ન્યૂઝ કંટીન્યુઝ વિશ્લેષણ : પુડુચેરી માં સરકાર પડતાની સાથે દક્ષિણ ભારત માંથી કોંગ્રેસનો સફાયો.

by Dr. Mayur Parikh

મયુર પરીખ 

મુંબઈ

23 ફેબ્રુઆરી 2021

પુડુચેરી માં કોંગ્રેસની સરકાર વિશ્વાસના મતનો સામનો ના કરી શકી. મતદાન શરુ થાય તે પહેલા જ કોંગ્રેસના સાંસદોએ સભાત્યાગ કર્યો અને ત્યાર બાદ મુખ્યમંત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું.

પુડુચેરી માંથી સરકાર જવાનો મતલબ છે કોંગ્રેસ પાર્ટી નો દક્ષિણ ભારતમાંથી સંપૂર્ણ સફાયો થઇ જવો. પુડુચેરી માં સત્તાને કારણે કમ સે કમ કોંગ્રેસીઓ એવું કહી શકતા હતા કે દક્ષિણ ભારતમાં તેમનો પગ છે. હવે કોંગ્રેસીઓ માત્ર એટલું જ કહી શકશે કે કેરળના વાયનાડથી રાહુલ ગાંધી સાંસદ છે. 

બે વર્ષ પહેલા કર્ણાટકમાં કોંગ્રેસની હાર થઇ હતી. પરંતુ ત્યારથી અગાઉ એવું લાગી રહ્યું હતું કે વાયનાડમાં રાહુલ ગાંધી ચૂંટણી જીતી ગયા તેમજ કર્ણાટકમાં ગઠબંધન સરકાર બનાવીને કોંગ્રેસ પાર્ટીએ દક્ષિણ ભારતના રાજકારણમાં રી-એન્ટ્રી કરી છે. પરંતુ આ જીતને કોંગ્રેસ પાર્ટી પચાવી ન શકી. 

તેલંગાણા / આંધ્ર પ્રદેશ –

૧૯૫૩માં આ રાજ્યની સ્થાપના થયા બાદ ૩૦ વર્ષ સુધી કોંગ્રેસનું એક ચક્રી શાસન રહ્યું. પરંતુ ૧૯૮૦માં તેલુગુ દેશમ પાર્ટીની સ્થાપના થયા બાદ અહીં કોંગ્રેસના વળતા પાણી થયા. ૧૯૮૩માં પહેલી વખત બિન કોંગ્રેસી સરકાર બની. ત્યારબાદ કોંગ્રેસ પાર્ટી અહીં કદી પહેલાની જેમ એકચક્રી શાસન ન ભોગવી શકે. અહીંથી કોંગ્રેસ પાર્ટીએ ભૂતપૂર્વ વડાપ્રધાન પી.વી નરસિંહરાવ પણ દેશને આપ્યા હતા. હવે આજની તારીખમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણા એ બંને રાજ્યમાંથી કોંગ્રેસનો પગ પૂરી રીતે નીકળી ચૂક્યો છે. 

કર્ણાટક – એક સમયે અહીં કોંગ્રેસ પાર્ટી સફળ રાજનીતિ નું સંચાલન કરી રહી હતી. જોકે એચ.ડી.દેવેગૌડા એ જનતાદળ પાયો આ રાજ્યમાં મજબૂત કર્યો. તેઓ વડાપ્રધાન પણ બન્યા. પરંતુ ભારતીય જનતા પાર્ટીને યેદીયુરપ્પા નામનો લોકલ ચહેરો મળી ગયો અને ત્યારથી કોંગ્રેસ પાર્ટી મુખ્ય ધારાથી બહાર થઈ ગઈ. 

કેરેલા – છેલ્લા લાંબા સમયથી કોંગ્રેસ પાર્ટી કેરેલા ની રાજનીતિથી બહાર છે. અહીં લેફ્ટ પાર્ટી નો દબદબો છે. હવે રાહુલ ગાંધી અહીંથી લોકસભાની ચૂંટણી લડીને ડાબેરીઓને તગેડી મૂકવા માંગે છે. પરંતુ આ લડાઈ લાંબી ચાલશે એવું લાગે છે.

તમિલનાડુ – તમિલનાડુ એક એવું રાજ્ય છે જ્યાં કોંગ્રેસ પાર્ટી ના સર્વ શ્રેષ્ઠ નેતાઓ હતા. કે કામરાજ જેવા નેતા એ રાષ્ટ્રીય સ્તર પર કોંગ્રેસ પાર્ટી માટે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા. પરંતુ એલટીટીઇ અને શ્રીલંકા માં ચાલી રહેલા ઘમાસાણને કારણે કોંગ્રેસ પાર્ટી અહીંથી પણ ખલાસ થઇ ગઈ. એ વાત જાણે છે કે ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી ની હત્યા પણ આ જ કારણોથી થઇ.

એકંદરે કોંગ્રેસ પાર્ટી દક્ષિણ ભારતમાંથી ખલાસ થઈ ગઈ.

આજની તારીખમાં આખા દેશની તસવીર જોઈએ તો પંજાબ, રાજસ્થાન, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં કોંગ્રેસ સત્તામાં છે. મહારાષ્ટ્ર ઝારખંડમાં કોંગ્રેસ ગઠબંધન સરકારમાં શામેલ છે. 

હવે કોંગ્રેસની સામે પાંચ રાજ્યોમાં ચૂંટણી જીતવા ની ચુનૌતી છે. પશ્ચિમ બંગાળ, તમિળનાડુ, કેરળ, આસામ અને પુડ્ડુચેરી માં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. પશ્ચિમ બંગાળમાં લેફ્ટ પાર્ટી સાથે કોંગ્રેસનું ગઠબંધન છે. બીજી તરફ તમિલનાડુમાં ડીએમકે સાથે ભેગા મળીને કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડવાની છે. જ્યારે કે કેરળ અને આસામમાં કોંગ્રેસ સામા પવને ચૂંટણી લડશે. કહેવાની જરૂર નથી કે  કોંગ્રેસ પાર્ટી માટે આવનાર દિવસો અઘરા છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More