ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑગસ્ટ, 2021
ગુરુવાર
પ્લાસ્ટર ઑફ પૅરિસની મૂર્તિ પરનો પ્રતિબંધ હટાવી દેવાની માગણી કરતી મૂર્તિકારોની અરજીને બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે ફગાવી દીધી છે. જોકે પ્લાસ્ટર ઑફ પૅરિસની મૂર્તિ બનાવનારાઓના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને તેમને મૂર્તિ વેચવાની મંજૂરી આપી હતી. જોકે આ મૂર્તિને ભગવાનની મૂર્તિ તરીકે નહીં, પણ પ્લાસ્ટર ઑફ પૅરિસની વસ્તુ તરીકે વેચવાની રહેશે. એટલું જ નહીં, આ મૂર્તિઓનું સાર્વજનિક વિસર્જન સ્થળે વિસર્જન કરી શકાશે નહીં એવો આદેશ પણ કોર્ટે આપ્યો છે.
હાઈ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન નાગપુર મ્યુનિસિપલ કૉર્પોરેશને કહ્યું હતું કે પ્લાસ્ટર ઑફ પૅરિસની મૂર્તિ પર સપ્ટેમ્બર 2012ની સાલથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ એનો ગંભીરતાપૂર્વક અમલ થઈ શક્યો નથી. આ દરમિયાન મૂર્તિકારોએ મોટા પ્રમાણમાં મૂર્તિ બનાવી લીધી છે. એથી તેને જો વેચવાની મંજૂરી નહીં મળી તો તેઓ આર્થિક રીતે બરબાદ થઈ જશે એવી દલીલ કરી હતી. એને પગલે હાઈ કોર્ટે તેમનાં આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને મૂર્તિને ભગવાનની મૂર્તિ નહીં પણ પ્લાસ્ટર ઑફ પૅરિસની વસ્તુ તરીકે વેચવાની મંજૂરી આપી હતી. તેમ જ આ મૂર્તિની ખરીદી કરનારાઓને આ મૂર્તિનું કુદરતી કે પછી આર્ટિફિશિયલ રીતે બનાવવામાં આવેલા વિસર્જન સ્થળ પર એનું વિર્સજન કરી શકશે નહીં એની જાણ કરવાની રહેશે.
મૂર્તિકારોને આ વર્ષે અને હવે ભવિષ્યમાં પણ ગણેશની મૂર્તિ કે પછી અન્ય કોઈ પણ મૂર્તિ પ્લાસ્ટર ઑફ પૅરિસની નહીં બનાવે એવું અન્ડરટેકિંગ લખી આપવાનો આદેશ પણ કોર્ટે આપ્યો છે.
નાગપુર મ્યુનિસિપલ કૉર્પોરેશને સેન્ટ્રલ પૉલ્યુશન બોર્ડની 12 મે, 2020ની ગાઇડલાઇન મુજબ તહેવારોને ધ્યાનમાં રાખીને પ્લાસ્ટર ઑફ પૅરિસની મૂર્તિના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. એથી મૂર્તિકારોએ કોર્ટમાં પિટિશન કરી હતી. કોર્ટમાં મૂર્તિકારોએ જણાવ્યું હતું કે અત્યાર સુધી ગણેશોત્સવ અને દુર્ગાપૂજા માટે 4.5 લાખથી વધુ પ્લાસ્ટર ઑફ પૅરિસની મૂર્તિ બની ચૂકી છે. પ્લાસ્ટર ઑફ પૅરિસની મૂર્તિ પરના પ્રતિબંધને પગલે તેમનાં આર્થિક હિત જોખમમાં આવી શકે છે.