News Continuous Bureau | Mumbai
Petrol Diesel Price Hike India| દેશના સામાન્ય નાગરિકો પર સતત મોંઘવારીનો માર પડી રહ્યો છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવને કારણે સર્જાયેલું વૈશ્વિક તેલગેસ સંકટ હવે ભારતના સામાન્ય લોકો માટે મોટી આફત બની ગયું છે. છેલ્લા ૧૨ દિવસમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલની સાથે સીએનજી (CNG) ના ભાવમાં પણ કમરતોડ વધારો ઝીંકવામાં આવ્યો છે. પેટ્રોલડીઝલના ભાવ વધારા બાદ હવે સીએનજી પર પણ મોંઘવારીનો મોટો બોમ્બ ફૂટ્યો છે, જેના કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાની અને આગામી દિવસોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ વધુ મોંઘી થવાની આશંકા સેવાઈ રહી છે.
દિલ્હી-NCR માં CNG ના ભાવમાં ૨ નો નવો વધારો
દિલ્હી-NCR માં ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) દ્વારા મંગળવારે સવારે ૬ વાગ્યાથી સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ૨ રૂપિયાનો વધારો અમલમાં મૂકવામાં આવ્યો છે. આ નવા વધારા સાથે હવે દિલ્હીમાં સીએનજીની કિંમત પ્રતિ કિલો ૮૩.૦૯ રૂપિયા પર પહોંચી ગઈ છે. છેલ્લા બે અઠવાડિયામાં આ ચોથી વખત છે જ્યારે સીએનજી મોંઘું થયું છે. સૌથી પહેલા ૧૫ મેના રોજ સીએનજી ૨ રૂપિયા મોંઘું થયું હતું, ત્યારબાદ ૧૭ મેના રોજ ૧ રૂપિયો, ૨૩ મેના રોજ ૧ રૂપિયો અને હવે ૨૬ મેના રોજ ફરી ૨ રૂપિયાનો વધારો ઝીંકીને ગ્રાહકોના ખિસ્સા ખાલી કરવામાં આવ્યા છે.
ચાર વર્ષ બાદ તેલ કંપનીઓએ ઝીંક્યો મોટો વધારો
દેશની સરકારી તેલ કંપનીઓએ પણ છેલ્લા ૧૨ દિવસમાં ચાર વખત ઇંધણના ભાવ વધાર્યા છે. ૧૫ મેના રોજ ચાર વર્ષના લાંબા ગાળા બાદ પહેલીવાર પેટ્રોલમાં ૩ રૂપિયાનો વધારો કરાયો હતો. ત્યારબાદ ૧૯ મેના રોજ ૮૭ પૈસા, ૨૩ મેના રોજ ૯૭ પૈસા અને છેલ્લે ૨૫ મેના રોજ પેટ્રોલમાં ૨.૬૧ રૂપિયા અને ડીઝલમાં ૨.૭૧ રૂપિયા પ્રતિ લીટરનો તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો. આ આકરા પ્રહાર બાદ દિલ્હીમાં પેટ્રોલ ૧૦0 રૂપિયાની સપાટી વટાવીને ૧૦૨.૧૨ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૯૫.૨૦ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે.
હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં વૈશ્વિક બજાર ખોરવાયું
ભારતમાં ઇંધણની કિંમતોમાં થઈ રહેલા આ અવિરત વધારા પાછળ ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Hormuz Strait) નો વિવાદ મુખ્ય જવાબદાર છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર પર વાત ન બનવાને કારણે આ દરિયાઈ માર્ગ હાલ બંધ છે, જે વિશ્વના કુલ ૨૦ ટકા તેલ અને ગેસ સપ્લાય માટેનો સૌથી મહત્વનો રૂટ છે. ગ્લોબલ એનર્જી માર્કેટમાં સર્જાયેલી આ અસ્થિરતાને કારણે માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના તમામ દેશો પ્રભાવિત થયા છે. નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં પણ આ ભાવ વધારાનો સિલસિલો ચાલુ રહી શકે છે, જેથી સામાન્ય જનતાને હાલમાં મોંઘવારીમાંથી કોઈ રાહત મળે તેવા સંકેત દેખાતા નથી.
👉 આ સમાચાર વાચો:
Today’s Horoscope : આજનો દિવસ:૨૬ મે ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
