ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૯૬

પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

by Akash Rajbhar
The purpose of Bhagavata and its mahatmya. – 96

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

શુકદેવજી કહેવા લાગ્યા:-રાજન્! સંગનો રંગ મનને લાગે છે. મનુષ્ય જન્મથી બગડેલો હોતો નથી. મનુષ્ય જન્મથી શુદ્ધ
હોય છે. મોટો થયા પછી જેના સંગમાં આવે તેવો બને છે. જેના સંગમા આવશો તેના જેવા થશો. સત્સંગથી જીવન સુધરે છે.
કુસંગથી જીવન બગડે છે.
વિચાર કરો, બાળકનો જન્મ થયો, ત્યારે તેને કોઈ વ્યસન ન હતું. તેને કોઈ પણ કુટેવ ન હતી. બાળકમાં અભિમાન
નથી હોતું, કોઈ પણ દોષ નથી હોતો. જ્યારે જન્મ થયો ત્યારે બાળકમાં કોઈ દોષ ન હતો. મોટો થયો પછી જેના સંગમાં આવ્યો,
એવો એ બન્યો છે. એ મોટો થયો અને છીંકણી સૂંઘનાર સાથે રહેવા લાગ્યો, ત્યારથી છીંકણી સૂંઘવા લાગ્યો. સંગથી જીવન સુધરે
છે અને સંગથી જીવન બગડે છે. આંબા ફરતા બાવળ વાવશો તો આંબો ફળશે નહિ. મન ઉપર સંગની અસર થાય છે. વિલાસીનો
સંગ હશે તો મનુષ્ય વિલાસી થશે. વિરક્તના સંગમાં રહે તો તે વિરક્ત બને, બીજું બધું બગડે તો બગડવા દેજો પણ આ મન,
બુદ્ધિને ન બગડવા દેશો. કાળજાને જો ડાઘો પડયો તો ત્રણ ચાર જન્મ લેશો તો પણ ડાઘો જશે નહિ.
સંગનો રંગ મનને જરૂર લાગે છે, તમારાં કરતાં જ્ઞાનમાં, સદાચારમાં, ભક્તિમાં, વૈરાગ્યમાં જે આગળ હોય, તેવા
મહાપુરુષોનો આદર્શ દૃષ્ટિ આગળ રાખજો. રોજ ઇચ્છા કરવાની કે ભગવાન શંકરાચાર્ય જેવું જ્ઞાન, મહાપ્રભુજી જેવી ભક્તિ અને
શુકદેવજી જેવો વૈરાગ્ય મને પ્રાપ્ત થાય.
પ્રાત: સમયમાં ઋષિઓને યાદ કરવાથી તેમના ગુણો આપણામાં ઉતરી આવે છે. દરેક ગોત્રના ઋષિ હોય છે, આ
ગોત્રના ઋષિને પણ રોજ યાદ કરવાના હોય છે. આજે પોતાના ગોત્રનો પણ કોઇને ખ્યાલ નથી. વૈશ્યો કશ્યપ ગોત્રના છે. રોજ
ગોત્રોચ્ચાર કરો, રોજ પૂર્વજોને વંદન કરો. મારે ઋષિ જેવું જીવન ગાળવું છે. ઋષિ થવું છે. વિલાસી થવું નથી. રામ પણ રોજ
વસિષ્ઠજીને માન આપે છે અને વંદન કરે છે. સંસાર-વ્યવહારમાં રહીને બ્રહ્મજ્ઞાન ટકાવવું, ખૂબ ભક્તિ કરવી એ ઘણું કઠણ છે.
સંગની અસર ખૂબ લાગે છે. ચોરી અને વ્યભિચાર બંને મહાપાપ ગણાયાં છે. આ પાપ સગો ભાઈ કરે, તો તેનો સંગ પણ છોડી
દેજો. કોઈ જીવનો તિરસ્કાર ન કરવો, પણ તેના પાપનો તિરસ્કાર કરવો. વિદુરજીને એવું લાગ્યું કે ધૃતરાષ્ટ્રનો કુસંગ મારી
ભક્તિમાં વિધ્ન કરશે. ધૃતરાષ્ટ્રના સંગમાં રહીશ તો મારું જીવન બગડશે, તેથી વિદુરજી ઘરનો ત્યાગ કરી, ગંગાકિનારે આવી,
ભગવાનની ભક્તિ કરવા લાગેલા. તાંદળજાની ભાજીમાં સંતોષ માનેલો. ઇન્દ્રિયોમાં જે ફસાયો તે ભક્તિ શું કરશે? માટે ઇન્દ્રિયો
અંતકાળ સુધી સાજી રહે તેવો આહાર કરવો. ધૃતરાષ્ટ્રે વિદુરજી માટે ઘણું મોકલ્યું પણ વિદુરજીએ તેનો સ્વીકાર કર્યો નહિ. પાપીના
ઘરનું ન ખવાય. પ્રભુ-ભજનમાં અન્નદોષ વિધ્ન કરે છે.

ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૯૫

ભગવાન કૃપા કરે છે, ત્યારે સંપત્તિ આપતા નથી, પણ સાચા સંતનો સત્સંગ આપે છે. સત્સંગ ઇશ્વરકૃપાથી મળે છે.
પણ કુસંગમાં ન રહેવું તે પોતાના હાથની વાત છે. કુસંગનો અર્થ છે, નાસ્તિકનો સંગ, કામીનો સંગ. સંગનો રંગ લાગે છે. પાપીનો
સંગ ન કરવો. વિદુરજી ધૃતરાષ્ટ્ર-દુર્યોધનનો ત્યાગ કરી તીર્થયાત્રા કરવા ગયા.
ઈશ્વરને માટે લૌકિક સુખનો ત્યાગ ન કરે, ત્યાં સુધી તે જીવ માટે પ્રભુને દયા આવતી નથી. સર્વનો ત્યાગ કરી, વિદુર-
સુલભા પરમેશ્વરનું આરાધન કરે છે, તપ કરે છે. તપ કરવાથી પાપ બળે છે. જીવ શુદ્ધ થાય છે. ગૃહસ્થનો ધર્મ છે કે વર્ષમાં
અગિયાર માસ ઘરમાં રહેવું અને એક માસ કોઈ પવિત્ર તીર્થમાં પવિત્ર સ્થળે એકાન્તમાં બેસી તપ કરવું. તે વખતે પ્રવૃત્તિ ન હોવી
જોઈએ. જે કાર્ય કરો તે પ્રભુ માટે જ કરો. ત૫ કરવાથી પરમાત્માને દયા આવે છે. તપનું પહેલું અંગ છે જીભ ઉપર અંકુશ. જેની
જરૂરિયાત વધારે છે, તે તપ કરી શકશે નહિ. આજકાલ લોકોની જરૂરિયાત બહુ વધારે છે. પરિણામ એ આવે છે કે સંપત્તિ અને
સમયનો વ્યય ઇન્દ્રિયોને લાડ લડાવવામાં થાય છે. મનુષ્ય સાધના કરતો નથી અને ખોટી વાતો કરે છે, મને ભગવાન દેખાતા
નથી. ભગવાન સુલભ નથી, પણ દુર્લભ છે. વિદુરજીએ પરમાત્મા માટે ખૂબ તપશ્ચર્યા કરી. ભગવાનને દયા આવી કે મારા વિદુરે
મારા માટે કેટલો ત્યાગ કર્યો છે. તેથી વગર આમંત્રણે પરમાત્મા તેમને ઘરે આવ્યા છે. વિદુરજીનો પ્રેમ એવો કે પરમાત્માને પણ
તેની પાસે માગવાની ઈચ્છા થઇ. ભગવાનને માગવાની ઇચ્છા થાય ત્યારે સમજવું, કે આપણી ભક્તિ સાચી છે. જયાં પ્રેમ હોય
ત્યાં માગીને ખાવાની ઇચ્છા થાય છે. પ્રેમ હોય તો કનૈયો કહે છે, તું મારા માટે માખણ લઈ આવ. જયાં પ્રેમ ન હોય ત્યાં આપે, તો
પણ ખાવાની ઈચ્છા થતી નથી. પરમાત્મા પ્રેમથી પરતંત્ર બને છે. ઇશ્વર સાથે જેને પ્રેમ કરવો છે, તે જગત સાથે બહુ પ્રેમ ન કરે.
જગતનો તિરસ્કાર ન કરો તેમ તેની સાથે બહુ પ્રેમ પણ ન કરો. પ્રેમ કરવા લાયક માત્ર એક ઇશ્વર જ છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More