News Continuous Bureau | Mumbai
BJP મુંબઈ મહાનગરપાલિકાની (BMC) આ વર્ષની ચૂંટણી રાજ અને ઉદ્ધવ ઠાકરે માટે અસ્તિત્વની લડાઈ છે, ત્યારે ભાજપે પણ મુંબઈ પર પોતાનો ભગવો લહેરાવવા માટે કમર કસી લીધી છે. ઠાકરે ભાઈઓ એકસાથે આવતા મરાઠી મતોનું ધ્રુવીકરણ રોકવા માટે ભાજપે અમરાઠી વોટબેંકને પોતાની તરફ ખેંચવા માટે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. આ રણનીતિના ભાગરૂપે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મોટી ફોજ દરેક બૂથ સ્તર પર ગ્રાઉન્ડ લેવલની કામગીરી સંભાળશે.
બ્રાન્ડ ઠાકરેને ટક્કર આપવા 5 ઉત્તર ભારતીય સ્ટાર્સની એન્ટ્રી
મુંબઈમાં વસતા ઉત્તર ભારતીય મતદારોને આકર્ષવા માટે ભાજપ 5 મોટા ચહેરાઓને પ્રચારમાં ઉતારશે. જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ , ભજન ગાયિકા અને ધારાસભ્ય મૈથિલી ઠાકુર, અભિનેતા અને સાંસદ મનોજ તિવારી, રવિ કિશન અને નિરહુઆનો સમાવેશ થાય છે. આ પાંચેય ચહેરાઓ મુંબઈના એવા વિસ્તારોમાં પ્રચાર કરશે જ્યાં હિન્દી ભાષી મતદારોની સંખ્યા નિર્ણાયક છે. આ ઉપરાંત દેવેન્દ્ર ફડણવીસ પોતે મુંબઈમાં 6 મોટી સભાઓ ગજવવાના છે.
આક્રમક હિન્દુત્વ અને શિંદે જૂથનું માઇક્રો-પ્લાનિંગ
ભાજપે આ વખતે અમરાઠી વોટબેંકમાં હિન્દુત્વનું કાર્ડ રમવા માટે નીતીશ રાણે અને ગોપીચંદ પડળકર જેવા આક્રમક નેતાઓને જવાબદારી સોંપી છે. બીજી તરફ, એકનાથ શિંદેની શિવસેનાએ માઇક્રો-પ્લાનિંગ પર ભાર મૂક્યો છે. શિંદે જૂથના શાખા પ્રમુખો ‘લક્ષ્યવેધ’ એપ દ્વારા ઘરે-ઘરે જઈને પ્રચાર કરી રહ્યા છે. ખાસ કરીને વૃદ્ધ મતદારોના પોસ્ટલ વોટ મેળવવા માટે શિંદે સેના ગ્રાઉન્ડ લેવલ પર વિશેષ પ્રયાસો કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Devendra Fadnavis: રાજ અને ઉદ્ધવ એક થાય તો ભાજપનું શું થશે? દેવેન્દ્ર ફડણવીસે આપ્યો સચોટ જવાબ; મુંબઈગરાઓના મન જીતવાનો માસ્ટર પ્લાન રજૂ કર્યો
ઠાકરે ભાઈઓનો શાખાઓ પર પ્રવાસ અને સંયુક્ત સભા
મરાઠી મતદારોના ગઢ ગણાતા લાલબાગ અને વર્લી જેવા વિસ્તારોમાં આજે રાજ અને ઉદ્ધવ ઠાકરે પોતે શાખાઓની મુલાકાત લેશે. તેઓ લાલબાગના પ્રભાગ ક્રમાંક 204 થી પ્રચારના શ્રીગણેશ કરશે. ઉદ્ધવ ઠાકરે કુલ 12 શાખાઓની મુલાકાત લેવાના છે, જેમાંથી 4-5 શાખાઓમાં રાજ ઠાકરે પણ તેમની સાથે હશે. આજે વિક્રોલીમાં યોજાનારી બંને ભાઈઓની સંયુક્ત સભા મુંબઈના રાજકારણમાં નવો વળાંક લાવી શકે છે.
