ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
16 ઓક્ટોબર 2020
રેલવે દ્વારા નવું ટાઈમટેબલ બનાવવાની તૈયારી શરુ થઈ ગઈ છે. નવા ટાઇમ ટેબલ મુજબ, 600 મેઇલ એક્સપ્રેસ ટ્રેનો બંધ થઇ જાય તેવી શક્યતા છે આ ઉપરાંત, નાઈટ હૉલ્ટ સહિત 10,200 જેટલા સ્ટેશનો પણ પડતા મૂકવાની રેલવેની ગણતરી છે. આગામી થોડા મહિનામાં આ અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. મોદી સરકારની આ યોજના મુજબ ઓછામાં ઓછી 360 જેટલી પેસેન્જર ટ્રેનોને મેઇલ એક્સપ્રેસ ટ્રેનોમાં અપગ્રેડ કરવામાં આવી રહી છે, જ્યારે 120 મેઇલ એક્સપ્રેસ ટ્રેનોને સુપરફાસ્ટ ટ્રેનોની કેટેગરીમાં અપગ્રેડ કરી શકાય છે. સૂત્રોનું માનીએ તો, આ સમગ્ર આયોજન ફાઈનલ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે, અને જલ્દીથી તેનું નોટિફિકેશન જાહેર થઈ શકે છે.
રેલ્વે બોર્ડના સીઇઓ અને અધ્યક્ષે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે નવી સિસ્ટમ ક્યારે લાગુ કરવામાં આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. તેમણે કહ્યું કે જ્યારે રેલ્વેનું સામાન્ય કામગીરી શરૂ થશે, ત્યારે નવા ટાઇમ ટેબલનો અમલ થઈ શકે છે. તેમણે કહ્યું, "રેલ્વેનું સામાન્ય કામગીરી ક્યારે શરૂ થશે તે વિશે હું તમને સચોટ તારીખ આપી શકતો નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે રેલવેનું ઓપરેશન સામાન્ય બને તેના પર જ તેનો સમગ્ર આધાર છે. લોકડાઉન શરુ થયું ત્યારે તમામ પેસેન્જર ટ્રેનોનું સંચાલન રોકી દેવાયું હતું. હાલ તેમાં ધીરે-ધીરે વધારો કરાઈ રહ્યો છે, પરંતુ હજુય ઘણી ટ્રેનો શરુ થવાની બાકી છે. પેસેન્જર ટ્રેનો તેમજ હૉલ્ટમાં ઘટાડો થવાથી ટ્રેનોની ફ્રિકવન્સી અને ટાઈમ પણ બદલાશે.
રેલવે દ્વારા આઈઆઈટી મુંબઈ સાથે મળીને આ પ્લાન બનાવાઈ રહ્યો છે. જેમાં માલગાડીઓને ચલાવવા અને મેઈન્ટેનન્સ માટે અલાયદા સમયના કોન્સેપ્ટને અમલમાં મૂકવા પણ વિચારણા થઈ રહી છે. રેલવેના નવા પ્લાનથી તેના ખર્ચમાં પણ ઘટાડો થાય તેવી શક્યતા છે. પેસેન્જર ટ્રેનો ચલાવવામાં રેલવેને મોટું નુક્સાન વેઠવું પડે છે, અને હાલ રેલવે નાણાંકીય બોજ હેઠળ દબાયેલી છે. આવક વધારવાનું તેના પર ભારે દબાણ છે.
નોંધનીય છે કે અગાઉ જણાવવામાં આવ્યું હતું કે રેલ્વેના નવા ટાઇમ ટેબલ મુજબ, પેસેન્જર ટ્રેનોની સંખ્યા અને તેના સ્ટોપેજની જગ્યામાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. આ ફેરફારનો અર્થ એ પણ છે કે પેસેન્જર ટ્રેનની ટાઇમ ટેબલ સંપૂર્ણપણે બદલાઈ જશે.
