આજનો શુભ દિવસ – મકર સંક્રાતિ નો તહેવાર એટલે ખુશીઓનો ઉત્સવ, જાણો શા માટે ઉજવાય છે મકર સંક્રાંતિ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,14 જાન્યુઆરી 2022

શુક્રવાર. 

ઉત્તરાયણ શબ્દ,બે સંસ્કૃત શબ્દ ઉત્તર(ઉત્તર દિશા) અને અયન(તરફની ગતિ) ની સંધી વડે બનેલ છે. ઉત્તરાયણ (મકર સંક્રાન્તિ) એ દિવસ છે જ્યારે સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ ખસે છે, અને આ ઉનાળો શરૂ થવાનો સંકેત છે. સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાન્તિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે. ત્યારે ઉત્તરાયણ શરૂ થાય છે કારણકે આ સમયે સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણને શુભ મુહુર્ત પણ માનવામાં આવે છે, આથી મકર સંક્રાતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે. ભારતમાં ઉત્તરાયણની શરૂઆત મકરસંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે. 

મકર સંક્રાતિનો મહત્વપૂર્ણ સમય, પરિવર્તનનો, જુનું તજી અને નવું અપનાવવાનો સમય છે. ગુજરાતમાં આ સમયે છડેલા ધાન્યની અને તલની મિઠાઇઓ, ખાધ પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે, બહેન-દિકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે આ ઉપરાંત તલ સાંકળી(તલ અને ગોળ માંથી બનાવેલી વાનગી) અને ‘ચીકી‘ (એક મિઠાઇ) ખૂબ ખાય અને ખવડાવે છે.

 

ગુજરાત રાજ્ય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે. આમાં ઉતરાયણ એ બધા લોકો માટે મહત્વનાં તહેવારોમાંનો એક છે. આ એક હળીમળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો તહેવાર છે. આ દિવસે તમામ ઉંમરનાં લોકો હ્રદયમાં ખુશી અનુભવતા, સુંદર વસ્ત્ર પરિધાન કરી અને વહેલી સવારથી પોતાના ઘરની અગાશીઓ પર ચઢી જાય છે. આ દિવસે લાખો લોકો છત અને અગાશીઓ પર ચઢી હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે. આખો દિવસ “કાપ્યો છે!” “એ કાટ્ટા!” “લપેટ લપેટ” જેવી વિવિધ કિકિયારીઓ સાંભળવા મળે છે. આકાશ ઇન્દ્રધનુષની માફક રંગબેરંગી પતંગો વડે છવાઇ જાય છે.  રાત્રે પણ આ ક્રમ આનંદભેર ચાલતો રહે છે. શોખીનો રાત્રે કાળા અંધારા આકાશમાં સફેદ પતંગો અથવા પતંગ સાથે બાંધીને ‘ફાનસ’ (કાગળનો દિવો) ઉડાડે છે જેને અમદાવાદમાં ‘ટુક્કલ’ તરીકે ઓળખવામાં આવે છે. ઉતરાયણનો બીજો દિવસ (૧૫ જાન્યુઆરી) ‘વાસી ઉત્તરાયણ‘ તરીકે મનાવાય છે. આમ સતત બે દિવસ આ આનંદમય તહેવારની ઉજવણી ચાલે છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More