News Continuous Bureau | Mumbai
Mahuva: ચોમાસાની ઋતુમાં તાપી નદીનું પાણી દરિયામાં વહી જાય છે એને રોકી ખેડૂતોને સિંચાઈ માટે આપી શકાય એ હેતુથી કામરેજના ( Kamrej ) બૌધાન પાસે રૂપિયા ૩૦૦ કરોડના ખર્ચે રબર ડેમ ( Dam ) બનાવવામાં આવશે. તેમજ રુંઢ મગદલ્લા પાસે પણ તાપી નદી ( Tapi River ) પર બેરેજ બનાવવામાં આવશે એમ મહુવા ખાતે ૩૬.૯૭ કરોડના ખર્ચે નહેરોના આધુનિકીકરણના ( canals modernization ) કામોનું ખાતમુહૂર્ત કરતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ( Mukeshbhai Patel ) જણાવ્યું હતું.
સુરત ( Surat ) જિલ્લાના મહુવા ખાતે આવેલી દિવાળી બા કોલેજ ખાતે યોજાયેલા નહેરોના આધુનિકીકરણના કામોના ખાતમુહુર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, નહેરોનું તબક્કાવાર નવીનીકરણ થઇ શકે એ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૧૩-૧૪ના બજેટમાં રૂપિયા ૧૫૦૦ કરોડની જોગવાઈ કરી હતી. જેના કારણે નહેરોનું આધુનિકરણ થવાથી નહેરની ક્ષમતા વધતાં ખેડૂતોને પુરતા પ્રમાણમાં સિંચાઇનું પાણી મળતા ખેડૂતો બારમાસી પાક લઇને વધુ ઉપજ મેળવી શકે છે એમ જણાવી તેમણે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલા કૃષિ મહોત્સવને કારણે કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શનથી ખેડૂતો આધુનિક ખેતી કરી સારી આવક મેળવતા થયા હોવાનું વધુમાં ઉમેર્યું હતું.
વધુ વાત કરતા મંત્રી પટેલે ઉમેર્યુ હતું કે પ્રધાનમંત્રીએ પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણને મંજૂરી આપવાના લીધેલા સરાહનીય નિર્ણયને કારણે હવે ચોખા અને મકાઈમાંથી ઇથેનોલ બનાવાના પ્લાન્ટ કાર્યરત થશે. જેનાથી ડાંગર અને મકાઈની ખેતી કરતા ખેડૂતો વધુ સારી આવક મેળવી શકશે એમ જણાવ્યું હતું.
પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે અને પાણીની બચત પણ એ દિશામાં સરકાર સતત ચિંતિત છે એમ કહી તેમણે સરકારે ટપક સિંચાઇ માટે રૂપિયા ૪૮૦ કરોડની જોગવાઈ કરી છે એમ જણાવી ખેડૂતો વધુમાં વધુ ટપક સિંચાઇ કરતા થાય એ માટે અનુરોધ કર્યો હતો.
તેમણે સિંચાઇની સુવિધા ઉપલબ્ધ થવાથી ખેડૂતોની આવક કઈ રીતે વધી શકે એનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, ઓલપાડ તાલુકાના ખેડૂતોને ૧૮૦૦૦ હેક્ટરમાં ઉનાળુ ડાંગરની વાવણી કરી ૧૮૭ કરોડની આવક મેળવી છે જે ભૂતકાળમાં ક્યારેય થયું નથી એમ કહ્યું હતું.
આ ઉપરાંત મંત્રીએ નેનો યુરિયા, નેનો ડી. એ. પી. વગેરેના ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી કઈ રીતે સમય અને નાણાંની બચત કરી શકાય એ અંગે પણ સમજ આપી હતી.
આ સમાચાર પણ વાંચો : Surat: તા.૦૧ થી તા.૧૯મી જાન્યુઆરી દરમિયાન સુરત જિલ્લામાં લેપ્રસી કેસ ડિટેક્ટશન કેમ્પેઇન અંતર્ગત રક્તપિત અંગે જાગૃતિના કાર્યક્રમો યોજાશે.
પ્રાકૃતિક કૃષિ વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે, રાસાયણિક ખેતીથી માત્ર માનવ સ્વાસ્થ્યને જ નહીં પણ જમીનની ફળદ્રુપતાને ગંભીર નુકસાન થાય છે તેથી પ્રાકૃતિક ખેતી તરફ વળવા તેમણે આગ્રહ કર્યો હતો. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટે છે એવી ભ્રામક વાતોમાં ન આવી જવા અનુરોધ કરી તેમણે સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તેમના કૃષિ ઉત્પાદનો વેચી શકે એ માટે ૧૦૦ એફ.પી.ઓ શરૂ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું
મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની વિગતે છણાવટ કરી હતી. આ ઉપરાંત નહેરોના આધુનિકીકરણની કામગીરીથી ખેડૂતોને થનારા ફાયદાઓ અંગે પણ વિગતે જાણકારી આપી કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન નાગરિકો તરફથી મળેલા વ્યાપક લોકપ્રતિસાદની પણ તેમણે સરાહના કરી હતી.
સહકારી આગેવાન ભીખાભાઈ પટેલે પણ સરકાર દ્વારા કરવામાં આવી રહેલા ખેડૂતલક્ષી કામોની સરાહના કરી સરકાર ખેડૂતોની સમસ્યા ઉકેલવા માટે ગંભીર છે એમ જણાવી ખેડૂતો પણ પોતાની જવાબદારી સમજી સરકારને સહયોગ આપે એમ જણાવ્યું હતું.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા મુખ્ય ઇજનેર અને અધિક સચિવ આર.એમ. પટેલે કાર્યક્રમનો આશય સ્પષ્ટ કરી ખેડૂતોને સિંચાઈની સુવિધા મળી રહે એ માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અંગે જાણકારી આપી હતી. આભાર વિધિ અધિક્ષક ઇજનેર દેશમુખે આટોપી હતી.
આ સમાચાર પણ વાંચો : Surat: સુરત જિલ્લા રોડ સેફટી કાઉન્સિલની બેઠક જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને યોજાઈ
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, ચોર્યાસીના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ, સુમુલના ચેરમેન માનસિંહભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઇ રાઠોડ, અન્ય સહકારી આગેવાનો, પિયત મંડળીના આગેવાનો, કાર્યપાલક ઇજનેર એસ.કે. ગરાસિયા, ગામના સરપંચ, તાલુકા/જિલ્લા પંચાયતના સભ્યો, ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.