News Continuous Bureau | Mumbai
Gold Silver Import Duty Hike। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા કરેલી અપીલ બાદ હવે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. સરકારે સોના, ચાંદી અને અન્ય કિંમતી ધાતુઓ પરની કસ્ટમ ડ્યુટી (આયાત શુલ્ક) માં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણયથી હવે ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે.
આયાત શુલ્કમાં ૯ ટકાનો સીધો વધારો
અત્યાર સુધી સોના અને ચાંદી પર આયાત શુલ્ક ૬ ટકા હતો, જેને સરકારે વધારીને હવે ૧૫ ટકા કરી દીધો છે. આ અંગેના સત્તાવાર આદેશો પણ જારી કરી દેવામાં આવ્યા છે. આ આકરા પગલા પાછળ સરકારનો મુખ્ય ઉદેશ્ય સોનાની આયાત ઘટાડવાનો અને વિદેશી મુદ્રા ભંડાર (Foreign Exchange Reserves) પર વધી રહેલા દબાણને ઓછું કરવાનો છે. આ ડ્યુટી વધારાથી આયાત મોંઘી થશે, જેની સીધી અસર સ્થાનિક રિટેલ ભાવ પર પડશે.
પીએમ મોદીની અપીલ બાદ સરકારનું આકરૂં પગલું
પીએમ મોદીએ તાજેતરમાં જ ૨૪ કલાકની અંદર બે વાર દેશવાસીઓને વિનંતી કરી હતી કે દેશના અર્થતંત્રના હિતમાં એક વર્ષ સુધી સોનાની ખરીદી ટાળવી જોઈએ. આ અપીલના તુરંત બાદ સરકારે ટેક્સ માળખામાં ફેરફાર કરીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે સરકાર બિનજરૂરી આયાત રોકવા માટે મક્કમ છે. ખાસ કરીને મધ્ય પૂર્વમાં યુદ્ધના તણાવ અને શેરબજારની અસ્થિરતા વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અર્થતંત્ર અને રૂપિયા પર શું થશે અસર?
ભારત વિશ્વના સૌથી મોટા સોનાના વપરાશકારોમાંનો એક દેશ છે. સોનાની વધુ પડતી આયાતને કારણે ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. આયાત શુલ્કમાં વધારો થવાથી સોનાની માંગમાં ઘટાડો થવાની શક્યતા છે, જેનાથી વિદેશી હૂંડિયામણની બચત થશે અને દેશના ચાલુ ખાતાની ખાધ (Current Account Deficit) ઘટાડવામાં મદદ મળશે. જોકે, આ નિર્ણયથી જ્વેલરી ઉદ્યોગમાં ટૂંકા ગાળા માટે અસ્થિરતા જોવા મળી શકે છે.
👉 આ સમાચાર વાચો:
Today’s Horoscope : આજનો દિવસ:૧૩ મે ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
