Gujarati Sahitya: આપણે તો એટલામાં રાજી…

Gujarati Sahitya: જીવનરસથી છલોછલ, આપણા અસ્તિત્વને તરબતર કરી દેતો, જીવનના જામને છલકાવીને, રોનક અને રંગતથી ભરી દેતો કસુંબીનો રંગ, ક્યારેક ચિંતનની ચિનગારી બનીને તો ક્યારેક ઊર્મિ-સ્ફુરણા બનીને કવિતાની અમૃત-સરિતા રૂપે વહે છે

Gujarati Sahitya Apane toh etalama raji by ashwin mehta

News Continuous Bureau | Mumbai 

Gujarati Sahitya: જીવનરસથી છલોછલ, આપણા અસ્તિત્વને તરબતર કરી દેતો, જીવનના જામને છલકાવીને, રોનક અને રંગતથી ભરી દેતો કસુંબીનો રંગ, ક્યારેક ચિંતનની ચિનગારી બનીને તો ક્યારેક ઊર્મિ-સ્ફુરણા બનીને કવિતાની અમૃત-સરિતા રૂપે વહે છે. ઉંમર ખય્યામની રુબાઇનો મર્મ શૂન્ય પાલનપુરીના ( shunya Palanpuri ) અનુવાદમાં પામી શકાય છેઃ 

Join Our WhatsApp Community

બુધ્ધિના પ્યાલે ભરીને લાગણી પીતો રહે, છે સુરાલય જિંદગીનું જિંદગી પીતો રહે,

કોઈની આંખોથી આંખો મેળવી પીતો રહે, દિલનાં અંધારાં ઉલેચી રોશની પીતો રહે…

કવિતાની કમનીય લીલા માણવા મળે છે તેનાં ભાતીગળ ભાવ-પ્રતીકો, કલ્પનો અને રમણીય રૂપકોમાં…રતિલાલ ‘અનિલ’ની આ રચનાનો સંકેત પામવા જેવો છેઃ

શહેરોમાં રહે છે, જંગલોમાં જાય છે રસ્તો, કહીં સંસાર માંડે છે, ક્યાંક સાધુ થાય છે રસ્તો!

હું ઈશ્વરની કને તો ક્યારનો પહોંચી ગયો હોતે અરે, આ મારા ચરણોમાં બહુ અટવાય છે રસ્તો!

નથી એક માનવી પાસે બીજો માનવ હજુ પહોંચ્યો ‘અનિલ’, મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો!

 

કોઈ ઓલિયા ને અલગારી સંત કે મસ્તફકીર કવિ મનુભાઈ ત્રિવેદી ( Manubhai Trivedi ) ‘સરોદ’નો શબદ હૈયા સોંસરવો ઉતરી જાય છેઃ

આપ કરી લે ઓળખાણ, એ સાચા ‘શબદ’ નાં પરમાણ…

સાકર કહે નહીં, હું છું મીઠી, વીજ ન પૂછે મુજને દીઠી?

મોત બતાવે ન યમની ચિઠ્ઠી, પેખ્યામાં જ પિછાણ, એ સાચા શબદનાં પરમાણ…

 

આ પણ વાંચો : Gujarati Sahitya: મળ્યું છે આગિયાનું આયખું, તો ઝળહળી લઈએ…

( Rajesh Vyas ) રાજેશ વ્યાસ-‘મિસ્કીન’ની ગઝલના શેરમાં કોઈ જનમ-વેરાગી સંતની વાણીના પડઘા સંભળાય છેઃ

સાવ જૂઠું જગત કોઈ તારું નથી, મૂક સઘળી મમત, કોઈ તારું નથી,

કોઈ ઉંબર સુધી, કોઈ પાદર સુધી, છેક સુધી સતત કોઈ તારું નથી,

કોઈ એકાદ જણ, એય બેચાર પળ, કે અહીં હર વખત કોઈ તારું નથી.

આવો વૈરાગ્યનો ભગવો રંગ લાગી જાય, ભીતરમાં ભાવ ગદ્ગદ્ અનુભૂતિ વાણી થઈને વહેવાં લાગે ત્યારે ભરત વીંઝુડાની સાથે તમે પણ લલકારી ઉઠોઃ

બેઉ આંખો મેં કરી બંધ ને હરિ આવ્યા એક દી’ થઈ ગયો હું અંધ ને હરિ આવ્યા

એક બે દુઃખની ઉપર ખડખડાટ હસવામાં આવ્યો કંઈ એટલો આનંદ ને હરિ આવ્યા…

છેલ્લે, રમણીક સોમેશ્વરનો ( Ramanik Someshwar ) આ રાજીપો આપણને ય મળે તો કેવું સારૂ!

આપણે તો એટલામાં રાજી, આખાય જંગલમાં રોજ રોજ ફૂટે છે,

ક્યાંક એક કૂંપળ તો તાજી એકાદી લહેરખી પવનની જ્યાં સ્પર્શે,

ત્યાં રણઝણતી ઝાલરી બાજી આપણે તો એટલામાં રાજી…

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ashwin Mehta

Ashwin Mehta

Mumbai: મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ધમાકેદાર ઉજવાયો મહારાષ્ટ્રની બધી જ ગુજરાતી માધ્યમની શાળાઓનો સરસ્વતી સન્માન સમારોહ , MGT ઈનામ વિતરણ અને ઉત્તમ બાળમંદિર તેમજ શાળાનાં સત્કારનો ત્રિવેણી સંગમ સમાન સન્માન મહોત્સવ
Geeta Rabari: ગીતા રબારી – “કચ્છી કોયલ” – કરશે ‘સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’, બોરીવલીમાં પ્રથમવાર પરફોર્મન્સ
Jharukho : શનિવારે ‘ઝરૂખો ‘માં’ ‘લીલી પટેલની અભિનય યાત્રા: ભવાઈ, નાટક, સિરિયલ અને ફિલ્મ ‘
Zarukho: બોરીવલીમાં ‘ ઝરૂખો ‘ માં ભાવકોનાં વિવિધ પુસ્તકો વિશેનાં વક્તવ્ય, એક અનોખી સફળ પહેલ!
Exit mobile version