Zarukho: બોરીવલીમાં ‘ ઝરૂખો ‘ માં ભાવકોનાં વિવિધ પુસ્તકો વિશેનાં વક્તવ્ય, એક અનોખી સફળ પહેલ!

Zarukho:આજે સાહિત્ય સર્જનમાં સજ્જતાનો અભાવ, વાંચનમાં ઘટતો રસ, પુસ્તક પ્રકાશનની ઉતાવળ, ત્વરિત વાહવાહીના સમયમાં શું યોગ્ય છે અને શું નથી એની વાત રમણ સોનીએ કરી છે.

News Continuous Bureau | Mumbai

Zarukho:  ‘ઝરૂખો ‘ની સાહિત્યિક સાંજ છેલ્લા સોળ વર્ષથી ભાવકોને સાહિત્યના વિવિધ પાસાંનો પરિચય કરાવે છે. ઉત્તમ સર્જકો, પત્રકારો, કલાકારોએ આ મંચ પર વક્તવ્ય આપ્યાં છે. શનિવારનો ‘ઝરૂખો ‘નો કાર્યક્રમ નોખો હતો જેમાં ભાવકોએ પોતાને ગમતાં પુસ્તક વિશે વાત કરી.

Join Our WhatsApp Community

Zarukho various books discussed at zarukho program at borivali in mumbai

 

સંવિત્તિ તથા કેઈએસ ગુજરાતી ભાષાભવન સાથે સંકળાયેલા કીર્તિ શાહે ‘લેખકો-વાચકો સાથે ગોષ્ઠી’ એ રમણ સોનીના પુસ્તક વિશે વાત કરી. આ પુસ્તક સાહિત્યજગતમાં પ્રવેશ કરતાં તેમજ આગળ વધી ચૂકેલાં સજાગ સર્જકો તથા વાચકો બંને માટે માર્ગદર્શક નિવડશે એવું એમણે જણાવ્યું.આજે સાહિત્ય સર્જનમાં સજ્જતાનો અભાવ, વાંચનમાં ઘટતો રસ, પુસ્તક પ્રકાશનની ઉતાવળ, ત્વરિત વાહવાહીના સમયમાં શું યોગ્ય છે અને શું નથી એની વાત રમણ સોનીએ કરી છે.

Zarukho : ર.વ.દેસાઈની ‘ ભારેલો અગ્નિ ‘ની વાત 

પ્રગતિ મિત્ર મંડળના ભૂતપૂર્વ પ્રમુખ વસંત શાહે ર.વ.દેસાઈની ‘ ભારેલો અગ્નિ ‘ની વાત કરતાં પોતાની ધુંઆધાર વક્તૃત્વ શક્તિનો પરિચય કરાવ્યો. ચાલીસ વર્ષ અગાઉ વાંચેલી આ નવલકથાના ‘રુદ્રદત્ત’ને હું હજી ભૂલી શક્યો નથી એવું એમણે જણાવ્યું હતું. શસ્ત્રથી શાંતિ ન આવે એ સમજીને આ સમર્થ માનવી પોતાના શસ્ત્રાગારને સળગાવી દે છે.ઋદ્રદત્તની સામે પાદરી જ્હોનસન, કલ્યાણીની સામે લ્યુરીનું પાત્રાલેખન લેખકે સુંદર રીતે કર્યું છે.તાલીમબદ્ધ, શિસ્તબદ્ધ અંગ્રેજી લશ્કર સામે, ભારતીય લશ્કરની હારનો અગાઉથી સ્વીકાર પણ ઋદ્રદત્ત દ્વારા લેખકે સરસ રીતે દર્શાવ્યો છે.

જમનાબાઈ સ્કૂલના શિક્ષિકા તથા સાહિત્યનાં અભ્યાસી જાસ્મીન શાહે આજથી સવાસો વર્ષ પૂર્વે ગુજરાતી સાહિત્યમાં પોતાનું યોગદાન આપનાર પારસી બાનુ આવાબાઇ લીમજીભાઇ પાલમકોટની આત્મકથા ‘મારી જીંદગીનો હેવાલ’ ને એક અદભુત કૃતિ લેખાવી.જે પાછળથી તેમનાં દીકરી ભીખાઈજી પાલમકોટે ‘ મારાં માતાજી’ ના નામે પૂર્ણ કરી છે. જીવનના ચાલીસમે વર્ષે લખવાની શરૂઆત કરનાર આવાબાઇ બહાદુર, ધૈર્યવાન, સાહિત્યપ્રેમી અને ઉદાર મન ધરાવનાર વ્યક્તિ હતાં. જીવનમાં સંઘર્ષોનો મકકમતાથી સામનો કરનાર અને વિદ્યાભ્યાસ પર ભાર મૂકનાર આવાબાઇએ કાવ્યની પણ રચના કરી છે. આત્મકથામાં ૧૮૬૫ની આસપાસનું મુંબઈ, એડન અને પાલમકોટ શહેરનુ વર્ણન રસપ્રદ રીતે આલેખવામાં આવ્યું છે. ઘર ગૃહસ્થીની સાથે વાંચન – લેખન અને બીજી અનેક કલામાં નિપુણ એવા આવાબાઇની આત્મકથામાં તે સમયના પારસી સમાજનું પ્રતિબિંબ જોવા મળે છે.

