ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
ગાંધીનગર, ૨૬ એપ્રિલ 2021
સોમવાર
ગુજરાતમાં કોવિડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં વધારાના માનવબળ ની આવશ્યકતા ઉભી થઈ છે. આ બાબતને ધ્યાનમાં લઈ રાજ્યના આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરેએ રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજના બોન્ડેડ ઉમેદવારોને ફરજિયાતપણે તાત્કાલિક હાજર થવાનો આદેશ કર્યો છે.
આ આદેશ મુજબ રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના ૫૧૩, રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના ૧૩૬ તથા રાજ્યની જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજના ૫૯૩ ઉમેદવારોને તબીબી અધિકારી વર્ગ -૨ તરીકે અપાયેલી નિમણૂંકના સંદર્ભે હાજર થવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે.
રાજ્યના તબીબી શિક્ષણ અમને સેવાઓના કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરેએ કરેલા હુકમ અનુસાર કોવીડ ૧૯ના દર્દીઓની સારવાર માટે માનવબળની ઘટ વર્તાઈ રહી છે અને તાકીદની પરિસ્થિતિમાં તબીબોની તીવ્ર જરુરીયાત છે, જે સંદર્ભે આ આદેશ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોવીડના કેસમાં અસાધારણ વધારો થતા કુશળ માનવબળની જરુરિયાત ઉભી થઈ છે ત્યારે રાજ્ય સરકારે તે માટે શ્રેણીબદ્ધ પગલાઓ લીધા છે.
આ આદેશ મુજબ બોન્ડેડ તબીબો ૨૬-૦૪-૨૦૨૧ સુધીમાં તેમની નિમણુંકના સ્થળે હાજર ન થાય તો તમામ જિલ્લા કલેક્ટરશ્રી અને મ્યુનિસિપલ કમિશનરશ્રીઓને એપેડેમિક એક્ટની કલમ-૩ની જોગવાઈ હેઠળ કાર્યવાહી હાથ ધરવા માટેની સૂચના આપવામાં આવી છે.
