News Continuous Bureau | Mumbai
Ghatkopar : શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા વર્ષ 2023- 24 માં શતાબ્દી વર્ષ ઉજવી રહી છે. ત્યારે મુંબઈ ગુજરાતી સંગઠન ( Mumbai Gujarati Sangathan ) દ્વારા શ્રી મુમ્બાદેવી મંદિર પ્રાથમિક કન્યાશાળા અને શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળાને મહારાષ્ટ્રની 70 શાળાઓમાંથી સતત ત્રીજી વખત માતૃભાષાની ઉત્તમ શાળાનું બિરૂદ આપવામાં આવ્યું. તે ખૂબ જ ગૌરવની વાત છે.
ઉત્તમ શાળા ( Best school ) ની ટ્રોફી એનાયત કરી
શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી મીનાબેન ખેતાણી, ટ્રસ્ટી ભાઈશ્રી ભાવેશભાઈ વોરા, ટ્રસ્ટી ભાઈશ્રી પિયુષભાઈ અવલાણીની હાજરીમાં માધ્યમિક શાળાના આચાર્યા બહેન શ્રીમતી નંદાબેન ઠક્કર અને પ્રાથમિક વિભાગના આચાર્યા બહેન શ્રીમતી રીટાબેન રામેકર તેમજ સર્વ શિક્ષિકા બહેનોને મુંબઈ ગુજરાતી સંગઠનના પ્રણેતા ભાવેશભાઈ મહેતાએ ઉત્તમ શાળાની ટ્રોફી એનાયત કરી હતી.
સતત ત્રીજી વખત ઉત્તમ શાળાનું બિરૂદ મળ્યું
માતૃભાષાની ઉત્તમ શાળા માટેના પાંચ માપદંડને લગતી બધી જ પ્રવૃત્તિઓ શાળામાં થાય છે જેમકે ૧) પાયાકિય સુવિધા – મકાન , પુસ્તકાલય , રમત ગમતના સાધનો, કોમ્પ્યુટર લેબ વગેરે (૨) ભણતરનું સ્તર – સર્વાંગીણ વિકાસ, ટેકનોલોજીનો ઉપયોગ, નવી નવી રીત, સમયની સાથે બદલાવ વગેરે (૩) સંચાલક – આચાર્યા – શિક્ષકોનો સમન્વય (૪) સ્વાવલંબી બનાવવા માટેના પગલાં – ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, દાતાઓ , વાલીઓનો સમન્વય (૫) દૂરંદેશી – શાળાની પ્રગતિ માટે કરેલા પ્રયત્નો. ઉપરની દરેક બાબતને ધ્યાનમાં રાખીને શ્રી મુમ્બાદેવી મંદિર પ્રાથમિક કન્યાશાળા અને શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળાએ સતત ત્રીજી વખત ઉત્તમ શાળાનું બિરૂદ મેળવી હેટ્રિક કરી છે..
આ સમાચાર પણ વાંચો : UBT Shiv Sena Candidates List: ઉદ્ધવની પાર્ટીએ ચાર વધુ ઉમેદવારોની જાહેરાત કરી, જાણો કલ્યાણથી કોને ટિકિટ મળી…
શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકની અંતાક્ષરી પણ વિદ્યાર્થિનીઓ રમે છે
માતૃભાષામાં ભણતરના શિખરો સર કરતાં કરતાં વિવિધ ક્ષેત્રે જેમકે રમતગમત, નૃત્ય, સંગીત, ચિત્રકલા, સ્પોકન ઈંગ્લિશ, Vedic Maths, scratch graphic course, Advanced Computer, Abacus ના વર્ગો, મૂલ્યો પર આધારિત શિક્ષણ, એકાત્મતા સ્તોત્ર, શ્રીમદ્ ભગવદ્ ગીતા પઠન પણ કરાવવામાં આવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકની અંતાક્ષરી પણ વિદ્યાર્થિનીઓ રમે છે. વિદ્યાર્થિનીઓએ આંતરશાલેય સ્તરે, રમતગમતમાં જિલ્લા સ્તરે સુવર્ણચંદ્રક, રજતચંદ્રક હાંસલ કર્યા છે. વક્તૃત્વ, નિબંધ લેખન, નૃત્ય, ચિત્રકલા એકપાત્રીય અભિનયમાં દર વર્ષે ઇનામો મેળવે છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય ભજનોત્સવ સ્પર્ધામાં પણ બંને વિભાગના આચાર્યા બહેનો, શિક્ષિકા બહેનોએ, વિદ્યાર્થિનીઓએ, તેમના પરિવારોએ ઘણાં પારિતોષિક મેળવ્યાં છે. શાળામાંથી N.T.S., N.M.M.S.,શિષ્યવૃત્તિની પરીક્ષાઓ વિદ્યાર્થિનીઓ આપે છે. દર વર્ષે N વોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રદર્શનમાં પણ શાળા પારિતોષિક મેળવી રાજ્ય સ્તરે આગળ વધે છે.
પ્રગતિના શિખરો સર કરી રહી છે શાળા
આમ શાળા નવી ટેકનોલોજી દ્વારા જમાના સાથે કદમથી કદમ મિલાવી પ્રગતિના શિખરો સર કરી રહી છે. શાળાની ઉત્તરોત્તર પ્રગતિનું શ્રેય શાળાનાં મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી મીનાબેન ખેતાણી, સર્વે ટ્રસ્ટીગણ, સમાજના ઉદાર દિલ દાતાઓ, શાળાના આચાર્ય બહેનો શ્રીમતી નંદાબેન ઠક્કર અને શ્રીમતી રીટાબેન રામેકર, ત્રણે વિભાગના કર્તવ્યનિષ્ઠ શિક્ષક ગણ તથા શિક્ષકેતર કર્મચારી ગણને જાય છે. સૌનાં અથાગ પ્રયત્નોથી શાળા આદર્શ શાળા બનવા પામી છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.