહિ આપે. મનને એકદમ સંકલ્પરહિત મનન કરવું કઠણ છે, માટે પવિત્ર સંક૯પ કરો.
પરમાત્માના ચરણનો દૃઢ આશ્રય કરો, ત્યારે જ મન શાંત થશે.