Zarukho: વીનેશ અંતાણીની નવલકથા વિશે વાત 

તેમણે નારી મનની વેદના અને સંવેદનાને બખૂબી ટાંકી છે. જાસ્મીન શાહનું આ વક્તવ્ય ખરેખર અભ્યાસી રહ્યું. “‘પ્રિયજન’ મારું ગમતું પુસ્તક છે. પહેલીવાર વાચ્યું ત્યારથી એણે મારાં દિલ દિમાગ પર કબજો જમાવી દીધો છે. “વીનેશ અંતાણીની નવલકથા વિશે વાત કરતાં સ્મિતા શુક્લે જણાવ્યું હતું. આ પુસ્તકનું કથાવસ્તુ અલગ છે.ત્રીસ વર્ષ પછી બે પ્રેમી આઠ દિવસ સાથે રહે એ પહેલીવાર બન્યું હશે. લેખકે ઘણા નવા શબ્દપ્રયોગો કર્યા છે. આખી નવલકથામાં પ્રિયજન શબ્દ એક જ વાર આવે છે. ત્રીસ વર્ષ પછી મળ્યાં છે છતાં નથી એમની વાતોમાં આછકલાઈ કે નથી આકર્ષણ. તટસ્થતા છે.એમનુ મળવું પણ એક આકસ્મિક છે.પ્રેમનો મર્મ અહીં અન્ય વ્યાખ્યાની બહારનો છે. નિકેત -ઉમા અને ચારુ -દિવાકરનાં પાત્રોની રેખાઓ એકબીજામાં ભળી જાય છે.

આ સમાચાર પણ વાંચો : Gujarati Sahitya :કાંદીવલીમાં યોજાશે વાર્તાકાર મીનાક્ષી દીક્ષિતની સ્મૃતિમાં એક હળવાશભર્યો પરિસંવાદ ‘ મને સાંભરે રે’.

“નોબલ પુરસ્કાર વિજેતા હરમન હેસે “સિદ્ધાર્થ” નામની નવલકથા, ભારતની આધ્યાત્મિકતાને ધ્યાનમાં લઈને લખી છે.નવલકથાના નાયક સિદ્ધાર્થની જીવનયાત્રા, નાનપણમાં આધ્યાત્મિકતા તરફ, જુવાનીમાં ભૌતિકતા તરફ અને છેલ્લે પાછી આધ્યાત્મિકતા તરફ પ્રયાણ કરે છે.” એવું વિવિધ લેખો લખતા પ્રકાશ સંઘવીએ જણાવ્યું હતું. વીસ વર્ષની ઉંમરે નાયક ઘર છોડીને, થોડા વર્ષો સાધુઓના સંઘમાં વિતાવે છે. પછી ગૌતમ બુદ્ધનો ઉપદેશ સાંભળે છે પરંતુ શિષ્ય નથી બનતા.પછી સ્ત્રી પ્રત્યેના સહજ આકર્ષણને કારણે લગભગ બે દા

યકા સંસારની માયાજાળમાં ડૂબી જાય છે. અહીં નૈતિક પતન એટલી હદે થાય છે કે તેઓ આત્મહત્યા કરવાની અણી પર આવી જાય છે. સિદ્ધાર્થ પ્રૌઢ અવસ્થા નદી કિનારે વિતાવે છે અને નદી પાસેથી રોજ જીવનના રહસ્યો જાણે છે.

Zarukho: “ભાત ભાત કે લોગ” વિષે વાત 

સાહિત્યપ્રેમી મિતાબેન દીક્ષિતે પુ. લ. દેશપાંડેના જાણીતા પુસ્તક “વ્યકિત આણિ વલ્લી” ના ગુજરાતી અનુવાદ, “ભાત ભાત કે લોગ” વિષે વાત કરી પુ. લ. નો પરિચય આપ્યો અને એમના જાણીતાં પુસ્તકો, નાટકોનો સંદર્ભ આપ્યો. એમના પ્રિય પુસ્તકમાંના ૨૦ રેખાચિત્રોમાંથી, “હન્ડ્રેડ પર્સન્ટ પેસ્તનકાકા” ના રેખાચિત્રનું થોડું વાચિક્મ કર્યું.

 

લેખિકા નીલા સંઘવીએ સમગ્ર કાર્યક્રમનું બખૂબી સંચાલન કર્યું અને વક્તાઓનો પરિચય આપ્યો. સંકલનકર્તા સંજય પંડ્યાએ જણાવ્યું કે આપણી પાસે આપણી ભાષાનું અને ઈતર ભાષાનું અઢળક સાહિત્ય છે અને આ પ્રકારના કાર્યક્રમો દોઢ કલાકમાં છ પુસ્તકો વિશે જાણકારી આપે છે. ટ્રસ્ટી યોગેન્દ્રભાઈ રાવલે વક્તાઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Mumbai: મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ધમાકેદાર ઉજવાયો મહારાષ્ટ્રની બધી જ ગુજરાતી માધ્યમની શાળાઓનો સરસ્વતી સન્માન સમારોહ , MGT ઈનામ વિતરણ અને ઉત્તમ બાળમંદિર તેમજ શાળાનાં સત્કારનો ત્રિવેણી સંગમ સમાન સન્માન મહોત્સવ
Geeta Rabari: ગીતા રબારી – “કચ્છી કોયલ” – કરશે ‘સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’, બોરીવલીમાં પ્રથમવાર પરફોર્મન્સ
Jharukho : શનિવારે ‘ઝરૂખો ‘માં’ ‘લીલી પટેલની અભિનય યાત્રા: ભવાઈ, નાટક, સિરિયલ અને ફિલ્મ ‘
Dr. Mayank Trivedi: વડોદરાની MSUના લાઈબ્રેરિયન ડૉ. મયંક ત્રિવેદીને દેશના શ્રેષ્ઠ લાઈબ્રેરિયન એવોર્ડથી કરાયા સન્માનિત.. જાણો તેમની કારકિર્દી વિશે…
Exit mobile version