ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 20 ડિસેમ્બર 2021
સોમવાર.
એનસીબીના ઝોનલ ડિરેકટર સમીર વાનખેડે દ્વારા જ્યારથી આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી ત્યારથી મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે વાનખેડે પર આરોપ લગાવવાનુ શરૂ કર્યુ હતુ. ઉપરાંત મલિકે વાનખેડે અને તેના પરિવારના સભ્યો પર ધર્મ-જાતિને લઈને ઘણા આક્ષેપો કર્યા હતા. જે બાદ વાનખેડેના પિતાએ આ મામલે બોમ્બે હાઈકોર્ટમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જેમાં કોર્ટ વાનખેડે અને તેના પરિવારજનો પર નિવેદન કરવા મલિકને આદેશ કર્યા હતા. તે બાદ પણ મલિક અટક્યા નહોતા, જેથી બોમ્બે હાઈકોર્ટ સમક્ષ મલિકે બિનશરતી માફી પણ માગી હતી. ત્યારે ફરી હાલ યાસ્મીને મલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને ગંભીર આક્ષેપ લગાવ્યા છે.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના પ્રાદેશિક નિર્દેશક સમીર વાનખેડેની બહેન યાસ્મીન વાનખેડેએ મહારાષ્ટ્રના મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા નવાબ મલિક પર માનહાનિ સહિત ગંભીર આરોપ લગાવ્યા છે. આ સાથે યાસ્મીને મલિક વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં યાસ્મીન વાનખેડેએ દાવો કર્યો છે કે, મલિકે તેની સામે બદનક્ષીભર્યા અને પાયાવિહોણા આક્ષેપો કર્યા છે, જેઓ સારી રીતે જાણે છે કે તેના આરોપ “સંપૂર્ણપણે ખોટા” છે. ઉપરાંત ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો હતો કે સમીર વાનખેડે સામે બદલો લેવા માટે મલિકે વાનખેડે અને તેના પરિવાર પર પાયાવિહોણા આરોપ લગાવ્યા હતા. જેથી યાસ્મીન વાનખેડે મેજિસ્ટ્રેસ સમક્ષ ફરિયાદ દાખલ કરીને મલિક સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે.
અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ કરવામાં આવેલી આ ફોજદારી ફરિયાદમાં મલિક સામે IPC કલમ 354D (પીછો કરવો), 499 (બદનક્ષી) અને 509 હેઠળ પગલાં લેવાની માગ કરવામાં આવી છે.