News Continuous Bureau | Mumbai
Maharashtra Weather Alert। ભારતીય હવામાન વિભાગે (IMD) પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટી ચેતવણી જાહેર કરી છે. રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી અને બીજી તરફ કમોસમી વરસાદના કારણે બેવડી ઋતુનું સંકટ યથાવત છે. હવામાન વિભાગે મહારાષ્ટ્રના ત્રણ મુખ્ય જિલ્લાઓમાં તીવ્ર હીટવેવને પગલે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે. આ સાથે જ વહીવટીતંત્રે સૂર્યના પ્રકોપ અને વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને નાગરિકોને બપોરે ૧૨ થી ૪ વાગ્યા સુધી અત્યંત જરૂરી કામ વિના ઘરની બહાર ન નીકળવાની કડક સલાહ આપી છે.
અકોલા, વર્ધા અને અમરાવતીમાં રેડ એલર્ટ બાદ હવે ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગના અહેવાલ મુજબ, મહારાષ્ટ્રમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. પાછલા બે-ત્રણ દિવસથી અકોલા જિલ્લામાં તાપમાનનો પારો સતત ઊંચો રહેવાને કારણે ‘રેડ એલર્ટ’ આપવામાં આવ્યું હતું, જેમાં આંશિક સુધારો થતાં હવે આગામી બે દિવસ માટે અકોલા, વર્ધા અને અમરાવતી જિલ્લામાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત, વિદર્ભના ગઢચિરોલી, નાગપુર, ચંદ્રપુર અને ગોંડિયા જિલ્લામાં આગામી ૫ દિવસ સુધી આકરી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. ગોંડિયા અને ભંડારા જિલ્લામાં તાપમાન ૪૪ થી ૪૫ ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે, જે આ ચાલુ ઉનાળાની સીઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે. પ્રચંડ ગરમીથી બચવા માટે લોકો લસ્સી અને લીંબુ શરબત જેવા ઠંડા પીણાના સ્ટોલ પર ભીડ જમાવી રહ્યા છે અને લૂ લાગવાની (હીટ સ્ટ્રોક) ઘટનાઓ પણ સામે આવી રહી છે.
પુણે અને કોલ્હાપુર સહિતના દક્ષિણ મહારાષ્ટ્રમાં વરસાદની આગાહી
મહારાષ્ટ્રમાં એક તરફ ગરમીનો કહેર છે, તો બીજી તરફ કેટલાક જિલ્લાઓમાં વરસાદ માટે સાનુકૂળ વાતાવરણ સર્જાઈ રહ્યું છે. હવામાન વિભાગે રત્નાગિરી, પુણે, કોલ્હાપુર, સાતારા અને સિંધુદુર્ગ જિલ્લાઓમાં વાવાઝોડા અને ગાજવીજ સાથે ભારે વરસાદનો મોટો ઈશારો આપ્યો છે. આ વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી તેજ થઈ છે. આ સિવાય અહિલ્યાનગર (અહમદનગર), સાંગલી, ઠાણે, રાયગઢ, બીડ, લાતુર, ધારાશિવ અને સોલાપુર જિલ્લામાં આગામી ૩ દિવસ સુધી આકાશ વાદળછાયું રહેશે અને વાજડી પવન સાથે હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
વહીવટીતંત્રની માર્ગદર્શિકા: ગરમીથી બચવા માટે કરો આ ઉપાયો
રાજ્યમાં સર્જાયેલી આ બેવડી આબોહવાની પરિસ્થિતિ વચ્ચે આપત્તિ વ્યવસ્થાપન વિભાગ અને સ્થાનિક પ્રશાસને નાગરિકોની સુરક્ષા માટે ખાસ ગાઈડલાઈન બહાર પાડી છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ખાસ કરીને બપોરના સમયે સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાનું ટાળે, બહાર નીકળતી વખતે માથું કપડાંથી ઢાંકે અને શરીરમાં પાણીની કમી (ડીહાઈડ્રેશન) ન થાય તે માટે પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પદાર્થોનું સેવન કરે. ખેડૂતો અને મજૂરોને પણ બપોરના ગાળામાં ખેતર કે ખુલ્લામાં સખત મજૂરી ન કરવા જણાવાયું છે.
👉 આ સમાચાર વાચો:
Medicine Price Hike India। કેમ અચાનક ભારતમાં દવાઓ મોંઘી કરવાનો નિર્ણય લઈ રહી છે કેન્દ્ર સરકાર? આ ‘ઔષધિ સંકટ’ પાછળનું અસલી કારણ જાણી લો!
