News Continuous Bureau | Mumbai
PhonePe Wallet Maintenance Fee ડિજિટલ પેમેન્ટના વધતા વ્યાપ વચ્ચે ફોનપે એ પોતાના વૉલેટ યુઝર્સ માટે એક મહત્વનો નિયમ જાહેર કર્યો છે. જો તમે તમારા ફોનપે વૉલેટનો લાંબા સમયથી ઉપયોગ કર્યો નથી, તો હવે તમારે ‘ઇનએક્ટિવિટી મેન્ટેનન્સ ફી’ (Inactivity Maintenance Fee) ભરવી પડી શકે છે. કંપનીના નવા નિયમ મુજબ, વૉલેટને સક્રિય રાખવા માટે સમયાંતરે નાણાકીય વ્યવહાર કરવો અનિવાર્ય છે.
PhonePe Wallet Maintenance Fee – વૉલેટ ક્યારે નિષ્ક્રિય ગણાશે?
ફોન-પે ના નવા નિયમ અનુસાર, જો કોઈ વૉલેટમાંથી સળંગ ૩૬૫ દિવસ (એક વર્ષ) સુધી કોઈ પણ સીધો આર્થિક વ્યવહાર (Financial transaction) કરવામાં આવ્યો નથી, તો તેને નિષ્ક્રિય (Inactive) ગણવામાં આવશે. અહીં એ નોંધવું જરૂરી છે કે માત્ર એપ ઓપન કરવી, બેલેન્સ તપાસવું કે યુપીઆઈ (UPI) દ્વારા પેમેન્ટ કરવું એ વૉલેટની સક્રિયતા ગણાશે નહીં. વૉલેટને સક્રિય રાખવા માટે વૉલેટના બેલેન્સનો ઉપયોગ કરીને પેમેન્ટ કરવું કે પૈસા મોકલવા જરૂરી છે.
PhonePe Wallet Maintenance Fee – ફી અને શુલ્કની વિગતો
કંપનીએ જાહેર કર્યા મુજબ, નિષ્ક્રિય વૉલેટ માટે દર ત્રણ મહિને ૧૦૦ રૂપિયા (GST સાથે) મેન્ટેનન્સ ચાર્જ વસૂલવામાં આવશે. જો તમારા વૉલેટમાં ૧૦૦ કે તેથી વધુ રૂપિયા પડ્યા હશે, તો કંપની સીધા ૧૦૦ રૂપિયા કાપી લેશે. જો બેલેન્સ ૧૦૦ રૂપિયાથી ઓછું હશે, તો જેટલું બેલેન્સ હશે તેટલી રકમ કપાઈ જશે અને વૉલેટ ઝીરો થઈ જશે. સારી બાબત એ છે કે કંપની કોઈ પણ સંજોગોમાં વૉલેટનું બેલેન્સ નેગેટિવ (Negative balance) કરશે નહીં.
PhonePe Wallet Maintenance Fee – ચાર્જ કેવી રીતે ટાળવો?
આ વધારાનું શુલ્ક ટાળવાનો સૌથી સરળ રસ્તો એ છે કે તમે વર્ષમાં ઓછામાં ઓછો એકવાર તમારા વૉલેટમાંથી નાનો વ્યવહાર કરો. આ માટે મોટી રકમ ખર્ચવાની જરૂર નથી, એક નાનું રિચાર્જ કરવું કે કોઈને થોડા પૈસા ટ્રાન્સફર કરવા પણ પૂરતા છે. કંપની ચાર્જ કાપતા પહેલા યુઝરને નોટિફિકેશન કે મેસેજ દ્વારા જાણ કરશે. તેથી, મેસેજ મળ્યા બાદ તરત જ એક વ્યવહાર કરીને તમે તમારું વૉલેટ ફરીથી સક્રિય કરી શકો છો અને વધારાનો ખર્ચ બચાવી શકો છો.
👉 આ સમાચાર વાચો:
Jio IPO Announcement રિલાયન્સની મોટી જાહેરાત ‘જીઓ પ્લેટફોર્મ્સ’નો આઈપીઓ (IPO) આવશે, ડ્રાફ્ટ મંજૂર