News Continuous Bureau | Mumbai
Gujarat : ચોમાસાની(monsoon )ઋતુ દરમિયાન મેઘરાજાની અમીદ્રષ્ટ્રિના પરિણામે ઉકાઈ ડેમ ૩૪૪.૪૩ ફુટની સપાટીએ ભરાયો છે. હાલ ઉકાઈ જળાશયમાં(Ukai Dam) ૬૬૨૮.૪૧ એમ.સી.એમ. પાણી સંગ્રહિત થયું છે. જેથી ઉકાઈ આધારિત વિસ્તારના લોકોને સિંચાઈથી લઈને પિવાના પાણીની મુશ્કેલીઓ પડશે નહી. લોકોને સિંચાઈ અને પીવાનું પાણી સમયસર મળી રહે તેના આયોજન અર્થે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના(Mukeshbhai Patel) અધ્યક્ષસ્થાને અધિકારીઓ અને સિંચાઈ મંડળના પ્રતિનિધિઓ સાથે ઉકાઈ-કાકરાપાર(Kakrapar) સિંચાઈ યોજનાની સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી.
સુરત સિંચાઈ વર્તુળની કચેરી, અઠવાલાઈન્સના સભાખંડમાં યોજાયેલ બેઠકમાં ૨૦૨૩-૨૪ દરમિયાન ખરીફ, રવિ અને ઉનાળુ સિઝન દરમિયાન ઉકાઈ ડેમની ડાબા તથા જમણા કાંઠામાંથી સિંચાઈ માટે છોડવાના પાણી અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરીને રોટેશન નક્કી કરવામાં આવ્યા હતા.
મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે મેઘમહેરથી ઉકાઈ ડેમમાં પૂરતી જળરાશિનો સંગ્રહ થયો છે, ત્યારે પાણીરૂપી પારસમણિનો કરકસરપૂર્ણ ઉપયોગ થાય તે જરૂરી છે. ખેડૂતો વધુમાં વધુ ડ્રિપ ઈરીગેશન પધ્ધતિનો ઉપયોગ કરે, પાણીનો વેડફાટ ન થાય તેની તકેદારી રાખવી એ આપણા સૌની જવાબદારી છે. આ ઉપરાંત સિંચાઈના કામો ગુણવત્તાયુકત અને સમયસર પૂર્ણ થાય, કેનાલના તળ વિસ્તારમાં પાણી પહોચે તે પ્રકારનું આયોજન કરવા પર તેમજ દરેક ગામોમાં વધુમાં વધુ પિયત મંડળીઓ સ્થાપવા પર ભાર મૂકયો હતો.
બેઠકમાં ૨૦૨૩-૨૪માં સુરત સિંચાઈ વર્તુળ અંતર્ગત કાકરાપાર યોજના, ઉકાઈ યોજના અને ઉકાઈ સિવિલ વર્તુળ-ઉકાઈ અંતર્ગત રવિ પાકની સિઝન માટે ૧,૫૬,૦૧૫ હેકટર વિસ્તારને સિંચાઈ મળી રહેશે. જયારે ઉનાળા દરમિયાન ૧,૪૬,૨૧૦ હેકટર વિસ્તારોમાં સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સૂચિત રોટેશન ઘડી કાઢવામાં આવ્યું છે. રવિ, ઉનાળુ પાક માટે પહેલા, બીજા, ત્રીજા અને ચોથા રોટેશન અનુસાર નવેમ્બર-૨૦૨૩થી લઈ જુન ૨૦૨૪ દરમિયાન કાકરાપારના ડાબા કાંઠા મુખ્ય નહેર તથા ઉકાઈ જમણા કાંઠા મુખ્ય નહેર વિસ્તાર માટે ૧૫૪ દિવસ પાણી વહેવડાવવામાં આવશે, જેમાં નહેર ૩૫ દિવસ બંધ રહેશે. જયારે કાકારાપાર ડાબા કાંઠા મુખ્ય નહેર માટે ૧૯૬ દિવસ પાણી અપાશે. જયારે ૯૧ દિવસ રહેશે. તેમજ ઉકાઈ ડાબા કાંઠા મુખ્ય નહેર ૧૮૮ દિવસ પાણી અપાશે અને ૬૧ દિવસ બંધ રહેશે.
સિંચાઈ વસુલાત અને પિયાવાની વિગતોમાં એપ્રિલથી સપ્ટેમ્બર-૨૩ સુધીમાં ઉકાઈ-કાકરાપાર યોજનામાં રૂા.૫૩૧.૩૦ લાખ તથા ઉકાઈ યોજના(વાલોડ)માંથી રૂા.૫૦.૬૫ લાખ મળી રૂા.૫૮૨ લાખના પિયાવાની રકમની વસુલાત કરવામાં આવી છે, જયારે ઉકાઈ કાકરાપારની બિનખેતીમાંથી સપ્ટેમ્બર સુધીમાં રૂા.૪૪૭ કરોડની વસુલાત કરવામાં આવી છે.
ડિસેમ્બર-૨૩ થી જાન્યુ.-૨૪ દરમિયાન અંદાજે ૩૦ દિવસ દરમિયાન આધુનિકરણ અને મરામતના કામો માટે નહેરોને બંધ રાખવામાં આવશે.
બેઠકમાં ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ, સુરત સિંચાઈ વર્તુળના કાર્યપાલક ઈજનેર સતિષભાઈ પટેલ, અધિક્ષક ઈજનેરશ્રી એસ.બી. દેશમુખ તથા સિંચાઈ મંડળીઓના પ્રમુખશ્રીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Surat : મજુરાગેટ સ્થિત ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં બે દિવસીય નેશનલ લેવલ ટેકનિકલ ફેસ્ટ ‘ટેક વર્ધનમ ૨૦૨૩’નો શુભારંભ..