News Continuous Bureau | Mumbai
Gujarati Sahitya: ‘મારી ગઝલો ( Ghazal ) મારા જીવનનો નિચોડ છે. મારી આત્મકથાનાં પાનાં છે, સ્પષ્ટ માનું છું કે કોઈ લખાવે છે અને લખું છું. કશુંક સોંસરું વીજળીની જેમ પડે છે અને લખું છું.’
આ નિખાલસતા અને સચ્ચાઈ-નીતરતી કેફિયતનો અનુભવ સુપ્રસિદ્ધ – સવ્ય સાચી ગઝલકાર શ્રી રાજેશ વ્યાસ ( Rajesh Vyas ) ‘મિસ્કીન’ની પાણીદાર ગઝલોના ધારદાર શે’રમાં થાય છે. જેના જીવતરમાં ‘જાત ભણીની જાતરા’નો આરંભ થાય છે, એના જ કાવ્ય- સર્જનમાં ઊંચાઈ અને ઊંડાણની એકસામટી પ્રતીતિ થાય છે. વારંવાર મમળાવવા ગમે એવા શે’૨થી આરંભ કરીએ :
તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.
શાયરની શિખામણ ઝાંપા સુધીની નથી, જીવનમાં ઉતારવા જેવી મોંઘામૂલી છે. આત્મપ્રતીતિ સાથે કવિ કહે છે :
સતત ના દોડ તું પાછળ, જવા દે..
. બધું છે છેવટે મૃગજળ, જવા દે.
જે બંધાયું એ ગંધાયું સમજ્જ,
જીવન ઝરણાં સમું ખળખળ જવા દે
તું તારું કોડિયું પ્રગટાવ ઘરમાં,
ઉછીની પારકી ઝળહળ જવા દે…
ક્યારેક નોખી માટીના નોખા માણસો ચીલો ચાતરીને ચાલતા હોય છે. એટલે કવિ ( Poet ) કહે છે :
આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી,
અર્થ એનો એ નથી કે કોઈએ સફર ખેડી નથી.
દુઃખના દરિયામાં દીવાદાંડી બનીને અજવાળું કોણ પાથરે છે ? Man Proposes and God disposes. કવિનો – અને આપણો સહુનો અનુભવ છે.
હર પળે ઈશ્વરનું ધાર્યું થાય છે,
માત્ર દુ:ખ વખતે જ આ સમજાય છે.
વિપત્તિ અને વિષમતાઓ ક્યારેક સંપત્તિનું સંપેતરું બની જતી હોય છે. ખુમારીભેર શાયર કહી શકે છે :
મને તો જિંદગી દુઃખમાં વધુ ઝળહળતી લાગે છે,
નદીમાં હોય છે પથ્થર તો એ ખળખળતી લાગે છે
એકલાં આવ્યા ને એકલાં જવાનાં એ નક્કર હકીકતને ‘મિસ્કિન’ના અંદાજમાં માણવા જેવી છે :
સાવ જૂઠું જગત, કોઈ તારું નથી,
મૂક સઘળી મમત, કોઈ તારું નથી
. કોઈ ઉંબર સુધી, કોઈ પાદર સુધી,
છેક સુધી સતત કોઈ તારું નથી…
આ પણ વાંચો : Gujarati Sahitya: સંઘરેલા આંસુનો સહુને ભાર લાગે છે… !
વ્યથાની વૈતરણી પાર કર્યા પછી જ શબ્દનો પડાવ સાંપડે છે. જીવનની તડકી-છાંયડીનો કારમો અનુભવ કવિની કલમને કસદાર અને દમદાર બનાવે છે : લખે છે :
હૃદયની વેદનાનો આંસુથી અણસાર આપું છું,
કથા પૂરી નથી કહેવી, નીતરતો સાર આપું છું.
.. સકળ આયુષ્ય દુનિયાદારીના સંઘર્ષમાં વીત્યું,
ને તેથી જિંદગીને મૃત્યુનો તહેવાર આપું છું…
બિંદુ એ સિંધુનું વારસદાર છે. જીવ શિવનો જ અંશ છે, તો એની ક્ષમતાને ઓછી કેમ અંકાય? કવિ કહે છે :
ટીપું છીએ, વિસાત ભલે કંઈ નથી છતાં
, ભેગા થઈને ચાલને સાગર બનાવી……
મજબૂર થઈને એણે પ્રગટવું પડે પછી,
‘મિસ્કીન’ પ્રાણ એટલો તત્પર બનાવીએ…
ઉંમરમાં મોટા થઈ જનારા કંઈ બધા પાકટ કે પરિપકવ થઈ જાય છે, એવું ક્યાં હોય છે? કવિ ભેદ સમજાવે છે.
વૃદ્ધ થઈ જાવું અલગ છે, પકવ થઈ જાવું અલગ,
અન્નનું ભોજન થવું ને રક્ત થઈ જાવું અલગ
મૂક આ માળા ને માકા, ભેંસ ટપકાં ને ટીલાં,
તું ય જાણે છે ઓ મન, છે ભક્ત થઈ જાવું અલગ !
કાચીંડાની જેમ રંગ બદલતા, માણસનો એક્સ-રે કવિ જ ઝડપી શકે :
હોય છે ઘરમાં જુદો ને બહાર જુદો હોય છે,
એક માણાસનો સતત વ્યવહાર જુદો હોય છે.
અને છેલ્લે, ‘મિસ્કીન’ના માર્મિક મુક્તકથી વિરમીએ :
ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે,
જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે..
. મિલાવ હાથ ભલે સાવ મેલોથેલો છે,
હૃદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે….
ઋણ સ્વીકાર : શ્રી રાજેસ વ્યાસ – ‘મિસ્કીન’નો ગઝલસંગ્રહ ‘એનર્જી’!
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ashwin Mehta