ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો,
મુંબઈ, 6 એપ્રિલ 2021
મંગળવાર
કોરોનાએ ફરી દેશમાં હાહાકાર મચાવ્યો છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર પછી હવે ગુજરાત રાજ્યે પણ લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને રાજ્યમાં 3થી 4 દિવસ માટે કર્ફ્યુ લગાવવાનો આદેશ આપ્યો છે.
ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, કોરોના સંક્રમણની ચેઇન તોડવી જરૂરી છે. રાજ્યમાં ત્રણથી ચાર દિવસનો કર્ફ્યુ લાદવા અને વીકએન્ડ કર્ફ્યુ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી ટકોર પણ કરી છે. સાથે જ રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવાનો આદેશ પણ કોર્ટે આપ્યો છે. રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં રાત્રી કર્ફ્યૂ લંબાવાયો છે. ચાર મહાનગરોમાં રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ હાલ અમલમાં છે. રાજ્યમાં કોરોનાના એક જ દિવસમાં 3 હજારથી વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠકમાં કોરોના સંક્રમણની સ્થિતિ બાબતે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં દર્દીઓને ઓક્સિજન સરળતાથી મળી શકે તે માટે સપ્લાયર્સને 60 ટકા સ્ટોક રિઝર્વ રાખવા તાકીદ કરાઈ છે. આ સિવાય રાજ્યના 8 મહાનગરોમાં 500-500 બેડના કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે.