News Continuous Bureau | Mumbai
મુંબઈ | વિશેષ પ્રતિનિધિ વિશ્વ સંવાદ કેન્દ્ર, મુંબઈ દ્વારા મીડિયા ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનારા પત્રકારોને આપવામાં આવતો પ્રતિષ્ઠિત ‘દેવર્ષિ નારદ પત્રકારત્વ પુરસ્કાર’ શનિવારે મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) સ્થિત નેશનલ સ્ટોક એક્સચેન્જના એમ્ફીથિયેટરમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં એનાયત કરવામાં આવ્યો હતો. આ વર્ષે આ પુરસ્કારનું 26મું વર્ષ હતું.
આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય લોકનીતિ નિષ્ણાત અને સુપ્રસિદ્ધ લેખક શ્રી સંદીપ વાસલેકર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વરિષ્ઠ પત્રકાર અને ન્યૂઝ કંટીન્યુઅસના તંત્રી ડૉ. મયૂર પરીખ સહિત મીડિયા જગતની 12 હસ્તીઓને તેમની નોંધપાત્ર કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
“જ્યાં સંસ્કૃતિ છે, ત્યાં સંઘર્ષ નથી હોતો”
મુખ્ય અતિથિ શ્રી સંદીપ વાસલેકરે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, “સભ્યતાઓનો સંઘર્ષ ક્યારેય સુસંસ્કૃત માનસ અને સંસ્કૃતિઓ વચ્ચે નથી હોતો. જ્યાં સંસ્કૃતિ છે, ત્યાં સંઘર્ષ માટે કોઈ સ્થાન નથી. ભારતની મૂળ સંસ્કૃતિ ‘વસુધૈવ કુટુંબકમ’ પર આધારિત છે, પરંતુ વૈશ્વિક સ્તરે કેટલાક માધ્યમો દ્વારા ભારતના આ સર્વસમાવેશક વિચારને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.”
સન્માનિત મહાનુભાવો
સમારોહમાં વિવિધ શ્રેણીઓ હેઠળ નીચે મુજબના પત્રકારોને ગૌરવવંત કરવામાં આવ્યા હતા:
* જીવન ગૌરવ પુરસ્કાર: વરિષ્ઠ પત્રકાર શ્રી ગણેશ ઉર્ફે ભાઉ તોરસેકર.
* *વરિષ્ઠ પત્રકાર શ્રેણી:*ડૉ. મયૂર પરીખ (તંત્રી, ન્યૂઝ કંટીન્યુઅસ), શ્રી મિલિંદ બલ્લાળ (થાણે વૈભવ), શ્રી જિતેન્દ્ર દીક્ષિત (NDTV), અને શ્રી રાકેશ ત્રિવેદી (ટાઇમ્સ નાઉ નવભારત).
* લેખન અને રિપોર્ટિંગ: શ્રી ગૌરીશંકર ઘાલે (પુઢારી) અને શ્રી સંજીવ ભાગવત (સકાળ).
* યુવા પત્રકાર: મનશ્રી પાઠક (ઝી 24 તાસ) અને શ્રી સાગર દેવરે (મુંબઈ તરુણ ભારત).
* સોશિયલ મીડિયા: શ્રી આકાશ દાંડેકર, શ્રી માણિક રેગે (ઇન્સ્ટાગ્રામ) અને શ્રી આકાશ ભાવસાર (યૂટ્યૂબ).
સન્માનિત થનાર ડૉ. મયૂર પરીખ પાસે Zee News અને ABP News જેવી સંસ્થાઓમાં કામ કરવાનો 25 વર્ષનો અનુભવ છે અને તેઓ 25 થી વધુ ચૂંટણીઓનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી ચૂક્યા છે. હાલમાં તેઓ ડિજિટલ મીડિયા જર્નાલિસ્ટ એસોસિએશનના પ્રમુખ તરીકે પણ પોતાની સેવાઓ આપી રહ્યા છે.
ભારતની સામરિક શક્તિ પર ચર્ચા
સમારોહના વિશેષ અતિથિ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) આર. આર. નિંભોરકરએ જણાવ્યું હતું કે, આજે ભારતની સંરક્ષણ સજ્જતા ઘણી મજબૂત થઈ છે અને દેશની શસ્ત્ર નિકાસ 30 હજાર કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે. મુખ્ય વક્તા *શ્રી પ્રશાંત પોળ એ ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘સંવાદ’ એ જ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે અને તે યુદ્ધ કરતાં પણ શ્રેષ્ઠ છે.
વિશ્વ સંવાદ કેન્દ્રના અધ્યક્ષ શ્રી સુધીર જોગળેકર એ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે સમાજ અને રાષ્ટ્રહિતને સર્વોપરી રાખનારા પત્રકારોનું સન્માન કરવું એ આ પહેલનો મુખ્ય હેતુ છે. કાર્યક્રમની શરૂઆત ડૉ. નિશિથ કે. ભાંડારકરના પ્રાસ્તાવિકથી થઈ હતી અને સમાપન શ્રી ચંદ્રશેખર વઝેના આભાર પ્રદર્શન સાથે થયું હતું.
