ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,24 જાન્યુઆરી 2022
સોમવાર.
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યુ છે. રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઇ ગઇ છે અને સૌથી વધુ સંક્રમણ રાજ્યના મંદિરોમાં ફેલાવાની શક્યતા હોય છે. રાજ્યના મોટા ભાગના મંદિરો ધીરે ધીરે દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવી રહ્યા છે. કારણ કે રાજ્યના મોટા મંદિરોમાં રોજ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે.
કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રાજ્યના મોટા ભાગના મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાના નિર્ણય લેવામાં આવી રહ્યા છે. આ જ ક્રમમાં હવે મહેસાણા જિલ્લાના બહુચરાજી મંદિરને પણ ૩૧ જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ પહેલા મહેસાણા જિલ્લામાં આવેલુ યાત્રાધામ બહુચરાજી મંદિર ૧૭ જાન્યુઆરીથી ૨૨ જાન્યુઆરી સુધી બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. છ દિવસ સુધી મંદિરના મુખ્ય દરવાજા ભક્તો માટે બંધ રાખવામાં આવ્યા હતા, હવે વધુ એક સપ્તાહ માટે બહુચરાજી મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રહેશે. બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.