ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૦ જુલાઈ, ૨૦૨૧
મંગળવાર
સામાન્ય રીતે લોકો એવું માને છે એક વાર કોરોનાને કારણે જો ફેફસાં ખરાબ થાય તોએની અસર લાંબો સમય સુધી રહે છે, પરંતુ હકીકત એનાથી વિપરીત છે. હાલમાં જ લંગ ઇન્ડિયા જર્નલમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં દાવો કરાયો છે કે કોરોના થયા બાદ ફેફસાં ફરીથી સાજા થઈ જાય છે. મુંબઈની કોકિલાબહેન અંબાણી હૉસ્પિટલના ડૉક્ટરો દ્વારા કરવામાં આવેલા અધ્યયનમાં જાણવા મળ્યું છે કેગંભીર કોવિડ-19 અને ન્યુમોનિયાથી પીડિત લોકોનાં ફેફસાં ત્રણથી છ મહિનાની અંદર રિકવરીના સંકેતો દર્શાવે છે.
અભ્યાસના અગ્રણી લેખક અને પલ્મોનોલૉજિસ્ટ ડૉ. સુમિત સિંઘાનિયા અનુસાર સંશોધનમાં જાણવા મળ્યું છે કે ફેફસાંનું કાર્ય સતત વધુ સારું થતું રહે છે. લોકોમાં એવો ડર હતો કે એકવાર કોરોના થયા બાદ ફેફસાંમાં ફાઇબ્રોસિસ થવાની સંભાવના છે. હવે લોકોનો આ ભય સદંતર ખોટો હોવાનો પુરવાર થયો છે. આ અભ્યાસમાં કોરોના સંક્રમિત 300 દર્દીઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. કેટલાક લોકોની સ્થિતિનું એક વર્ષ સુધી અવલોકન કરાયું હતું.
આ અભ્યાસમાં એવા દર્દીઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું જેમણે કોરોનાના ગંભીર સંક્રમણને પણ માત આપી હતી. અભ્યાસ દરમિયાન ફાઇબ્રોસિસને લીધે ઍન્ટી-ફાઇબ્રોટિક દવાઓ પણ સૂચવવામાં આવી હતી. જોકેહિન્દુજા હૉસ્પિટલના આ અભ્યાસ સાથે ન જોડાયેલા ડૉ.લેન્સલોટ પિન્ટોએ એક મીડિયા હાઉસને જણાવ્યું કે “ઘણા દર્દીઓને ઍન્ટી-બાયોટિક દવાઓ સૂચવવામાં આવી હતી, પરંતુ તે બિનજરૂરી છે.”