News Continuous Bureau | Mumbai
દેશમાં કોરોના બાદ હવે H3N2 નામનો નવો વાયરસ ત્રાટક્યો છે. ઘણા રાજ્યોમાં H3N2ના કેસ વધી રહ્યાં છે, આથી રાજ્ય સરકારોએ બચવા માટે જરૂરી પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. આરોગ્ય વિભાગે હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. આવી સ્થિતિમાં એક રાજ્ય સરકારે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
ધોરણ 1 થી 8 સુધીની શાળાઓ બંધ
પુડુચેરીના શિક્ષણ મંત્રી નમસ્શિવમે H3N2 વાયરસ અને ફ્લૂના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને શાળાઓમાં રજા જાહેર કરી છે. પુડુચેરીમાં 16 માર્ચથી 26 માર્ચ સુધી શાળાઓ બંધ રહેશે. હાલમાં આ નિર્ણય ધોરણ 1 થી ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવ્યો છે. બાકીના વર્ગો તેમના સમયપત્રક મુજબ ચાલુ રહેશે.
70 થી વધુ કેસ નોંધાયા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પુડુચેરીમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝાના 79 કેસ નોંધાયા છે. જો કે, રાજ્યમાં હજુ સુધી કોઈ મૃત્યુ થયું નથી. આરોગ્ય વિભાગે કેસોની વધતી સંખ્યા પર નજર રાખવા હોસ્પિટલો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને એલર્ટ કરી દીધા છે.
આ સમાચાર પણ વાંચો : આંતરરાષ્ટ્રીય ટેન્શન, રશિયાના જેટ વિમાને અમેરિકાનું ડ્રોન તોડી પાડ્યું
H3N2 ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણો
H3N2 ઈન્ફલ્યુએન્ઝા ફાટી નીકળતાં સમગ્ર દેશમાં ચિંતા વધી છે. ઈન્ફલ્યુએન્ઝાના કેસ એવા સમયે સામે આવી રહ્યા છે જ્યારે દેશ 3 વર્ષ બાદ કોરોના મહામારીમાંથી બહાર આવ્યો છે. બાળકો અને વૃદ્ધો વધુને વધુ વાયરસનો શિકાર બની રહ્યા છે. ડોકટરોના જણાવ્યા મુજબ, ઈન્ફલ્યુએન્ઝાના મોટાભાગના દર્દીઓમાં સમાન લક્ષણો હોય છે. જેમ કે ઉધરસ, ગળામાં ચેપ, શરીરમાં દુખાવો, નાકમાં પાણી આવવું.