News Continuous Bureau | Mumbai
- સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો ‘કિસાન સન્માન સમારોહ’ યોજાયો
- સુરત જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરાયા
- સુરત જિલ્લાના ૧,૧૮,૭૮૨ ખેડૂતોના બેન્ક ખાતામાં રૂ.૨૩ કરોડની કિસાન સન્માન નિધિની સહાય જમા કરાઈ
- વડાપ્રધાનશ્રીએ બિહારથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ૧૯મો હપ્તો રિલીઝ કર્યો: સમગ્ર દેશના ૯.૭ કરોડ ખેડૂતોના બેન્ક ખાતામાં રૂ.૨૨,૦૦૦ કરોડની સહાય જમા કરાઈ
Kisan Samman Samaroh: સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો ‘કિસાન સન્માન સમારોહ’ યોજાયો હતો. જેમાં ખેડૂત લાભાર્થીઓને લાભ વિતરણ અને પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. બિહારમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ પી.એમ.કિસાન સન્માન નિધિ યોજનાનો ૧૯મો હપ્તો રિલીઝ કરતા સમગ્ર દેશના ૯.૭ કરોડ લાભાર્થી ખેડૂતોના બેન્ક ખાતામાં રૂ.૨૨,૦૦૦ કરોડની સહાય જમા કરી હતી. જેના ભાગરૂપે સુરત જિલ્લાના ૧,૧૮,૭૮૨ ખેડૂતોના બેન્ક ખાતામાં રૂ.૨૩ કરોડની કિસાન સન્માન નિધિની સહાય જમા કરાઈ હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વેસુ પોલીસ સ્ટેશનની બાજુમાં, પનાસ ગામ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં FPO તેમજ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન યોજાયું હતું. વડાપ્રધાનશ્રીએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું, તેમજ જિલ્લા ખેતીવાડી વિભાગ, આત્મા, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓએ ખેડૂતોને માર્ગદર્શન સહ પ્રોત્સાહિત કર્યા હતા. ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલ તેમજ કૃષિ રાજ્યમંત્રીશ્રી બચુભાઈ ખાબડ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા. રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.
આ સમાચાર પણ વાંચો: BJP Kalash Yatra: પ્રયાગરાજના પવિત્ર જળનું સ્નાન મુંબઇમાં થશે, મહાશિવરાત્રી નિમિત્તે બોરીવલીમાં પવિત્ર જળની સ્નાન અને આચમન વ્યવસ્થા
Kisan Samman Samaroh: વડાપ્રધાનશ્રીના હસ્તે PM કિસાન સન્માન નિધિના ૧૯મા હપ્તા પેટે સમગ્ર દેશના ૯.૭ કરોડથી વધુ ખેડૂતોને રૂ.૨૨,૦૦૦ કરોડથી વધુની સહાય બેન્ક ખાતામાં જમા કરી હતી, જે પૈકી ગુજરાતના આશરે ૫૧.૪૧ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ.૧,૧૪૮ કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં જમા કરાયા હતા. આ પ્રસંગે ઓલપાડ-ચોર્યાસી તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયેશભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિથી સમગ્ર ભારતમાં ૧લી ડિસેમ્બર-૨૦૧૮થી ખેડૂતોની આવક વધારવા અને તેમના સર્વાંગી કલ્યાણ માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરાઈ હતી. આ યોજના હેઠળ સુરત જિલ્લાના ૧,૧૮,૭૮૨ ખેડૂતો લાભાન્વિત થયા છે અને સીધા તેમના બેન્ક ખાતામાં જ કોઈ વચેટિયા વિના સહાય આપવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે, આ યોજના હેઠળ ખેડૂતોને લઘુત્તમ આવકના આધાર તરીકે પ્રતિ વર્ષ ૬ હજાર રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જે ત્રણ સમાન હપ્તામાં ચાર માસના અંતરે ચુકવવામાં આવે છે. આ યોજના ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થઈ છે, જે તેમના કૃષિ આનુષંગિક ખર્ચને પહોંચી વળવામાં અતિ ઉપયોગી બની રહી છે એમ જણાવી નાગરિકોને ઝેરમુક્ત અન્ન અને શાકભાજી પૂરા પાડવા તેમજ ગૌમાતા અને ધરતીમાતાને બચાવવા વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે જરૂરી હોવાનો મત વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે સંયુક્ત બાગાયત નિયામક એચ.એમ.ચાવડા, આત્મા-સુરતના પ્રોજેક્ટ ડાયરેક્ટર એન.જી.ગામીત, નાયબ બાગાયત નિયામક સી.જે.પટેલ, સંશોધન વૈજ્ઞાનિક ડો.બી.કે.દાવડા, BIS(બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ-સુરતના ચેરમેન એસ.કે.સિંઘ સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed
 
			         
			         
                                                        
