News Continuous Bureau | Mumbai
Divyang Welfare Gujarat :
- આ સ્પર્ધામાં ભાગ લેવાની તારીખ લંબાવવામાં આવી છે, ૧૩ માર્ચ ૨૦૨૫ સુધીમાં અરજી સબમીટ કરી શકાશે
- મદદનીશ નિયામક રોજગાર કચેરી – શાહીબાગ ખાતે રૂબરૂ તથા ટપાલ મારફતે અરજી કરાવવાની રહેશે
દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવ્યાંગ વ્યક્તિઓ તથા તેમને કામે રાખતા નોકરીદાતાઓ તથા તેમને નોકરીમાં સ્થાયી કરવાની વિશિષ્ટ કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસર્સ માટે રાજ્ય પારિતોષિક સ્પર્ધા-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં વધુમાં વધુ દિવ્યાંગ ઉમેદવારો ભાગ લે તે માટે આ અરજી સ્વીકારવાની તારીખ લંબાવવામાં આવી છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ૧૩ માર્ચ ૨૦૨૫ સુધીમાં મદદનીશ નિયામક રોજગાર કચેરી -શાહીબાગ ખાતે રૂબરૂ તથા ટપાલ મારફતે અરજી સબમીટ કરાવવાની રહેશે.
અત્રે ઉલ્લેખનીય છેકે વર્ષ-૨૦૨૪માં વિવિધ કેટેગરીમાં રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિકો મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. જેમાં (૧) શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ / સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ, (૨) દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ, (૩) દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફીસર્સનો સમાવેશ થાય છે. દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીઓનો નમૂનો અત્રેના ખાતાની વેબસાઈટ www.talimrojgar.gujarat.gov.in થી અથવા મદદનીશ નિયામક રોજગાર કચેરી, બ્લોકનં-એ-બી, અસારવા બહુમાળી ભવન, ગિરધરનગર બ્રીજ પાસે, શાહિબાગ, અમદાવાદ ખાતે “વિનામૂલ્યે” મળી શકશે.
આ સમાચાર પણ વાંચો: Career Festival: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા દ્વારા ‘કરિયર મહોત્સવ’ ને ખૂલ્લો મુકાયો, ગુજરાતની આટલી શાળાઓમાં યોજાશે
આ અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, છેલ્લા ત્રણ માસની અંદરનું દાક્તરી પ્રમાણપત્ર અને પોલીસ વેરીફીકેશન તથા અન્ય સંબંધિત તમામ પ્રમાણપત્રો, દિવ્યાંગતા દર્શાવતા પોસ્ટકાર્ડ સાઈઝના ફોટા સહિત બિડાણમાં સામેલ રાખવા. નોકરીદાતા તેમજ પ્લેસમેન્ટ ઓફિસરએ પણ ફોર્મમાં દર્શાવેલ કોલમ મુજબની પૂરેપૂરી વિગતો જણાવવી તેમજ તેને સંબંધિત જરૂરી બિડાણો અચૂક સામેલ કરવા. તેમજ ભરેલા અરજીપત્રકો સાધનિક દસ્તાવેજો સહિત બે નકલમાં મદદનીશ નિયામક રોજગારની કચેરી, બ્લોકનં-એ-બી, અસારવા બહુમાળી ભવન, ગિરધરનગર બ્રીજ પાસે, શાહિબાગ, અમદાવાદ ખાતે મોડામાં મોડા તા.૧૭/૦૩/૨૦૨૫ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા મળી જાય તે રીતે મોકલી આપવા જણાવવામાં આવે છે. અધુરી વિગત વાળી / નિયત સમય મર્યાદા બાદની આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહી. વધુ માહિતી માટે મદદનીશ નિયામક રોજગારની કચેરી, બ્લોકનં-એ-બી, અસારવા બહુમાળી ભવન, ગિરધરનગર બ્રીજ પાસે, શાહિબાગ, અમદાવાદનો સંપર્ક સાધવા વિનંતી છે એમ મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed