ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ફેબ્રુઆરી 2022
શનિવાર
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમા આવી છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાના નવા દર્દીની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે ત્યારે ફેબ્રુઆરીના અંત સુધીમાં મુંબઈમાં 100 ટકા અનલૉક થઈ જશે. તેમજ કોરોના સંબંધિત પ્રતિબંધો પણ હટાવવામાં આવશે. મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે આજે તેમની પૂણે પ્રેસ કોન્ફરન્સમાં નિયંત્રણો હળવા કરવાના સંકેતો આપ્યા હતા. કોરોના સંક્રમણના ઘટાડાને ધ્યાનમાં રાખીને તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા કરીને જલ્દી આ અંગે નિર્ણય લેવામાં આવશે.
વધુમાં તેમણે કહ્યું કે 'હાલમાં, પૂણેમાં કોરોના પોઝિટીવીટી રેટ 15 ટકા છે. રાજ્યની વાત કરીએ તો સકારાત્મકતા દર 9 ટકા છે. આવી સ્થિતિમાં શિવ જયંતિ પર્વને ધ્યાનમાં રાખીને નિયમોમાં છૂટછાટ લાવવા માટે અમે મુખ્યમંત્રી સાથે વાત કરીશું. તેમજ રસીકરણને લઈને તેમણે કહ્યું કે કોવેક્સિનનો સ્ટોક ઓછો છે. તેથી 15થી 18 વર્ષની વયના કિશોરોના રસીકરણની ગતિમાં ઘટાડો થયો છે. રસીકરણની ઝડપ વધારવા માટે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત હાલમાં થિયેટરોમાં હોલની ક્ષમતાથી 50 ટકા લોકોની હાજરીની મંજૂરી છે. પરંતુ સીએમ સાથે વાત કરીને તેમાં પણ વધારે છુટ આવવામાં આવશે.
બજાજ મોટર્સ ના સંસ્થાપક રાહુલ બજાજનું નિધન થયું. જાણો વિગતે….
આ સિવાય અજિત પવારે કહ્યું કે પ્રતિબંધો હળવા કર્યા પછી પણ માસ્કનો ઉપયોગ ચાલુ રહેશે અને કોરોનાના નિયમોનું પાલન કરવું જરૂરી રહેશે. તેમણે કહ્યું કે થિયેટરની સાથે અન્ય કાર્યક્રમોમાં પણ પ્રતિબંધો લાગુ છે. લગ્ન સમારંભો પર પણ પ્રતિબંધો યથાવત છે. જો હોલની ક્ષમતા બે હજાર લોકોની હોય તો પચાસ ટકા લોકોની હાજરીને મંજૂરી આપવાનો અર્થ એ નથી કે એક હજાર લોકો આવવા જોઈએ. મહત્તમ લોકોની હાજરી માટેની શરત 200 લોકોની છે.
ઉલ્લેખનીય છે કે અજિત પવાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી તેમજ પૂણેના સંરક્ષક મંત્રી છે. જેના કારણે તેઓ આજે કોરોના સંક્રમણની સ્થિતિનો તાગ મેળવવા પૂણે પહોંચ્યા હતા. આ પછી તેઓ પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.