ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 મે 2021
શુક્રવાર
મુંબઈની યેલો ગેટ પોલીસે અરબી સમુદ્રમાં સોમવારે રાતે ડૂબી ગયેલા બાર્જ P-305ના કૅપ્ટન રાકેશ બલ્લવન વિરુદ્ધ ગુનો નોંઘ્યો છે. બાર્જના ચીફ એન્જિનિયર રહેમાન હુસેન શેખની ફરિયાદને આધારે ગુનો નોંધાયો છે.
તાઉતે વાવાઝોડાની ભારતીય હવામાન ખાતાએ અને રાજ્ય સરકારે સતત ચેતવણી આપી હતી. એથી કૅપ્ટને જહાજને સુરક્ષિત સ્થળે લઈ જવાનું હતું, પરંતુ તેણે ચેતવણીની અવગણના કરી હતી અને કર્મચારીઓના જીવ જોખમમાં મૂકી દીધા હતા. આ દુર્ઘટનામાં ડૂબીને મૃત્યુ પામેલા લોકો માટે કૅપ્ટનને જવાબદાર ગણવામાં આવ્યો છે અને તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ચીફ એન્જિનિયર રહેમાન હુસેન શેખ 24 કલાક દરિયામાં ફસાઈ ગયો હતો. જોકે તેને બચાવી લેવાયો હતો અને તે હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. તેણે કરેલી ફરિયાદ મુજબ હવામાન ખાતાની ચેતવણી છતાં તેણે અવગણના કરી હતી. દરિયામાં તોફાન હોવા છતાં કૅપ્ટને જહાજ સુરક્ષિત સ્થળે લીધું નહોતું.
બાર્જમાં 261 લોકો હતા. અત્યાર સુધી 49 મૃતદેહ હાથ લાગ્યા છે, તો પાંચ દિવસ બાદ પણ 26 લોકો હજી સુધી મિસિંગ છે, એમાં કૅપ્ટન રાકેશ બલ્લવનનો પણ સમાવેશ થાય છે. નેવીએ રેસ્ક્યુ ઑપરેશન ચાલુ રાખ્યું છે.