News Continuous Bureau | Mumbai
Makar Sankranti નવા વર્ષના પ્રથમ મોટા તહેવાર મકર સંક્રાંતિને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ સમયે વતન જતા મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ મહત્વનો નિર્ણય લીધો છે. દક્ષિણ મધ્ય રેલવે (South Central Railway) દ્વારા ખાસ કરીને તેલુગુ રાજ્યો અને તેની આસપાસના વિસ્તારો માટે 150 વિશેષ ટ્રેનોની જાહેરાત કરવામાં આવી છે.
શિરડી અને તિરુપતિ માટે વિશેષ વ્યવસ્થા
દક્ષિણ મધ્ય રેલ્વેના મુખ્ય કાર્યકારી અધિકારી એ જણાવ્યું હતું કે, “આગામી સંક્રાંતિના તહેવારને ધ્યાનમાં રાખીને ઘણી વિશેષ ટ્રેનો જાહેર કરવામાં આવી છે. જેમાં તિરુપતિ અને શિરડી જેવા ધાર્મિક સ્થળોને જોડતી ટ્રેનોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉત્તર અને પૂર્વ ભારત માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.”
મહારાષ્ટ્ર અને તેલુગુ રાજ્યો વચ્ચે કનેક્ટિવિટી
આ સ્પેશિયલ ટ્રેનો મુખ્યત્વે તેલંગાણા અને આંધ્રપ્રદેશના રૂટ પર દોડશે, પરંતુ તે મહારાષ્ટ્રના અનેક મહત્વના સ્ટેશનો સાથે પણ જોડાયેલી હશે. ઉત્સવની સીઝન દરમિયાન રેલવે દ્વારા કુલ 600 થી વધુ ટ્રેનોના સંચાલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળી શકે.
સિકંદરાબાદ સ્ટેશન પર ભીડ ઘટાડવા મોટો પ્લાન
સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર હાલમાં રિડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે ત્યાં મુસાફરોને મુશ્કેલી પડી શકે છે. આ સમસ્યાને ટાળવા માટે રેલવેએ કેટલીક મહત્વની ટ્રેનોને કાયમી અથવા કામચલાઉ ધોરણે ચારલાપલ્લી, કાચેગુડા અથવા લિંગમપલ્લી સ્ટેશન પર શિફ્ટ કરી છે. મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ મુસાફરી કરતા પહેલા તેમના સ્ટેશનની વિગતો ચકાસી લે.
આ સમાચાર પણ વાંચો : Raj Thackeray: રાજ ઠાકરેની બેબાક ટિપ્પણી: ‘અંબાણી જૂના છે પણ અદાણી તો…’, પીએમ મોદી સાથે જોડીને આપ્યું સનસનીખેજ નિવેદન
ટિકિટ બુકિંગ અંગે સૂચના
તહેવાર સમયે ટ્રેનોમાં ભારે ભીડ રહેતી હોવાથી મુસાફરોને IRCTCની સત્તાવાર વેબસાઇટ અથવા એપ દ્વારા વહેલી તકે બુકિંગ કરી લેવાની સલાહ આપવામાં આવી છે. આ વિશેષ ટ્રેનોને કારણે લાંબી પ્રતીક્ષા યાદી (Waiting List) માં ઘટાડો થશે.
