News Continuous Bureau | Mumbai
Maratha Reservation। મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે પાટીલના આક્રમક વલણ અને આંદોલન બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. મરાઠા અનામત સબકમિટીની બેઠકમાં નાગરિકોની સુવિધા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર હવે દરેક જિલ્લા કલેક્ટર કચેરીમાં મરાઠા અનામત અને કુણબી જાતિના પ્રમાણપત્રોને લગતી કામગીરી માટે એક વિશેષ કક્ષ (સ્પેશિયલ સેલ) સ્થાપિત કરશે. આ સાથે નાગરિકો પોતાની મુશ્કેલીઓ સીધી રજૂ કરી શકે તે માટે સત્તાવાર હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે.
મંત્રાલય સ્તરે હેલ્પલાઇન નંબર જાહેર, કલેક્ટર કચેરીઓમાં પણ અલગ વ્યવસ્થા કરાશે
મરાઠા અનામત ઉપસમિતિના અધ્યક્ષ અને મંત્રી રાધાકૃષ્ણ વિખે-પાટીલે મંત્રાલયમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, નાગરિકોને જૂની અનામતની નોંધો શોધવા, કુણબી જાતિ પ્રમાણપત્ર મેળવવા અને જાતિ ચકાસણી પ્રમાણપત્રમાં પડતી અડચણો દૂર કરવામાં મદદ કરવા માટે મંત્રાલયની ઓફિસમાં ૯૩૨૬૫૬૨૮૧૫ હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. નાગરિકો ઓફિસના સત્તાવાર સમય દરમિયાન આ નંબર પર સંપર્ક કરીને માર્ગદર્શન મેળવી શકશે. આ ઉપરાંત, ખૂબ જ ટૂંક સમયમાં દરેક જિલ્લાની કલેક્ટર કચેરીઓમાં પણ સ્થાનિક હેલ્પલાઇન નંબરો કાર્યરત કરવામાં આવશે.
જસ્ટિસ શિંદે સમિતિની મુદત ૩૦ જૂન ૨૦૨૭ સુધી લંબાવાઈ, ૧૩ લાખ પ્રમાણપત્રો વહેંચાયા
આ મહત્વપૂર્ણ બેઠકમાં ઉચ્ચ અને તંત્ર શિક્ષણ મંત્રી ચંદ્રકાંતદાદા પાટીલ, જળસંપત્તિ મંત્રી ગિરીશ મહાજન, ઉદ્યોગ મંત્રી ડૉ. ઉદય સામંત સહિતના વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. સબ-કમિટીએ હૈદરાબાદના જૂના દસ્તાવેજો ચકાસવા માટે બનેલી જસ્ટિસ શિંદે સમિતિની મુદત લંબાવીને ૩૦ જૂન ૨૦૨૭ સુધી કરવાનો નિર્ણય લીધો છે. અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે કે શિંદે સમિતિની સ્થાપના પછી અત્યાર સુધીમાં જે ૧૩ લાખ કુણબી પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે, તેનો સંપૂર્ણ ડેટા તાલુકા અને જિલ્લા સ્તરે તાત્કાલિક સંકલિત કરવામાં આવે.
આગામી ૩ મહિના સુધી વિશેષ કેમ્પ અને હોમ વિઝિટ દ્વારા દાખલા અપાશે
મંત્રી વિખે-પાટીલે છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ) ના વિભાગીય કમિશનરને સૂચના આપી છે કે આગામી ત્રણ મહિનામાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વિશેષ કેમ્પ (મેળાવડા) અને હોમ વિઝિટ (ગૃહભેટ) નું આયોજન કરીને લાયક મરાઠા પરિવારોને કુણબી પ્રમાણપત્રો ઝડપથી એનાયત કરવામાં આવે. આ ઉપરાંત, મરાઠા સમુદાયના વિદ્યાર્થીઓ અને યુવાનો માટે કામ કરતી ‘સારથી’ (SARATHI) સંસ્થા અને અણ્ણાસાહેબ પાટીલ આર્થિક વિકાસ મહામંડળની યોજનાઓને વધુ અસરકારક રીતે લાગુ કરવા માટે આગામી ૫ વર્ષનો રોડમેપ તૈયાર કરવા અંગે પણ બેઠકમાં વિગતવાર ચર્ચા થઈ હતી, જેથી વ્યાજ સબસીડીના ભંડોળની કોઈ તંગી ન વર્તાય.
👉 આ સમાચાર વાચો:
IndiaVenezuela Oil Deal। પીએમ મોદી અને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ વચ્ચે મેગા ડીલ, સસ્તા ઇંધણની આશા વધી