ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021
સોમવાર
કૉન્ગ્રેસને જમીન વગરના જમીનદાર ગણાવનારા રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના અધયક્ષ શરદ પવારને ફરી કૉન્ગ્રેસમાં જોડાઈ જવાની સલાહ કૉન્ગ્રેસે આપી છે. મહારાષ્ટ્રના કૉન્ગ્રેસના નેતા અને રાજ્યના મહેસૂલપ્રધાન બાળાસાહેબ થોરાતે અપ્રત્યક્ષ રીતે શરદ પવારની ટીકા કરી હતી. એટલું જ નહીં, પણ ભારતીય બંધારણના મૂળભૂત સિદ્ધાંતો પર ચાલનારા લોકોએ કૉન્ગ્રેસની ટીકા કરવા કરતાં કૉન્ગ્રેસના ઝંડા નીચે આવી જવાની સલાહ પણ તેમણે શરદ પવારને આપી હતી. શરદ પવારની ટીકાથી કૉન્ગ્રેસને કોઈ નુકસાન થવાનું નથી. હાલના વાતાવરણને જોતાં કૉન્ગ્રેસના વિચારો માટે મુશ્કેલ દિવસો છે, એનું કારણ દેશમાં ધાર્મિક ભેદભાવ વધી જવાનું છે. બંધારણના મૂળભૂત સિદ્ધાંતોને માનનારા ફરી આવી જાય તો કૉન્ગ્રેસના ફરી સારા દિવસો આવી જશે, એવું પણ બાળાસાહેબ થોરાતે કહ્યું હતું.
થોડા દિવસથી કૉન્ગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. જેમાં જમીન વગરના જમીનદાર જેવી શરદ પવારે કરેલી ટિપ્પણીથી કૉન્ગ્રેસ ભારે નારાજ થઈ ગઈ છે. શરદ પવારની ટીકાનો જવાબ આપતાં કૉન્ગ્રેસે જેને જમીન સંભાળવા આપી હતી તેઓ જ જમીન છીનવી ગયા હોવાનું કહ્યું હતું. હવે દિવસે ને દિવસે રાષ્ટ્રવાદી અને કૉન્ગ્રેસ વચ્ચે આ વિવાદ વધુ વકરી રહ્યો છે.