News Continuous Bureau | Mumbai
Natural Farming હાલોલ તાલુકાના નવા ઢીંકવાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતના ખેતરે પહોંચ્યા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી*

રાજ્યપાલશ્રીએ સ્વયં ગાય દોહી અને ખેતરમાં હળ ચલાવ્યું*
પંચમહાલ, શનિવાર :: ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના નવા ઢીંકવા ગામની મુલાકાત દરમિયાન પ્રગતિશીલ ખેડૂત શ્રી લક્ષ્મણભાઈ ખુમાનભાઈ રાઠવાના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.
આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રી સ્વયં ખેતરમાં હળ ચલાવીને ખેતીકામમાં સહભાગી થયા હતા. આ પૂર્વે તેમણે ગાયનું દૂધ દોહન પણ કર્યું હતું. રાજ્યપાલશ્રીની આ સહજતા અને કાર્ય પરાયણતા જોઈ ઉપસ્થિત સૌ કોઈ પ્રભાવિત થયા હતા.
આ ફાર્મ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ ફાર્મ પર પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડવામાં આવેલા વિવિધ પાકોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને હળદરના પાકમાં મેળવેલ મબલખ ઉત્પાદન અને તેની ગુણવત્તા જોઈ તેમણે હર્ષ અને સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાસાયણિક ખાતર વગર પણ આવું ગુણવત્તાયુક્ત ઉત્પાદન એ વાતની સાબિતી છે કે પ્રાકૃતિક ખેતી આર્થિક રીતે પણ વધુ ફાયદાકારક છે.
આ સમાચાર પણ વાંચો : Mahalakshmi Rajyog 2026: વર્ષ ૨૦૨૬માં આ ૩ રાશિઓનું નસીબ સૂર્યની જેમ ચમકશે! મહાલક્ષ્મી રાજયોગ લાવશે સુખ, સમૃદ્ધિ અને સફળતાની સોગાદ
ખેડૂત શ્રી લક્ષ્મણભાઈ રાઠવા સાથેના સંવાદ દરમિયાન રાજ્યપાલશ્રીએ તેમના અનુભવો જાણ્યા હતા અને ગૌ-સંવર્ધન, જમીનની ફળદ્રુપતા, સ્વાસ્થ્ય સુરક્ષા સહિતના મહત્વના મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ.દેસાઈ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, ધારાસભ્યશ્રી જયદ્રથસિંહ પરમાર, હાલોલ મદદનીશ કલેકટરશ્રી ઈ.સુસ્મિતા સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કૃષિ નિષ્ણાતો, ગ્રામ સરપંચશ્રી સહિત અન્ય મહાનુભાવો, અગ્રણીઓ, ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.