News Continuous Bureau | Mumbai
હાસ્યની ફિલસૂફીઃ ફિલસૂફીનું હાસ્ય
જર્મન ફિલસૂફ ( German philosopher ) નિત્શેને ( Nietzsche ) દરરોજ હસતા જોઈને કોઈએ પૂછ્યું: બહુ આનંદમાં છો? નિત્શેએ કહ્યુંઃ હસું છું એટલા માટે કે રડી ન પડું. કવિ ઉમાશંકર જોશીએ ( Umashankar Joshi ) લખ્યું છેઃ
હું હસું છું માત્ર એટલા માટે કે ક્યાંક ગફલતમાં,
પેલું છુપાયેલું આંસુ સાચકલું ટપકી ન પડે.
માણસ ક્યારેક ભીતરની વેરણછેરણ વાસ્તવિક્તાને ઘાયલ સાહેબની નિખાલસતાથી વ્યક્ત કરી શકેઃ
હસતો રહું છું એ જ બતાવે છે, ખિન્ન છું,
અંદરથી આજકાલ અતિ છિન્નભિન્ન છું.
ઉપરછલ્લાં અને બનાવટી હાસ્યની પછીતે છુપાયેલાં ડૂસકાંને કોણ પિછાણી શકે? શાયર રતિલાલ અનિલ ( Ratilal Anil ) લખે છેઃ
હસવું પડયું જે કોઈને સારું લગાડવા
એ શોકનો પ્રકાર હતો – કોણ માનશે?
પાગલ થઈ ગયેલા કોઈ મુફલિસના હાસ્યની પાછળ આખી વેદનાની વેતરણી વહેતી જોઈ શકાય, શાયર નકાબ લખે છેઃ
એણે નકાબ કેટલું રડવું પડયું હશે
હંમેશ માટે જે હવે હસતો થઈ ગયો!
આ પણ વાંચો : Gujarati Sahitya: સંબંધના સુવાસિત સરોવરમાં ઊઘડયાં કવિતાનાં કમળપુષ્પ.
બેફામ સાહેબનો અનુભવ પણ કંઈક આવો જ છેઃ
ઘણાંયે દુઃખ દરદ વેઠ્યા પછી સિદ્ધિ મળે છે એ
અમસ્તાને અમસ્તા રોજ હસતાં હોય છે પાગલ!
સૈફ પાલનપુરીએ ( Saif Palanpuri ) જિંદગીની નરવી અને વરવી વાસ્તિવિક્તાને શબ્દોમાં સિફતથી વર્ણવી છેઃ
અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રૂદનમમાં વાસ્તવિક્તા છે ને હસવામાં અભિનય છે!
જિંદગી ક્યારેક આપણી સાથે ક્રૂર મજાક કરે છે, ત્યારે શેખાદમ આબુવાલા યાદ આવે છેઃ
એકાકી આજની આ અવસ્થા જોઈને
ગઈ રાતના મિલનના પ્રસંગો હસી પડ્યા…
અને છેલ્લે, ઉમાશંકરભાઈની આ શિખામણ સહુએ | ગાંઠે બાંધવા જેવી છેઃ
હસો, ખૂબ હસો, ન કરશો આ જિંદગી હસવા સમી!!

Ashwin Mehta