News Continuous Bureau | Mumbai
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર બોરઘાટ ખાતે નવ વાહનોનો એક વિચિત્ર અકસ્માત થયો છે. મળતી વિગતો મુજબ આ અકસ્માત ગઈકાલે (સોમવારે) બપોરે થયો હતો. ઝડપભેર ચાલતી ટ્રકની બ્રેક ફેઈલ થવાના કારણે નવ વાહનોને અકસ્માત નડ્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી દુર્ઘટના થઈ ન હતી. જોકે, બે મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો મુજબ, મુંબઈ-પુના હાઈવે પર બોરઘાટ ખાતે સોમવારે, બપોરે 3 વાગ્યાની આસપાસ એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. ઠેકુ ગામની સીમમાં ઢાળ પર ટ્રકની બ્રેક ફેલ થતાં મુંબઈ તરફ આવી રહેલા ટ્રક ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેથી તેણે નવ વાહનોને ટક્કર મારી હતી.
આ સમાચાર પણ વાંચો : ભારે વરસાદને કારણે મુંબઇની લાઇફલાઇન એવી લોકલ ટ્રેનો થઈ પ્રભાવિત- સેન્ટ્રલ રેલવે લાઈનના આ હાલ છે
પુરપાટ ઝડપે આવતા ટ્રકે કારને ધડાકાભેર ટક્કર મારી હતી. ત્યારપછી કાર એસટી બસ અને અન્ય સાત વાહનો સાથે ટકરાઈ હતી. જેમાં એસટી બસને જોરદાર ટક્કર મારતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સાથે જ પાછળથી પુર ઝડપે આવી રહેલા વાહનો એકબીજા સાથે અથડાતા આ અકસ્માતમાં દસ જેટલા વાહનોને નુકસાન થયું છે.
આ ભયંકર અકસ્માતને કારણે મુંબઈ તરફનો ટ્રાફિક અડધા કલાકથી વધુ સમય સુધી ખોરવાઈ ગયો હતો. મુંબઈ પુણે એક્સપ્રેસ રૂટ પર IRB, એન્જલ સિસ્ટમની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડલાઈન કરવામાં આવ્યા હતા. જે બાદ હાઈવે પરનો વાહનવ્યવહાર સુચારૂ થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં બોરઘાટ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ટ્રાફિકને સુવ્યવસ્થિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : યાત્રીગણ કૃપયા ધ્યાન દે- બાંદ્રા ટર્મિનસ યાર્ડમાં આટલા કલાકનો ટ્રાફિક બ્લોક- આજે અને આવતી કાલે ભુજ-બાંદ્રા અને સુરત-બાંદ્રા ટ્રેન આ સ્ટેશન સુધી જ દોડશે