News Continuous Bureau | Mumbai
Gujarati Sahitya: ખમીર, ખુમારી અને ખુદ્દારી-કવિ, કલાકાર કે સર્જકની અમીરાત હોય છે, નિજી સંપદા હોય છે. પરબતકુમાર નાયીએ ( Prabhat Kumar Nai ) લખ્યું:
બધા જ્યાં પાઘડી મૂકે, અમે ત્યાં પગ નથી મૂક્યો
બચાવી એ રીતે થોડી ખુમારી, આપણે જીવ્યા!
પારૂલ ખખ્ખરનો ( Parul Khakhar ) આગવો અંદાજ અને અલાયદો મિજાજ જુઓઃ
જીભ મારી, શબ્દ મારા, હું ગમે તે કહી શકું
આ બધું બોલી શકો છો, તો તમે આઝાદ છો…
સર્જકતાના ઓવારણાં-વધામણાં કેટલી સલુકાઈથી પારૂલબહેન લઈ શકે છેઃ
રૂડાં આવ્યા છે ટાણાં રે, કલમને ડાળખી ફૂટી
મગાવો ગોળધાણા રે, કલમને ડાળખી ફૂટી
થયું છે અવતરણ એવું ધમાકેદાર શબ્દોનું, પીગળશે આજ પાણા રે, કલમને ડાળખી ફૂટી…
સર્જનની લીલામાં પીડાનો પારાવાર છલકે છે. જગતના લોકો કલાકારની વેદનાને પિછાણી શકતાં નથી, જ્યારે એ સંવેદનાનું કવિતાકલામાં રૂપાંતરણ થાય છે ત્યારે એને સહુકોઈ પામે છે અને પોંખે છેઃ કવિએ લખ્યું છેઃ
જ્યારે જ્યારે જગત મને નડે છે ત્યારે ત્યારે મને મારામાં કંઈક જડે છે.
આ પણ વાંચો : Gujarati Sahitya: કોણ ખરેખર જીવે છે એ ગૂગલ નહીં કહે…
માણસાઈને માપવાનું થર્મોમીટર કે બેરોમીટર ક્યાં મળે? હેમેન શાહની ( hemen shah ) સૂચના સાંભળોઃ
ઇસુ ઉપર ફેંકાયેલા પથ્થર તપાસ કર, લોહી વડે લખાયેલા અક્ષર તપાસ કર
ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે, જુલિયસ સીઝરની પીઠનું ખંજર તપાસ કર.
ટોળાંની માનસિકતા કેવી હોય છે? હિંસક अनून અને અત્યાચારી આવેશથી ભરપુર… શેક્સપિયરે ( Shakespeare ) લખ્યું હતું: Mob Has No Brain. વિનોદ નગદિયાનું નિરીક્ષણ કેવું ચોટડૂક છેઃ
હેવાનિયત સાચી ખરેખર ટોળામાં છતી થાય છે, હેવાનિયત પણ ખાનગીમાં આદમીથી ગભરાય છે!
અદેખાઈ અને અકોણાઈ ક્યાં નથી હોતી? સુખ અને સારપને સહન ન કરી શકે એવા સમયમાં અને સમાજમાં જીવવાની મનોવ્યથાનું વિકી ત્રિવેદીએ ( Vicky Trivedi ) કરેલું ધારદાર આલેખન જુઓઃ
વ્યથા આવી જીવનમાં તો મજાને પેટમાં દુખ્યું, મજા આવી જીવનમાં તો વ્યથાને પેટમાં દુખ્યું
એ દીવો હોલવે તો હું કશું કહેતો ન’તો કિંતુ, જો મેં ફાનસ વસાવ્યું તો હવાને પેટમાં દુખ્યું
હતી દુઃખનું જ જોવાની ઘણાની ટેવ એવી કે, મને જો કંઈજ ના દુખ્યું, ઘણાને પેટમાં દુખ્યું!
છેલ્લે, વૃક્ષની વ્યથાને વાચા આપી છે ( Bhagwatikumar Sharma ) ભગવતીકુમાર શર્માએઃ
આ છાંયડાના કસુંબાઓ ગટગટાવી લ્યો! નગરનું વૃક્ષ છું-કોઈપણ ક્ષણે વઢાઈ જઈશ.

Ashwin Mehta