ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 નવેમ્બર 2021
શનિવાર
ગુજરાતમાં હાલ રાત્રે ઠંડીનો ચમકારો અને દિવસે ગરમીથી ડબલ સીઝન અનુભવાય છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં આગામી બે દિવસમાં લઘુતમ તાપમાન 4 ડીગ્રી સુધી ગગડતાં ઠંડીમાં વધારો થશે. આગામી 3 દિવસ અમદાવાદમાં 15થી 17 ડીગ્રી વચ્ચે સરેરાશ લઘુતમ તાપમાન રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતમાં આગામી 5 દિવસ ઠંડીમાં વધારો થવાની સંભાવના નથી. જોકે રાજ્યમાં અન્યત્ર ઠંડીના પ્રભુત્વમાં વધારો અનુભવાઇ શકે છે.
નવેમ્બર મહિનામાં ગાંધીનગર જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો છે. છેલ્લા બે દિવસમાં જિલ્લામાં પ્રથમ વખત 7 ડીગ્રી લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. 23 નવેમ્બરે લઘુતમ તાપમાન 19 ડીગ્રી નોંધાયું હતું. ત્યાર બાદ 25 નવેમ્બરે 12 ડીગ્રી થઈ ગયું હતું. આગામી ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં હાડ થિજાવતી કાતિલ ઠંડી પડશે. ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો વધતાં વૃદ્ધો અને દર્દીઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે.
MSP પર કાયદો બન્યા પછી જ પરત જઈશું, ટીકરી બોર્ડર પર ખેડૂતોનું શક્તિપ્રદર્શન સાથે મહાપંચાયત શરૂ
હવામાનની આગાહી કરનારાના મતે ફરી ડિસેમ્બર મહિનામાં માવઠા થવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણના લીધે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠું થવાની સંભાવના એક્સપર્ટસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ડિસેમ્બરની શરૂઆતમાં જ હવાના હળવા દબાણની અસરથી દેશના ઘણા ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે. 19 ડિસેમ્બરથી વાતાવરણમાં પલટો આવી શકે છે, પરંતુ 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય–પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા અને ગાત્રો થીજવતી ઠંડીની પડવાની શક્યતા છે. હાલ રાજયમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદ સહિત અનેક જગ્યાએ સવારે ધુમ્મસ છવાયેલું જોવા મળે છે, તેની સાથે ગુલાબી ઠંડીનો એહસાસ થઈ રહ્યો છે. પવનની દિશા બદલાશે અને ઠંડીનું જોર વધશે તેમજ દરિયામાં પવનની ગતિ તેજ રહેશે. માત્ર દક્ષિણ ગુજરાત સિવાય અન્ય કોઈ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી નથી. આગામી 3 દિવસ અમદાવાદમાં લઘુતમ તાપમાન 16 ડીગ્રી થવાની સંભાવના છે.
રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ અને માવઠાના મારને કારણે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે, ત્યારે વરસાદને કારણે થયેલા નુકસાની મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મહત્ત્વની બેઠક યોજશે, જેમાં પાક નુકસાનીનો સર્વે મુદ્દે ચર્ચા કરવામાં આવશે.કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાન અંગે સહાય આપવા કૃષિમંત્રીએ હકારાત્મક વલણ અપનાવ્યું છે અને સહાય અંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અંતિમ નિર્ણય કરશે. મહત્ત્વનું છે કે 11 જિલ્લાના 48 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. 48 તાલુકા પૈકી 23 તાલુકામાં તો 2 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો હતો.