ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઑગસ્ટ, 2021
સોમવાર
નાગરિકો અને રાજકીય પક્ષના દબાણ હેઠળ પુણેમાં લેવલ થ્રી હેઠળનાં નિયંત્રણોને હળવાં કરવાની જાહેરાત મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે રવિવારે કરી હતી. સામાન્ય રીતે રાજ્યમાં કોઈ પણ મોટી જાહેરાત મુખ્ય પ્રધાન દ્વારા જ કરવામાં આવતી હોય છે. પરંતુ રવિવારે પુણેમાં નિયંત્રણો હળવાં કરવાની જાહેરાત અજિત પવારે કરી હતી. એથી રાજ્યમાં શું બે મુખ્ય પ્રધાનો રાજ કરી રહ્યા છે? એવા સવાલો ચર્ચાઈ રહ્યા છે.
દિલ્હી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સરકારે તાબડતોબ લીધા આ પગલા ; જાણો વિગતે
રવિવારે સવારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પુણે સંદર્ભે જાહેરાત કરી હતી. અગાઉ તેઓ અનેક વખત પુણે જઈ આવ્યા હતા, ત્યાંની પરિસ્થિતિનો અહેવાલ પણ લીધો હતો. ત્યાર બાદ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમણે પુણેમાં રાહત આપતી જાહેરાત કરી હતી. અજિત પવાર જોકે પુણેના પાલકપ્રધાન પણ છે. પાલકપ્રધાન હોવાને નાતે કદાચ તેમણે પુણેમાં નિયંત્રણો હળવાં કરવાની જાહેરાત કરી હોવાનું માનવામાં આવે છે, પરંતુ સામાન્ય રીતે રાજ્યમાં કોઈ પણ મોટા નિર્ણયની જાહેરાત મુખ્ય પ્રધાન દ્વારા જ કરવામાં આવતી હોય છે ત્યારે અજિત પવારે પુણેના સંદર્ભે કરેલી જાહેરાતથી રાજકીય સ્તરે લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મહાવિકાસ આઘાડી સરકારના પ્રધાન નવાબ મલિક તેમ જ સોશિયલ વેલફેર ઍન્ડ રીહેબિલિટેશન મિનિસ્ટર વિજય વડેટ્ટીવાર દ્વારા અનલૉક અને લોકલ ટ્રેન સંદર્ભમાં જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ રાજકીય દબાણને પગલે બાદમાં આ બાબતે મુખ્ય પ્રધાન જ નિર્ણય લેશે કહીને તેમને ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાવવું પડ્યું હતું. એથી પુણેને લઈને અજિત પવારની જાહેરાતને પગલે મહાવિકાસ આઘાડી સરકારમાં પણ સબ સલામત નહીં હોવાનું માનવામાં આવે છે. રાષ્ટ્રવાદી અને શિવસેના બંને પોતાનું વર્ચસ્વ સાબિત કરવા મથી રહી છે, જેમાં કૉન્ગ્રેસ તો ક્યાંય પાછળ રહી ગઈ હોવાનું ચર્ચાય છે.