ભારતીય વાયુ સેના દિવસ દર વર્ષે 8 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. આજે 88મો ભારતીય વાયુસેના દિવસ છે. આઈએએફ આજે દુનિયાની ચોથી સૌથી શક્તિશાળી સેના છે. ક્યારેક માત્ર પાંચ લોકો સાથે શરૂ થયેલ વાયુસેનાની સફર આજે લાખો અધિકારીઓ અને જવાનો સુધી જઈ પહોંચી છે. આઈએએફ આજે ચીન જેવા દુશ્મન દેશોના પણ છક્કા છોડાવવામાં સક્ષમ છે. વાયુસેના જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી લઈને આજ સુધી પોતાના ધ્યેય વાક્ય 'નભઃ સ્પૃશં દીપ્તમ'ને ચરિતાર્થ કરતી આવી છે.
ભારતીય વાયુ સેનાની રચના 8 ઓક્ટોબર, 1932ના રોજ થઈ હતી. 8 ઓક્ટોબર 1932ના રોજ સ્થાપનાને કારણે, દર વર્ષે આ દિવસે વાયુસેના દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતીય વાયુસેનાના વિમાને પ્રથમ ઉડાન 1 એપ્રિલ 1933ના રોજ ભરી હતી. ભારતીય વાયુસેના બ્રિટીશ સામ્રાજ્યની વાયુસેનાના એક એકમ તરીકે સ્થાપિત થઈ હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેના નામમાં રોયલ શબ્દ ઉમેરવામાં આવ્યો હતો. પરંતુ આઝાદીના ત્રણ વર્ષ બાદ 1950માં તેને હટાવવામાં આવ્યું હતું, ત્યારથી તેને ભારતીય વાયુસેના તરીકે ઓળખવામાં આવે છે.
