ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ઑગસ્ટ, 2021
મંગળવાર
ભારતની સ્વતંત્રતાનાં 75મા વર્ષની ઉજવણી નિમિત્તે રાજધાની દિલ્હીમાં ‘આઝાદી કા અમૃત’ મહોત્સવનું આયોજન થઈ રહ્યુ છે. મહોત્સવના કાર્યક્રમ માટે એક થીમ સૉન્ગ તૈયાર કરવામાં આવ્યું છે. દેશના 40 યુવા પ્રતિભાશાળી કલાકારોનો થીમ સૉન્ગમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં મૂળ સાબરકાંઠાના અને હાલ મુંબઈના પૂર્વ પરા મુલુંડમાં રહેતા 14 વર્ષના તબલાવાદક તૃપ્તરાજ પંડ્યાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ગિનીઝ બુક ઑફ રેકૉર્ડમાં નાની વયના તબલાવાદક બાળકલાકાર તરીકેનો રેકૉર્ડ તૃપ્તરાજના નામે છે. દિલ્હીમાં થનારા કાર્યક્રમ માટે તેની પસંદગી થવાથી મુંબઈની સાથે જ તેના મૂળ વતન સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના બામણા ગામમાં આનંદ વ્યાપી ગયો છે.
તુપ્તરાજના પપ્પા અતુલ પંડ્યાએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે દેશના સાંસ્કૃતિક ખાતા દ્વારા દિલ્હીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં દેશના 40 યુવા પ્રતિભાશાળી કલાકારનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોરોનાને પગલે જોકે દિલ્હીમાં પ્રત્યક્ષ રીતે તૃપ્તરાજે હાજર રહેવાનું નથી, પણ આ કાર્યક્રમ માટે બનાવવામાં આવેલા થીમ સૉન્ગમાં તૃપ્તરાજનું પર્ફોર્મન્સ રહેવાનું છે. એ માટેનું બે દિવસનું શૂટિંગ મુંબઈમાં થઈ ગયું છે. સ્વાતંત્ર્ય દિવસના અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે આ થીમ સૉન્ગ રિલીઝ કરવામાં આવવાનું છે.
અહીં ઉલ્લેખનીય છે કે સૌથી નાની વયના તબલાવાદક બાળકલાકાર તરીકે તૃપ્તરાજનું નામ ગિનેઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં છે. ત્રણ વર્ષની ઉંમરે તૃપ્તરાજે દૂરદર્શન પર તબલાવાદક સંગીતના કાર્યક્રમો રજૂ કર્યા હતા. ત્યાર બાદ છ વર્ષની ઉંમરે સૌથી નાની વયના તબલાવાદક તરીકે ગિનેઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું હતું તેમ જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે બાર વર્ષની ઉંમરે બાળશક્તિ કલ્ચરલ અને આર્ટ્સ શ્રેણીમાં બેસ્ટ તબલાધારક તરીકે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર પણ મેળવ્યો છે.
હાલ SSCમાં ભણી રહેલા તૃપ્તરાજને ગળથૂથીમાંથી જ સંગીતનો વારસો મળ્યો છે. તૃપ્તરાજના વ્યવસાયે ટૅક્સ કન્સલ્ટન્ટ પિતા અતુલભાઈએ જણાવ્યું હતું કે તેમના ઘરમાં કોઈ તબલાં નહોતું વગાડતું, પરંતુ ઘરમાં હંમેશાં સંગીતમય વાતાવરણ રહેતું. તેમને પોતાને પણ સિન્ગિંગનો ભારે શોખ રહ્યો હતો. એથી નાનપણથી તૃપ્તરાજ સંગીત પ્રત્યે આકર્ષાયો હતો, પરંતુ તબલાં માટે તે આટલો બધો ગંભીર હશે એ વિચાર્યું નહોતું. બે વર્ષની ઉંમરથી તે તબલાં વગાડવા માંડ્યો હતો. ત્રણ વર્ષનો થયો ત્યારે નૅશનલ ટીવી પર પર્ફોર્મન્સ આપ્યા બાદ અનેક લોકોએ ગિનીઝ બુકમાં રજિસ્ટર્ડ કરવા કહ્યું હતું. જોકે તે છ વર્ષનો થયો ત્યારે જ તેનું નામ રજિસ્ટર્ડ કરાવ્યું હતું. ત્યાર બાદ અનેક રેકૉર્ડિંગ અને પુરાવા બાદ જ ગિનીઝ બુકમાં તેનું નામ નોંધાયું હતું.
હાલ તૃપ્તરાજ સ્કૂલમાં ભણી રહ્યો છે. એ સાથે જ પંડિત નયન ઘોષ પાસે સંગીત મહાભારતીમાં શીખી રહ્યો છે.