News Continuous Bureau | Mumbai
Maharashtra Lok Sabha Election 2024: વંચિત બહુજન આઘાડી (VBA)ના પ્રમુખ પ્રકાશ આંબેડકરે મહાવિકાસ આઘાડીને મોટો ઝટકો આપ્યો છે. તેમણે મહારાષ્ટ્રમાં MVA સાથેનું ગઠબંધન તોડી નાખ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી મહાવિકાસ અઘાડી અને પ્રકાશ આંબેડકરની પાર્ટી વચ્ચે સીટની વહેંચણીને લઈને ખેંચતાણ ચાલી રહી હતી. આ સાથે જ ખેડૂત નેતા રાજુ શેટ્ટીએ પણ અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત શિવસેના યુબીટીએ આજે સાંગલી સીટ માટે પોતાનો ઉમેદવાર જાહેર કર્યો, જેનાથી મહારાષ્ટ્ર કોંગ્રેસ નેતૃત્વ નારાજ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ આ અંગે દિલ્હી હાઈકમાન્ડને જાણ કરી છે અને સાંગલી બેઠક પર મૈત્રીપૂર્ણ સ્પર્ધાનો વિકલ્પ પણ સૂચવ્યો છે. હાલ પ્રદેશ નેતા કોંગ્રેસ હાઈકમાન્ડના આગામી આદેશની રાહ જોઈ રહી છે.
કોંગ્રેસના નેતાઓ નારાજ
મળતી માહિતી મુજબ, મુંબઈની 6માંથી 5 બેઠકો પર શિવસેના-યુબીટી ચૂંટણી લડવાથી મુંબઈ કોંગ્રેસના નેતાઓ ખુશ નથી. આ સિવાય મુંબઈ નોર્થ વેસ્ટ અને મુંબઈ સાઉથ સેન્ટ્રલ બેઠકો કોંગ્રેસને ગુમાવવાને લઈને મુંબઈ કોંગ્રેસના નેતાઓમાં નારાજગી છે. અગાઉ, શિવસેના (UBT) એ લોકસભા ચૂંટણી માટે 16 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી. શિવસેનાએ અમોલ કીર્તિકરને જ્યાંથી કોંગ્રેસ નેતા સંજય નિરુપમ ટિકિટ માંગી રહ્યા હતા ત્યાંથી ટિકિટ આપી છે.
આ સમાચાર પણ વાંચો : IPL 2024 : પ્રથમ મેચમાં હાર બાદ મુંબઈને મોટો ફટકો, SRH સામેની મેચ પહેલા આ ખેલાડી થયો બહાર…
પ્રકાશ આંબેડકરે 8 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા
MVA એ ગઈકાલે એટલે કે મંગળવારે પ્રકાશ આંબેડકરને સીટ વહેંચણી અંગે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવા અલ્ટીમેટમ આપ્યું હતું, ત્યાર બાદ આજે તેમણે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું છે. મહાગઠબંધનમાં નહીં જોડાવાની જાહેરાત સાથે પ્રકાશ આંબેડકરે 8 બેઠકો પરના ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા છે. પ્રકાશ આંબેડકર પોતે અકોલાથી ચૂંટણી લડશે.
NCP સીટ વહેંચણીથી ખુશ નથી
એનસીપી (શરદ પવાર) પણ શિવસેનાને મુંબઈની નોર્થ-ઈસ્ટ સીટ મળવાથી નારાજ છે. એનસીપી શરદ પવાર જૂથ એનસીપીને મુંબઈ અને આસપાસના શહેરોમાં એક પણ બેઠક ન મળવાથી નાખુશ છે. એનસીપી હંમેશા ઉત્તર પૂર્વ મુંબઈથી ચૂંટણી લડતી રહી છે. એનસીપીએ 2009માં આ સીટ જીતી હતી. આ સિવાય પાર્ટીએ 2014 અને 2019માં પણ અહીંથી ચૂંટણી લડી હતી. આ વખતે શિવસેનાએ નોર્થ ઈસ્ટ મુંબઈથી સંજય દિના પાટીલને મેદાનમાં ઉતાર્યા છે. પાટીલ છેલ્લી ત્રણ ચૂંટણીમાં આ જ બેઠક પરથી એનસીપીના ઉમેદવાર હતા. આ વખતે ભાજપે અહીંથી મિહિર કોટેચાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.